ટેલિકોમ સેક્ટરની કંપનીના શેરમાં ‘તોફાન’! 10% ની અપર સર્કિટ સાથે જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો, રોકાણકારોને મોટી રાહત
ટેલિકોમ સેક્ટરની કંપનીના શેરમાં આજે એટલે કે 3 નવેમ્બરે જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. ટ્રેડિંગ દરમિયાન કંપનીના શેરમાં 10% ની અપર સર્કિટ લાગી હતી.

સુપ્રીમ કોર્ટે 3 નવેમ્બરે સ્પષ્ટ કર્યું હતું કે, સરકારને વોડાફોન આઈડિયાને વધારાની AGR (Adjusted Gross Revenue) જવાબદારીઓ અને તમામ બાકી રકમના પુનઃમૂલ્યાંકન (Revaluation) એમ બંને પર રાહત આપવાની સ્વતંત્રતા છે.

સુપ્રીમ કોર્ટનું આ નિવેદન વોડાફોન આઈડિયા દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજી પર આવ્યું હતું, જેમાં કંપનીએ ટેલિકોમ વિભાગ (DoT) દ્વારા માંગવામાં આવેલા વધારાના AGR બાકી લેણાં પર રાહત માંગી હતી. ખાસ વાત એ છે કે, કેન્દ્ર સરકારે પણ કંપનીની આ માંગનું સમર્થન કર્યું છે.

કંપનીએ ટેલિકોમ વિભાગ (DoT) દ્વારા કરવામાં આવેલી 9,450 કરોડ રૂપિયાના વધારાના AGR બાકી લેણાંની માંગ સામે વાંધો ઉઠાવ્યો હતો. આ સાથે જ કંપનીએ તેના પર લાગતા વ્યાજ અને પેનલ્ટી (દંડ) પણ માફ કરવાની માંગ કરી હતી.

હાલમાં, કંપની પર અંદાજે ₹83,400 કરોડની કુલ AGR જવાબદારી છે અને માર્ચ 2026 થી તેણે દર વર્ષે અંદાજે ₹18,000 કરોડની ચૂકવણી કરવાની રહેશે. વ્યાજ અને પેનલ્ટી સહિત વોડાફોન આઈડિયાની કુલ જવાબદારી અંદાજે ₹2 લાખ કરોડની આસપાસ હોવાનો અંદાજ છે.

અગાઉ સુપ્રીમ કોર્ટના આદેશમાં એવું માનવામાં આવ્યું હતું કે, કંપનીએ માત્ર "વધારાની AGR જવાબદારી" પર જ રાહત માંગી છે પરંતુ હવે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, સરકાર જો ઈચ્છે તો તમામ AGR બાકી લેણાંના પુનઃમૂલ્યાંકન (Revaluation) પર પણ રાહત આપી શકે છે.

આ સમાચારથી રોકાણકારોમાં નવી આશા જાગી છે, જેના કારણે વોડાફોન આઈડિયાના શેરમાં ભારે ખરીદી જોવા મળી રહી છે. તે જ દિવસે બીજા એક મોટા સમાચારથી રોકાણકારોનો ઉત્સાહ (Sentiment) વધ્યો હતો. અહેવાલ મુજબ, અમેરિકન પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ ટિલમેન ગ્લોબલ હોલ્ડિંગ્સ (TGH) વોડાફોન આઈડિયામાં અંદાજે 4 થી 6 અબજ ડોલર (₹33,000-₹50,000 કરોડ) નું રોકાણ કરવા માટે વાતચીત કરી રહી છે.

એક અહેવાલ મુજબ આ રોકાણ ત્યારે જ શક્ય છે, જ્યારે સરકાર વોડાફોન આઈડિયાની AGR અને સ્પેક્ટ્રમ જવાબદારીઓ સહિતના તમામ બાકી લેણાંનો ઉકેલ લાવતું રાહત પેકેજ આપે.

જો આ સોદો સફળ થાય છે, તો તેનાથી TGH ને વોડાફોન આઈડિયામાં પ્રમોટરનો દરજ્જો મળી શકે છે અને તે આદિત્ય બિરલા ગ્રુપ તેમજ બ્રિટનના વોડાફોન ગ્રુપ પાસેથી કંપનીનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ શકે છે. હાલમાં, ભારત સરકાર પાસે કંપનીમાં 48.99% હિસ્સેદારી છે, જ્યારે આદિત્ય બિરલા ગ્રુપ પાસે 9.50% અને વોડાફોન પીએલસી (PLC) પાસે 16.07% હિસ્સેદારી છે. TGH ના રોકાણ પછી વર્તમાન પ્રમોટરોની હિસ્સેદારી ઘટી શકે છે અને સરકારની હિસ્સેદારી 49% થી નીચેના સ્તરે રહી શકે છે.

વોડાફોન આઈડિયામાં આવેલી આ તેજીની અસર બીજા ટેલિકોમ શેરો પર પણ જોવા મળી હતી. ટ્રેડિંગ દરમિયાન ઈન્ડસ ટાવર્સ (Indus Towers) ના શેરમાં 4% અને ભારતી એરટેલ (Bharti Airtel) ના શેરમાં 1% સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. હાલમાં Vi ના શેર 11.18 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
આ પણ વાંચો: ‘મોટું એલાન’ થવાની શક્યતા ! બજેટથી ચમકી શકે છે ‘રોકાણકારોની કિસ્મત’, આ જાહેરાતથી ગોલ્ડનું ‘આખું ગણિત’ બદલાશે
