સિલ્વર ઇમ્પોર્ટ પર ‘કડકાઈ’! ભારતમાં ચાંદીની આયાત એક જ મહિનામાં 82 ટકા ઘટી
ભારત સરકારે લીધેલા એક કડક નિર્ણયના કારણે દેશમાં ચાંદીની આયાતમાં મોટો ઘટાડો નોંધાયો છે. માત્ર એક જ મહિનામાં સિલ્વર ઇમ્પોર્ટ આશરે 82 ટકા જેટલું ઘટી ગયું છે.

ભારતમાં સિલ્વર (ચાંદી)ની આયાત પર સરકારની કડકાઈની અસર હવે સ્પષ્ટ દેખાવા લાગી છે. મે 2026માં દેશમાં ચાંદીની આયાત 82 ટકા સુધી ઘટી ગઈ છે. સરકાર દ્વારા ઇમ્પોર્ટ ડ્યુટી (આયાત વેરો) વધારવા અને ચાંદીની આયાત માટે લાઈસન્સ ફરજિયાત કર્યા પછી આયાતમાં આ તીવ્ર ઘટાડો નોંધાયો છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI)ના અહેવાલ મુજબ, મે 2026માં ભારતની ચાંદીની આયાત ઘટીને માત્ર 7.6 કરોડ ડૉલર રહી ગઈ છે, જ્યારે એપ્રિલ 2026માં તે 41.1 કરોડ ડૉલર હતી. ટૂંકમાં, માત્ર એક મહિનામાં ચાંદીની આયાતમાં 81.6 ટકાનો ભારે ઘટાડો જોવા મળ્યો છે.

સરકારે આ પગલું ત્યારે ઉઠાવ્યું, જ્યારે નાણાકીય વર્ષ 2025-26માં ચાંદીની આયાત રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી. અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2026માં ભારતની ચાંદીની આયાત 149.6 ટકા વધીને 12.05 અબજ ડૉલર પર પહોંચી ગઈ હતી, જ્યારે તેના અગાઉના નાણાકીય વર્ષમાં તે 4.83 અબજ ડૉલર હતી.

ચાંદી દેશની સૌથી ઝડપથી વધતી આયાત કેટેગરીઝમાં જોડાઈ ગઈ હતી. વધતી આયાતની અસર દેશના ટ્રેડ બેલેન્સ (વ્યાપાર સંતુલન) અને વિદેશી હૂંડિયામણ પર પડી શકતી હતી. આ જ કારણે સરકારે આયાતને નિયંત્રિત કરવા માટે કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો.

સરકારે ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યુટી 6 ટકાથી વધારીને 15 ટકા કરી દીધી. જો કે, આ નિર્ણય બાદ એક નવો પડકાર સામે આવ્યો. ઇન્ડિયા-UAE ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ UAEથી આવતી ચાંદીને ટેરિફમાં વિશેષ રાહત મળે છે. ડ્યુટી વધાર્યા પછી આ તફાવત લગભગ 8 ટકા સુધી પહોંચી ગયો. આનાથી વેપારીઓ માટે UAE દ્વારા ચાંદીની આયાત કરવાનું વધુ આકર્ષક બની શકતું હતું.

આ સ્થિતિને નિયંત્રિત કરવા માટે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે (DGFT) 16 મે 2026ના રોજ ચાંદીને “રિસ્ટ્રિક્ટેડ” (પ્રતિબંધીત) કેટેગરીમાં મૂકી દીધી. આ પછી ચાંદીની આયાત માટે લાઇસન્સ લેવું ફરજિયાત થઈ ગયું. સરકારનું માનવું છે કે, માત્ર ડ્યુટી વધારવાથી આયાત પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકાય તેમ નહોતું. આથી ક્વોન્ટિટેટિવ કંટ્રોલ (જથ્થાત્મક નિયંત્રણ) તરીકે લાઇસન્સિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી, જેથી આયાતના જથ્થા પર વધુ સારી નજર રાખી શકાય.

ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો અને લાઇસન્સિંગ સિસ્ટમની અસર તરત જ જોવા મળી. મે મહિનામાં ચાંદીની આયાત ચાર-પંચમાંશ ભાગ કરતાં પણ વધુ ઘટી ગઈ. આ સંકેત આપે છે કે, સરકારની નવી નીતિ હાલમાં અસરકારક સાબિત થઈ રહી છે. આગામી મહિનાઓમાં ચાંદીની આયાત ઘણી હદ સુધી DGFT દ્વારા જારી કરવામાં આવતા લાઇસન્સ પર નિર્ભર રહેશે. UAEથી પ્રિફરેન્શિયલ ટેરિફ હેઠળ આયાત ચાલુ રહી શકે છે, જ્યારે અન્ય દેશોમાંથી આયાત પર 15 ટકા ડ્યુટી લાગુ રહેશે.

અહેવાલ મુજબ, સોનાની આયાત પર ચાંદી જેવા પ્રતિબંધો લાદવામાં આવ્યા નથી. તેનું મુખ્ય કારણ એ છે કે, ઇન્ડિયા-UAE ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ સોના પર મળતો ટેરિફ એડવાન્ટેજ ઘણો ઓછો છે. સોનાના કિસ્સામાં આ લાભ લગભગ 1 ટકાની આસપાસ છે, જેનાથી મોટાપાયે આર્બિટ્રેજ (તફાવતનો લાભ લેવાની પ્રવૃત્તિ)ની શક્યતા મર્યાદિત રહે છે.
દુનિયાને ‘ડૉલર’ ડૂબવાનો ડર! RBI એ 3 વર્ષમાં આખો ‘ખેલ’ પલટી નાખ્યો, આટલું ‘સોનું’ ભારત લાવીને ‘બાજી’ પલટી
