શું તમે પણ રાત્રે 9 વાગ્યા પછી જમો છો ? વધશે પેટની ગંભીર મુશ્કેલીઓ, નવી સ્ટડીમાં થયો ‘ચોંકાવનારો ખુલાસો’
શું તમે પણ મોડી રાત્રે જમવા કે સ્નેક્સ ખાવાના શોખીન છો? જો હા, તો આ સમાચાર તમારા માટે છે. એક નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે, રાત્રે 9 વાગ્યા પછી ભોજન લેવાથી પાચન અને સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે. હવે સવાલ એ છે કે, રાત્રે 9 વાગ્યા પછી જમવાથી શરીરમાં એવું તો શું બદલાય છે, જે મુશ્કેલીઓ નોતરી શકે છે? શું છે આ નવી સ્ટડીનો દાવો અને તેનાથી બચવા માટે તમારે શું ધ્યાન રાખવું જોઈએ?

મોડી રાત્રે કઈં ને કઈં ખાવાની ક્રેવિંગ (ઈચ્છા) થવી આજે દર બીજા વ્યક્તિની આદત બની ચૂકી છે. આપણે અવારનવાર સૂવાના સમયે ચિપ્સ, કૂકી કે ચોકલેટ જેવી વસ્તુઓ ખાવાના શોખીન થઈ ગયા છીએ. એવામાં તાજેતરમાં જ એક અભ્યાસ સામે આવ્યો છે કે, જેને સૌને ચોંકાવી દીધા છે. આ અભ્યાસ દર્શાવે છે કે, ‘આપણે શું ખાઈ રહ્યા છીએ’ અને તેની સાથે એ પણ મહત્વ ધરાવે છે કે, ‘આપણે ક્યારે ખાઈ રહ્યા છીએ’?

વૈજ્ઞાનિકો ક્રોનોન્યૂટ્રિશન પર વધારે ધ્યાન આપી રહ્યા છે. હવે તમે વિચારતા હશો કે, ન્યૂટ્રિશન તો સાંભળ્યું છે પણ આ ક્રોનોન્યૂટ્રિશન શું છે? તમને જણાવી દઈએ કે, ક્રોનોન્યૂટ્રિશન એ વાતનો અભ્યાસ કરે છે કે ખાવાના સમયની આપણી બોડી ક્લોક (શરીરની ઘડિયાળ) પર, પાચન પર અને આંતરડાના બેક્ટેરિયા પર શું અસર પડે છે.

આ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, જે લોકો મોડી રાત્રે કે તણાવવાળા સમયે ખોરાક લે છે, તેમના ગટ બેક્ટેરિયા (આંતરડાના બેક્ટેરિયા) ખુશ નથી રહેતા. આવા લોકોને પાચનને લગતી તકલીફો વધારે ભોગવવી પડે છે.

વર્ષ 2026ની ડાયજેસ્ટિવ ડિસીઝ વીક કોન્ફરન્સમાં રિસર્ચર્સે લગભગ 11,000 લોકો પર કરાયેલા અભ્યાસને રજૂ કર્યો હતો. આમાં જાણવા મળ્યું કે, જે લોકોએ રાત્રે 9 વાગ્યા પછી તેમની દૈનિક કેલરીનો 1/4 કરતા વધુ ભાગ લીધો છે, તેમનામાં પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે કબજિયાત અને ઝાડા વધુ જોવા મળ્યા હતા.

આ સિવાય જ્યારે જે લોકોએ રાત્રે 9 વાગ્યા પહેલા ભોજન કરી લીધું હતું, તેમનામાં પેટ સંબંધિત સમસ્યાઓનું જોખમ 2.5 ગણું ઘટી ગયું હતું. અભ્યાસ એ પણ દર્શાવે છે કે, તણાવના સમયે ખાવાથી પણ આ જ સમસ્યાઓ જોવા મળી હતી. આપણી બોડી ક્લોક જેને આપણે સર્કેડિયન રિધમ કહીએ છીએ, તે બિલકુલ એક ઘડિયાળની જેમ જ કામ કરે છે.

આ ઘડિયાળ આપણા શરીરમાં દરેક વસ્તુનો (જેમ કે- મેટાબોલિઝમ, ઊંઘ, પાચન અને હોર્મોન્સ) એક સમય નક્કી કરે છે. ત્યાં સુધી કે, આપણા ગટમાં (આંતરડામાં) રહેલા બેક્ટેરિયા પણ એક નિશ્ચિત સમયે કામ કરે છે. એવામાં સમયસર ન ખાવું કે, ખોટા સમયે ખાવાથી બોડી ક્લોક ખોરવાઈ જાય છે અને પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરી શકતું નથી.

એક કે બે વાર રાત્રે મોડેથી ખાવું નુકસાનકારક નથી. સમસ્યા તો ત્યારે થાય છે, જ્યારે તેની આદત બનાવી લેવામાં આવે. હવે સવાલ એ ઊભો થાય છે કે, કેવી રીતે ઓળખવું કે મોડેથી ખાવું સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યું છે? જણાવી દઈએ કે, તેને કેટલાક લક્ષણો દ્વારા ઓળખી શકાય છે. જો આ આદતના કારણે કબજિયાત, ઝાડા (ડાયરિયા), એસિડ રિફ્લક્સ જેવી તકલીફ થઈ રહી હોય તો આ એક સ્પષ્ટ સંકેત છે, જેને અણદેખ્યો ન કરવો જોઈએ.
ડિસ્ક્લેમર: આ સમાચાર તમને માત્ર જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. TV9 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી. જો તમને કોઈ બીમારી હોય કે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા હોય, તો કંઈ પણ અપનાવતા પહેલાં તમારા ડોક્ટરની સલાહ જરૂર લો. દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય અલગ હોય છે. તેથી, તેની અસર પણ અલગ હોઈ શકે છે.
યૂરિક એસિડથી છો પરેશાન? સવાર-સવારમાં ભૂલથી પણ ન કરો આ 5 કામ, કિડની પર પડશે ‘સીધી અસર’ અને વધશે ‘તકલીફ’
