કેદારનાથ યાત્રાળુઓ માટે સારા સમાચાર, કલાકોની મુસાફરી મિનિટોમાં, આ દિવસથી શરૂ થશે હેલિકોપ્ટર સેવા
Kedarnath Yatra: કેદારનાથ યાત્રા પર જનારા ભક્તો ટૂંક સમયમાં જ IRCTC ની વેબસાઈટ પરથી હેલિકોપ્ટર બુક કરાવી શકશે. ગયા મહિને જ ડીજીસીએએ હેલિકોપ્ટર સેવા શરૂ કરવા માટે એક પરિપત્ર બહાર પાડ્યો હતો.

Kedarnath Yatra: કેદારનાથની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. હવે ટૂંક સમયમાં તમે હેલિકોપ્ટર દ્વારા કેદારનાથની યાત્રા કરી શકશો. IRCTC ટૂંક સમયમાં તેની બુકિંગ પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કેદારનાથ યાત્રા માટે હેલિકોપ્ટર સેવા 25 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. એટલે કે આ દિવસથી જ શ્રદ્ધાળુઓ માટે હેલિકોપ્ટર સેવા શરૂ થશે. મુસાફરો તેને IRCTCની સત્તાવાર વેબસાઇટ પરથી બુક કરાવી શકશે.

અહેવાલો અનુસાર, હેલિકોપ્ટર સેવાનો ટ્રાયલ રન શુક્રવાર, 31 માર્ચ સુધીમાં પૂર્ણ થશે. જે બાદ બીજા દિવસે 1 એપ્રિલથી હેલિકોપ્ટરનું બુકિંગ શરૂ થશે.

ગયા મહિને જ ડીજીસીએએ કેદારનાથના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવાનો પરિપત્ર બહાર પાડ્યો હતો. આ સાથે, પરિપત્ર જારી કરતી વખતે, DGCA દ્વારા જિલ્લા વહીવટીતંત્રને માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે.

IRCTC એ મુસાફરો માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવા 5 વર્ષના ગાળા માટે ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે.