સુરતના ગોડાદરા રોડ પર ટેક્સ્ટાઈલ માર્કેટમાં 7 દિવસથી દુકાનો બંધ, વેપારીઓને લાખો-કરોડોનું નુકસાન છતા તંત્રના અધિકારીઓ ફરક્યા સુદ્ધ નહીં- Video
સુરતના ગોડાદરા રોડ પર આવેલી ટેક્સ્ટાઈલ માર્કેટમાં પૂરના પાણી ભરાઈ જતા વેપારીઓને મોટા પાયે નુકસાન થયુ છે. દુકાનોમાં અને ગોડાઉનમાં પાણી ભરાઈ જતા લાખો-કરોડો રુપિયાનો માલ પલળી ગયો છે અને વેપારીઓની કમર તૂટી ગઈ છે.

સુરતના ગોડાદરા રોડ પર આવેલી ટેક્સ્ટાઈલ માર્કેટની દુકાનો છેલ્લા 7 દિવસથી બંધ હાલતમાં છે. પૂરના પાણી ભરાઈ ગયા બાદ વેપારીઓ આજે સાતમાં દિવસે પણ દુકાનો ખોલી શક્યા નથી. સુરતમાં આવેલા વિનાશક પૂરમાં વેપારીઓને મોટી આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. દુકાનોમાં અને ગોડાઉનમાં ભરાયેલા પૂરના પાણીમાં વેપારીઓની વર્ષોની મહેનત પર પાણી ફરી ગયુ છે. પૂરના પાણી હજુ પણ બેઝમેન્ટમાં ભરાયેલા છે. બીજી તરફ વેપારીઓનો તમામ માલ સામાન પલળી જતા લાખો કરોડોનું નુકસાન થવા પામ્યુ છે.
આ તરફ વેપારીઓનું કહેવુ છે કે પોદર આર્કેટની ટેક્સ્ટાઈલ માર્કેટમાં ખુદ ડેપ્યુટી સીએમ એ જઈને નુકસાનીનો તાગ મેળવ્યો અને વેપારીઓને સાંત્વના આપી હતી. વેપારીઓના વીમા અંગે પણ જાણકારી મેળવી હતી પરંતુ ગોડાદરામાં તંત્રના કોઈ અધિકારી ફરક્યા સુદ્ધા નથી અને નુકસાનીનો કોઈ સર્વે કરવામાં આવ્યો નથી. ભારે નુકસાનને પગલે વેપારીઓને માથે હાથ મુકીને રોવાનો વારો આવ્યો છે.
દુકાનોમાં કમરસમા પાણી ભરાયા હતા જેમા કરોડો રૂપિયાનો માલ પલળી ગયો છે. બીજી તરફ એક સપ્તાહ બાદ પણ હજુ પાણી ભરાયેલા છે. આ પૂરમાં કાપડના નાના-મોટા તમામ વેપારીઓને નુકસાન ગયુ છે. 250 જેટલી દુકાનોમાં પૂરના પાણી ભરાયા હતા. નાના વેપારીઓ તેમના ભાડા માંડ માંડ ભરે છે તેમને 20, 20 લાખનું નુકસાન જતા તેઓની પુરેપુરી કમર તૂટી ગઈ છે. બીજી તરફ દુકાનોમાં બગડેલો માલ પણ જેમનો તેમ પડી રહ્યો છે. દુકાનોની સાફ સફાઈ કરવા બગડેલો માલ બહાર કાઢવા માટે ટેમ્પો પણ અંદર આવવા નથી દેતા, જેના કારણે વેપારીઓના ધંધા રોજગાર સંપૂર્ણપણે ઠપ્પ થયા છે. ઝડપી કામગીરી ન થતી હોવાથી વેપારીઓની કફોડી સ્થિતિ થઈ છે.
સ્થાનિકો અને વેપારીઓનું કહેવું છે કે પૂરના પાણી ઓસર્યા બાદ પણ અનેક વિસ્તારોમાં પાણી અને વિજળી પૂરી પાડવામાં નથી આવી.જેના લીધે સમગ્ર ટેક્સ્ટાઈલ માર્કેટમાં હજુ સુધી વેપારીઓ પોતાનું કામ શરૂ કરી શક્યા નથી. સાથે જ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની રાહત કામગીરી શરૂ ન કરાઈ હોવાનો પણ વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે.