Ahmedabad Breaking : અમદાવાદમાં ધર્મના નામે ₹21.79 લાખની છેતરપિંડી, જૈન ગુરુના ઓડિયો સંભળાવી ઠગાઈ કરનારો ઝડપાયો
અમદાવાદના આનંદનગરમાં જૈન ગુરુ મહારાજના નામે વેપારી સાથે ₹21.79 લાખની ઠગાઈ આચરનાર 8 પાસ ભેજાબાજ તેજસ શાહને પોલીસે ગાંધીનગરના મહુડી સ્ટાફ ક્વાર્ટરથી ઝડપી લીધો છે. ફોન પર નકલી ઓડિયો સંભળાવી પડાવેલા નાણાં ઓનલાઈન સટ્ટામાં કેવી રીતે ઉડાવી દીધા? જાણો સમગ્ર મામલો.
અમદાવાદના આનંદનગર વિસ્તારમાં દાન અને ધર્મના નામે વેપારી સાથે ₹21.79 લાખની ઠગાઈ આચરનાર તેજસ શાહ નામના શખ્સને પોલીસે ઝડપી લીધો છે.
આરોપીએ વેપારી મયુર શાહને ફોન કરી પોતે ‘નરરત્ન મહારાજ જૈન ઉપાશ્રય પાલડી’ સાથે જોડાયેલો હોવાની ખોટી ઓળખ આપી હતી. વાતચીત દરમિયાન વેપારીનો વિશ્વાસ જીતવા તે બેકગ્રાઉન્ડમાં જૈન ગુરુ મહારાજ બોલતા હોય તેવો નકલી ઓડિયો પ્લે કરતો હતો. ધાર્મિક કાર્યો અને દાનના બહાને તેણે ટુકડે-ટુકડે લાખો રૂપિયા પડાવી લીધા હતા.
છેતરાયાનો અહેસાસ થતાં વેપારીએ ફરિયાદ નોંધાવતા આનંદનગર પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી તેજસ શાહને ગાંધીનગરના મહુડી સ્ટાફ ક્વાર્ટરથી ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં સામે આવ્યું કે માત્ર ધોરણ 8 પાસ આરોપીના પિતા મહુડી મંદિરમાં પરબની નિઃસ્વાર્થ સેવા આપે છે, જ્યારે પુત્રએ ધર્મના નામે પડાવેલા આશરે ₹22 લાખ ઓનલાઇન સટ્ટામાં હારી દીધા હતા. આ ઠગે અન્ય લોકોને પણ શિકાર બનાવ્યા છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
