અમદાવાદ: વિરમગામમાં વીજલાઈન મુદ્દે ખેડૂતો ફરી થયા આક્રમક, વિવિધ માગણી સાથે યોજી વિશાળ આક્રોશ રેલી- Video
અમદાવાદ: વિરમગામમાં વીજલાઈન મુદ્દે ખેડૂતોમાં ફરી વિરોધનો સૂર ઉઠ્યો છે. પાવર ગ્રીડ અને જેટકોના વીજપોલ મુદ્દે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ અગાઉ પણ ખેડૂતોએ આ મુદ્દે વિરોધ નોંધાવી ચુક્યા છે. ત્યારે પોતાની વિવિધ માગણી સાથે ખેડૂતોએ વિશાળ રેલી યોજી અને વિરોધ વ્યક્ત કર્યો હતો.
અમદાવાદમાં વિરમગામમાં વીજલાઈન મુદ્દે ખેડૂતો આક્રમક જોવા મળ્યા છે અને લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ખેડૂતો પહેલેથી પાવર ગ્રીડ અને જેટકોના વીજ પોલ ને પોતાના ખેતરોમાં લગાવવા સામે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે વિવિધ માગમીઓને લઈને ખેડૂતોએ વિશાળ રેલી યોજી. હેવી વીજ લાઈન સામે સુરક્ષા અને યોગ્ય વળતરની માગ કરી. તો અતિવૃષ્ટિથી પાકને થતા નુકસાન અને જમીન ધોવાણનો પ્રશ્ન ઉઠાવ્યો. વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા પંથકના ખેડૂતો આ રેલીમાં જોડાયા હતા. મોરબી અને અમદાવાદના ખેડૂતોના વળતરમાં ભેદભાવનો આક્ષેપ કરવામાં આવ્યો. ખેડૂતોએ વિવિધ માગણી સાથે આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો.
ખેડૂતોનો આક્ષેપ છે કે ખેતરોમાં વીજલાઈન નહીં પરંતુ જગતના તાતની અર્થી નીકળી રહી છે. આક્ષેપ એવો પણ કરાયો કે વીજ કંપની દ્વારા ખેડૂતોને સુરક્ષા સાથે ખેતરોમાં જવા માટે કહેવાયુ છે. હાઈ વોલ્ટેજ ધરાવતી વીજ લાઈનના કારણે ખેડૂતોના જીવ પર પણ જોખમ તોળાઈ રહ્યુ છે. બીજી તરફ સતત પાક નિષ્ફળ જવાને કારણે ખેડૂતોની હાલત કફોડી થઈ છે. ત્યારે વીજ કંપનીના અધિકારી સામે પણ ખેડૂતોએ રોષ ઠાલવ્યો છે. વીજ લાઈન દૂર કરાય અથવા તો યોગ્ય વળતર આપીને ખેડૂતોને જીવન વીમો આપવાની તેમજ પાક નુકસાનીના વળતરની માગ ઉઠી છે.
અંબાજીમાં શક્તિ-ભક્તિ અને સેવાનો રચાશે સમન્વય, ભાદરવી પૂનમે મા અંબાના દરબારમાં 40 લાખથી વધુ ભક્તો કરશે દર્શન- Video
