T20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાનના કેપ્ટન સલમાને આગમાં ઘી નાખવાનુ કર્યુ કામ- બાંગ્લાદેશ વિશે આપ્યુ આ નિવેદન
પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ બાંગ્લાદેશ સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે એક મોટુ નિવેદન આપ્યુ છે. તેમનુ આ નિવેદન T-20 વર્લ્ડ કપની શરૂઆતના એક દિવસ પહેલા જ સામે આવ્યુ છે.

T20 WC પહેલાથી જ ઘણો હોબાળો મચાવી ચૂક્યો છે, અને આ હોબાળો હજુ પણ શાંત થવાના કોઈ સંકેત દેખાઈ નથી રહ્યા. મુસ્તફિઝુર રહેમાનને IPL હાંકી કાઢવામાં આવ્યા બાદ, બાંગ્લાદેશની ટીમે ભારતમાં વર્લ્ડ કપ રમવાનો ઇનકાર કર્યો હતો. આ પછી, પાકિસ્તાન પણ સતત ICCને ધમકી આપી રહ્યું છે.

પાકિસ્તાન સરકારે તો જાહેરાત પણ કરી હતી કે તેની ટીમ વર્લ્ડ કપમાં ભારત સામે નહીં રમે. હવે, પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ બાંગ્લાદેશ અંગે એક મોટું નિવેદન આપ્યું છે.

પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી બાકાત રાખવાના નિર્ણય પર ઊંડો ખેદ વ્યક્ત કર્યો છે. સુરક્ષા કારણોસર ભારત પ્રવાસ કરવાનો ઇનકાર કર્યા બાદ અને ગ્રુપ C માં સ્કોટલેન્ડને સ્થાન આપ્યા બાદ બાંગ્લાદેશને ICC દ્વારા ટુર્નામેન્ટમાંથી બહાર કરવામાં આવ્યું હતું. આ ઘટનાક્રમથી માત્ર રમતગમતના ચાહકો નિરાશ થયા નથી પરંતુ દક્ષિણ એશિયાઈ દેશો વચ્ચે એક નવો વિવાદ પણ સર્જાયો છે.

પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાએ આ મુદ્દે બંને દેશોની લાગણીઓ શેર કરી અને બાંગ્લાદેશ ચાહકોનો આભાર માન્યો. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું, "તેઓ અમારા ભાઈઓ જેવા છે. તમારા સમર્થન બદલ ખૂબ ખૂબ આભાર. તે જોઈને ખરેખર દુઃખ થયું કે તેઓ આ વર્લ્ડ કપનો ભાગ નથી, પરંતુ મને આશા છે કે તેઓ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અમને સમર્થન આપતા રહેશે."

આ મામલાની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. જોકે પાકિસ્તાને ટુર્નામેન્ટમાં ભાગ લેવાની પુષ્ટિ કરી છે, પરંતુ વિરોધ રૂપે તેણે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત સામેની હાઇ-વોલ્ટેજ મેચમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે.

પાકિસ્તાનના વડાપ્રધાન શરીફે સ્પષ્ટ કર્યું કે રમતગમતના ક્ષેત્રમાં કોઈ રાજકારણ ન હોવું જોઈએ અને તેમણે બાંગ્લાદેશના સમર્થનમાં મેચ છોડી દેવાનો નિર્ણય લીધો છે.
ICC T20 WC 2026: ભારતની આ ચાલથી બર્બાદ થઈ જશે પાકિસ્તાન ક્રિકેટ, ટીમ ઈન્ડિયા કોલંબો જશે, ટોસ માટે મેદાન પર આવશે સૂર્યકુમાર યાદવ
