વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સરકારી કર્મચારીઓએ નમો કે નામ રક્તદાનનું કર્યુ આયોજન, 1.28 લાખ લોકો કરશે રક્તદાન
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતીકાલ 17મી સપ્ટેમ્બરના રોજ 75મો જન્મદિવસ છે. નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સરકારી કર્મચારીઓએ ગુજરાતમાં 378 સ્થળે રક્તદાન કેમ્પનું આયોજન કર્યુ છે. જેમાં 1 લાખ 28 લોકોએ રક્તદાન કરવા પોતાના નામ નોંધાવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે આજે રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા જુના સચિવાલય ખાતે નમો કે નામ રક્તદાન મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું.

ગુજરાતના આરોગ્ય પ્રધાન અને ગુજરાત સરકારના પ્રવકત્તા મંત્રી ઋષિકેશ પટેલે નમો કે નામ રક્તદાન મેગા બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો.

ગુજરાતમાં વિવિધ 378 થી વધુ જગ્યાએ આ ડ્રાઇવ મારફતે મેગા બ્લડ ડોનેશન કરાશે. જેના માટે નમો કે નામ રક્તદાન એપ મારફતે કર્મચારીએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

રાજ્યમાં 1.28 લાખથી વધુ કર્મચારીઓએ નમો કે નામ રક્તદાન ડ્રાઇવ અંતર્ગત બ્લડ ડોનેશન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ તમામ રજીસ્ટ્રેશન વખતે તેમના નજીકના બ્લડ ડોનેશન સેન્ટરને સીલેક્ટ કરીને કર્મચારીઓ બ્લડ ડોનેશન કરવા જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ થયેલ ઓપરેશન સિંદૂરની સફળતાને પગલે વડાપ્રધાનના જન્મદિને મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ દ્વારા મોટી સંખ્યામાં બ્લડ કલેક્ટ કરીને જરૂરીયાતમંદોને મદદરૂપ થવાના આશયથી આ સમગ્ર કેમ્પનું આયોજન કરાયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ સહિત તેમને લગતા તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.