Aravalli: નેત્ર જ્યોતિ અભિયાન થકી 6.36 લાખથી વધારે મફત ઓપરેશન કરવામાં આવ્યા-CM ભૂપેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાત્રક ખાતે બેલાબેન અને યોગેશભાઈ પટેલ આંખની હોસ્પિટલ નું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યાં મુખ્યપ્રધાને આંખના ઓપરેશનને લઈ રાજ્ય સરકારના પ્રયાસને લઈ મહત્વની વાત કરી હતી.

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાત્રક ખાતે બેલાબેન અને યોગેશભાઈ પટેલ આંખની હોસ્પિટલ નું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યાં મુખ્યપ્રધાને આંખના ઓપરેશનને લઈ રાજ્ય સરકારના પ્રયાસને લઈ મહત્વની વાત કરી હતી. રાજ્ય સરકારે આરોગ્યલક્ષી યોજનાઓ થકી અનેક ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને મોટી રાહત કરી સારવાર કરાવી છે. આંખોના ઓપરેશન થકી અનેકના જીવનમાં ઉજાસ પથરાઈ છે.

આરોગ્ય ક્ષેત્રે નેત્ર જ્યોતિ અભિયાન થકી આપણે 6.36 લાખથી વધુ મફત મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા છે. પ્રતિ લાખની વસ્તીએ 1000 મોતિયાના ઓપરેશન કરવાનું લક્ષ્ય છે, જેની સામે આપણને આ સુંદર સફળતા મળી છે. આ હોસ્પિટલ અહીંના આસપાસના વિસ્તારના લોકો માટે ઉપયોગી માધ્યમ પુરવાર થશે, તેવી આશા છે. આરોગ્ય ક્ષેત્રે કોઈ પણ ક્ષેત્રમાં મદદની જરૂર હોય તો સરકાર હંમેશાં તત્પર છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે હમણાં તાજેતરમાં ઊજવાયેલ વિશ્વ આદિવાસી દિવસે સમગ્ર મંત્રીમંડળ દ્વારા આદિજાતિ વિસ્તારોનો પ્રવાસ કરવામાં આવ્યો. આદિવાસી વિસ્તારોનો વિકાસ જોઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવતી વિકાસની રાજનીતિના દર્શન થયા, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે અંતરિયાળ આદિજાતિ વિસ્તારોમાં આજે શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણી, રોડ રસ્તા અને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ બની છે. બાળકો મેડિકલ અને એન્જિનિયરિંગ જેવા ઉચ્ચ અભ્યાસક્રમોમાં જોડાઈ રહ્યા છે અને સરકાર દ્વારા મળતી આર્થિક સહાય તેમને ઉપયોગી બની રહી છે, એનો આનંદ છે, એવું તેમણે ઉમેર્યું હતું.

CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે જસદણના એક નાના ગામમાં પણ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી છે. ત્યાં એક વર્ષ બાદ મુલાકાત લેતા નવા વિભાગો નિર્માણ પામ્યા છે. આયુષ્યમાન કાર્ડ દ્વારા સારામાં સારી હોસ્પિટલોમાં નાગરિકોને મફત સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સારાં કાર્યોમાં પ્રજાના સાથ-સહકાર એટલા જ જરૂરી છે. સારા વિચારોના પરિણામે આ બધું શક્ય બને છે, એવું તેમણે ઉમેર્યું હતું.
