Jamnagar : પર્યાવરણ બચાવવા યુવકે કર્યો અનોખો પ્રયાસ, સાયકલ પર 8 રાજ્યોનું ભ્રમણ કરી લોકોને આપ્યો સંદેશ
પર્યાવરણ બચાવ માટે સરકાર અને અનેક લોકો દ્વારા અનેક કવાયત હાથ ધરવામાં આવી છે. તો કેટલાક લોકો સ્વાસ્થ્ય સારુ રહે તે માટે સાયકલ ચલાવતા હોય છે. તો કેટલાક લોકો પર્યાવરણને બચાવવા માટે પણ આ પ્રરકારના પગલા લેતા હોય છે. તો જામનગરના 47 વર્ષીય યુવકે પર્યાવરણ બચાવવા માટે 8 રાજયનું 116 દિવસનો સાયકલ પ્રવાસ કર્યો છે. પ્રવાસ દરમિયાન અંદાજે 60 હજારથી વધુ લોકોને મળીને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો.

જામનગર શહેરના નંદવન સોસયટીમાં રહેતા 47 વર્ષીય ગોવિંદ હામીર નંદાણીયાએ પર્યાવરણ બચાવ માટેનો સંદેશ આપવા 8 રાજયનો પ્રવાસ ખેડયો હતો. 116 દિવસમાં 7900 કિમી યાત્રા પુર્ણ કરીને જામનગર પહોંચ્યા હતા. ત્યારે આહિર સમાજના આગેવાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યો છે.ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા ગોવિંદ હામિર નંદાણિયાએ ગત 28 જુન 2023ના રોજ જામનગરથી સાયકલ યાત્રા શરૂ કરી હતી. 3 માસ અને 26 દિવસ એટલે કે 116 દિવસમાં કુલ 7900 કિમીનો પ્રવાસ ખેડીને પરત ફર્યા છે.

ભારતના 8 રાજયમાં સાયકલથી પ્રવાસ કરીને વિવિધ જગ્યાએ વિવિધ લોકોને અને સંસ્થાઓને મળીને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો છે. ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ, કાશમીર, લદાખ,હિમાચલ પ્રદેશ , હરીયાણા સહીતના 8 રાજયમાં સાયકલથી પ્રવાસ ખેડીને અડધા લાખથી વધુ લોકોને મળીને પર્યાવરણ બચાવ અને સાયકલ ચલાવવા અંગે અપીલ કરી.

ગોવિંદ નંદાણિયાએ 116 દિવસના પ્રવાસમાં દેશના 8 રાજયમાં વસતા 60 હજારથી વધુ લોકોને મળીને પર્યાવરણ બચાવવા અંગે સંદેશ આપ્યો. સાયકલ ચલાવવાથી સારી કસરત થાય છે અને નિયમિત સાયકલનો પ્રવાસના થઈ શકે તો સપ્તાહમાં એક દિવસ સાયકલનો પ્રવાસ કરવો જોઈએ.જે માટે મિત્ર સ્નેહીજનો સાથે મળીને સાયક્લિંગ માટે ગ્રુપ બનાવીને આસપાસના સ્થળો પર સપ્તાહમાં એક દિવસનો પ્રવાસ કરવો જોઈએ. પર્યાવરણ બચાવવા માટે અને પોતાના સ્વાસ્થયને જાળવવા માટે સપ્તાહમાં એક દિવસ રજાના દિવસે સાયક્લિંગ કરવુ જોઈએ.અનેક લોકોએ અપીલને અપનાવીને સપ્તાહમાં એક દિવસ સાયકલથી પ્રવાસનું આયોજન અને અમલીકરણ શરૂ કર્યુ છે.

સાયકલથી 8 રાજયમાં પ્રવાસમાં સૌથી વધુ પ્રેમ, આદર, સત્કાર, મહેમાનગતિ,માન સન્માન ગુજરાતમાં મળ્યુ છે. ગુજરાતના લોકો વધુ માયાળુ હોવાનું ગોવિંદ નંદાણિયાએ જણાવ્યુ છે. આ સાથે પ્રવાસ દરમિયાન જમ્મુ કાશ્મીર અને લદાખ વિસ્તારમાં સુરક્ષા એજન્સીના જવાનોએ ખુબ સહકાર અને મદદરૂપ થયા હતા.

સાયકલ સાથે દૈનિક 10 કલાકનો અને સરેરાશ 100થી 120 કિમીનો પ્રવાસ કરતા. 116 દિવસમાં બે ટાયર, 6 પેન્ડલ બદલવવા પડયા અને 5 વખત સાયકલને રીપેર કરી હતી. કેટલાક વિસ્તારમાં ચાલીને પ્રવાસ પુર્ણ કર્યો. દિવસના અજવાળે જ પ્રવાસ કરતા હતા. 15 ઓગષ્ટે કારગીલ વોર મેમોરીયલમાં જવાનો સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી.