કાનુની સવાલ: જાહેરમાં ફટાકડા ફોડશો તો ફસાઈ જશો કાયદાની જાળમાં! જાણો કેટલી મળી શકે છે સજા અને દંડ
જાહેરમાં (પબ્લિક પ્લેસમાં) ફટાકડા ફોડવા અંગેનો ગુનો Noise Pollution, Public Safety અને Law & Order સંબંધિત અનેક કાયદા હેઠળ આવી શકે છે. ચાલો વિગતે સમજીએ.

જાહેરમાં ફટાકડા ફોડવા એ ભારતમાં કાયદાકીય ગુનો છે, જેના માટે સજા થઈ શકે છે. ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ જાહેર ત્રાસ, બેદરકારીપૂર્વક વિસ્ફોટક ઉપયોગ અને સામાન્ય ઉપદ્રવ માટે દંડ અને જેલની જોગવાઈ છે. ધ્વનિ પ્રદૂષણ નિયમો રાત્રે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકે છે, જ્યારે વિસ્ફોટક પદાર્થ અધિનિયમ ગેરકાયદેસર ઉપયોગ સામે કાર્યવાહી કરે છે.

ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ: કલમ 268 – જાહેર ત્રાસ (Public Nuisance): જો કોઈ વ્યક્તિ પોતાના કૃત્યથી લોકોને તકલીફ, દુખ કે આરોગ્યને નુકસાન પહોંચાડે છે તો તે જાહેર ત્રાસ ગણાય છે. તેના માટે સજા થઈ શકે છે.

કલમ 285 – બેદરકારીપૂર્વક આગ અથવા વિસ્ફોટક વસ્તુનો ઉપયોગ: જો કોઈ વ્યક્તિ બેદરકારીથી ફટાકડા કે અન્ય વિસ્ફોટક વસ્તુ વાપરે છે જેથી કોઈને જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થવાનું જોખમ હોય તો. સજાના ભાગ રુપે તેમને છ મહિના સુધીની કેદ અથવા દંડ અથવા તો બન્ને થઈ શકે છે. કલમ 290 – સામાન્ય ઉપદ્રવ માટેનો દંડ: જો કોઈ વ્યક્તિ જાહેરમાં ફટાકડા ફોડી ત્રાસ વર્તાવે છે તો તેને દંડ થઈ શકે. સજા: ₹200 સુધીનો દંડ થઈ શકે છે.

ધ્વનિ પ્રદૂષણ (Noise Pollution) નિયમો હેઠળ: Noise Pollution (Regulation and Control) Rules, 2000 મુજબ રાત્રે 10:00 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે. ખાસ પ્રસંગોમાં (જેમ કે દિવાળી, નવા વર્ષ) માટે રાજ્ય સરકાર સમયસીમામાં છૂટ આપી શકે છે. ઉલ્લંઘન થવાથી પર્યાવરણ સુરક્ષા અધિનિયમ હેઠળ કાર્યવાહી થાય છે.

વિસ્ફોટક પદાર્થ અધિનિયમ (Explosives Act, 1884 & Explosives Rules, 2008): જો કોઈ વ્યક્તિ લાયસન્સ વગર ફટાકડાનો સ્ટોલ નાખે છે, બનાવે છે કે પછી વેચે છે. ગેરકાયદેસર રીતે જાહેરમાં વાપરે છે. તો તેના પર વિસ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ ગુનો લાગુ પડે છે. સજા: છ મહિના થી 3 વર્ષ સુધીની કેદ અને દંડ બંને થઈ શકે છે.

સ્થાનિક પોલીસ ધારા / મહાનગરપાલિકા નિયમો: સ્થાનિક પોલીસ અધિનિયમ (જેમ કે Gujarat Police Act, 1951) મુજબ પણ જો કોઈ વ્યક્તિ જાહેર શાંતિ ભંગ કરે છે અથવા ભીડમાં ખતરનાક રીતે ફટાકડા ફોડે છે તો પોલીસ કાર્યવાહી કરી શકે છે.
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(Image Credit: AI Whisk Photo)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
