Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે રિવર ક્રુઝનું ઈ-લોકાર્પણ, જુઓ Photos
રિવરફ્રન્ટ અમદાવાદનું સામાજિક-સાંસ્કૃતિક ગતિવિધિઓ નું કેન્દ્ર બન્યું છે. જેમાં 'રિવર ક્રુઝ' અમદાવાદ સહિત ગુજરાત માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ' રિવર ક્રુઝ'નું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.

પોતાના વર્ચ્યુઅલ સંબોધનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે અમદાવાદ નગરને રિવર ક્રુઝના માધ્યમથી નવું નજરાણું મળ્યું છે. એક સમય હતો કે સાબરમતી નદી એક ગંદા પાણીના ખાબોચિયા તરીકે ઓળખાતી હતી, પરંતુ આપણા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રિવરફ્રન્ટની પરિકલ્પના કરી અને સાકાર પણ કરી બતાવી છે.

આજે રિવરફ્રન્ટ માત્ર અમદાવાદ શહેર જ નહિ, રાજ્ય આખાનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એટલું જ નહિ રિવરફ્રન્ટ સામાજિક અને સાંસ્કૃતિક ગતિવિધિઓનું કેન્દ્ર પણ બન્યું છે. અમિત શાહે વધુમાં જણાવ્યું કે અમદાવાદ શહેરમાં કાર્યાન્વિત થનાર રિવર ક્રુઝ શહેરના આકર્ષણોમાં એક વધુ યશકલગી બનશે.

ભારતમાં જ તૈયાર થયેલી આ ક્રુઝ શહેરીજનોની સુવિધા ઉપરાંત સલામતી- સુરક્ષા પણ પૂરી પાડશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે 30 મીટર લાંબી અને 10 મીટર પહોળાઈ ધરાવતા આ ક્રુઝમાં ભોજન, સંગીત જેવી સુવિધા પણ મળવાની છે, તેમાં ફાયર સેફ્ટી સુરક્ષાનાં પાસાંઓને પણ ધ્યાને રખાયાં છે.

અમિત શાહે વધુમાં જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ હંમેશાં પ્રવાસન સ્થળોને વધુ સુવિધાયુક્ત અને આકર્ષક બનાવવાની નેમ રાખી, એટલું જ નહિ, યાત્રાધામોને રોડ- રેલ માર્ગ અને હવાઈ માર્ગથી જોડવાની કામગીરી પણ સંપન્ન કરાવી છે. સાથે સાથે દેશના અન્ય રાજ્યોની સંસ્કૃતિ સાથે ગુજરાતની સંસ્કૃતિને એક તાંતણે બાંધીને ઇકો સિસ્ટમ વિકસાવીને ટુરિઝમ ક્ષેત્રને નવી ઊંચાઈ આપી છે, એવું તેમણે ઉમેર્યું હતું.