Breaking News: પાંચકુવા સિંધી માર્કેટમાં વિકરાળ આગની ચપેટમાં 30 દુકાન, 100 ફાયરકર્મીઓ મેદાનમાં
અમદાવાદના પાંચકુવા વિસ્તારમાં આવેલ સિંધી માર્કેટમાં આજે લાગેલી ભીષણ આગે ભારે વિનાશ નોતર્યો છે. જોતજોતામાં આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે, માર્કેટની 30થી વધુ દુકાન તેની ઝપેટમાં આવી ગઈ છે, જેના કારણે વેપારીઓમાં ભારે ફફડાટ અને અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમદાવાદના પાંચકુવા વિસ્તારમાં આવેલા જાણીતા સિંધી માર્કેટમાં આજે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં જોતજોતામાં 30થી વધુ દુકાનો આગની ચપેટમાં આવી ગઈ હતી, જેના કારણે મોટાપાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડની 21 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને 100 જેટલા ફાયરકર્મીઓ સતત પાણીનો મારો ચલાવી આગ ઓલવવાની કામગીરીમાં વ્યસ્ત છે.
આગ એટલી વિકરાળ છે કે, ચીફ ફાયર ઓફિસર સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા સીધું માર્ગદર્શન આપી રહ્યા છે. હાલમાં પ્રાથમિક રીતે આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી પરંતુ શોર્ટ સર્કિટ હોઈ શકે તેવી આશંકા વચ્ચે તંત્ર દ્વારા આ મામલે ઊંડી તપાસ હાથ ધરવામાં આવશે.
આ પહેલા પણ લાગી ચૂકી છે ‘આગ’
નોંધનીય છે કે, આ પહેલા ભરૂચના પાનોલી GIDCમાં આવેલી એક ખાનગી કંપનીમાં પણ આગ લાગવાની ઘટના બની હતી. આ આગ એટલી વિકરાળ હતી કે, તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળી રહ્યા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે જવા રવાના થઈ ગઈ હતી.
વધુમાં, રાજકોટના કોસ્મોપ્લેક્સ સિનેમામાં આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. સિનેમાના સ્ક્રીન પાસે આવેલા દરવાજા અને બારીના ભાગે આ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે તે સમયે કોઈ શો ચાલુ ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી પરંતુ સાવચેતીના ભાગરૂપે કોસ્મોપ્લેક્સના આજના તમામ શો રદ કરી દેવામાં આવ્યા છે.
