ASICON 2025: ગુજરાતમાં પ્રથમ વખત ભારતના HIV નિષ્ણાતોનું રાષ્ટ્રીય સંમેલન થશે
ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રતિષ્ઠિત સંમેલન યોજાઈ રહ્યું છે. આ સંમેલનનું આયોજન એઇડ્સ સોસાયટી ઓફ ઇન્ડિયા (ASI) દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે દેશમાં HIV નિષ્ણાતોનું સૌથી મોટું તબીબી વ્યાવસાયિક સંગઠન છે.

દેશના HIV તબીબી નિષ્ણાતોનું 16મું રાષ્ટ્રીય સંમેલન (ASICON 2025) આ વર્ષે 21-23 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના અમદાવાદ ખાતે યોજાશે. ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રતિષ્ઠિત સંમેલન યોજાઈ રહ્યું છે. આ સંમેલનનું આયોજન એઇડ્સ સોસાયટી ઓફ ઇન્ડિયા (ASI) દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે દેશમાં HIV નિષ્ણાતોનું સૌથી મોટું તબીબી વ્યાવસાયિક સંગઠન છે.
ASICON 2025 સંમેલનનું ઉદ્ઘાટન 21 ફેબ્રુઆરી 2025ના રોજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે.
ASICON 2025ના તબીબી અને વૈજ્ઞાનિક સહયોગીઓમાં ભારત સરકારના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય હેઠળનું નેશનલ AIDS કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (NACO), રાષ્ટ્રીય ટીબી નાબૂદી કાર્યક્રમ, ગુજરાત મેડિકલ કાઉન્સિલ, ઈન્ફેક્શિયસ ડિસીઝ સોસાયટી ઓફ ગુજરાત, સંયુક્ત રાષ્ટ્રના UNAIDS કાર્યક્રમ, દક્ષિણ આફ્રિકાની AIDS સંશોધન સંસ્થા, વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાત પ્રવાસન અને કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયનું ભારતીય કોન્ફરન્સ પ્રમોશન બ્યુરો પણ ASICON 2025ને સમર્થન આપી રહ્યા છે.
ASICON 2025 સંમેલનમાં દેશભરમાંથી ઘણા HIV ક્લિનિકલ કેર નિષ્ણાતો અને સંશોધકો ભાગ લેશે. ઘણા દેશોના એચઆઈવી નિષ્ણાતો પણ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે, જેમાં, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ઈટાલી, જર્મની, કેન્યા વગેરે જેવા દેશો અગ્રણી છે.
ત્રણ દિવસીય ASICON 2025 સંમેલનમાં અનેક વિષયો પર HIV સંબંધિત તબીબી વ્યાખ્યાનો અને સત્રો યોજાશે, જેમાં મુખ્ય વિષયો આ મુજબ છે: એશિયા પેસિફિક ક્ષેત્ર અને ભારતના લેટેસ્ટ HIV સંબંધિત આંકડાઓ, HIV ટેસ્ટિંગ (ખાસ કરીને HIV સેલ્ફ ટેસ્ટ એટલે કે HIV સ્વ-પરીક્ષણ), એન્ટિરેટ્રોવાયરલ દવાઓ પર લેટેસ્ટ રિસર્ચ પેપર, HIV થી બચવા માટેની નવીનતમ દવાઓ જેવીકે ‘પ્રેપ’ [જેમાં લેન્કાપાવીર નામક દવા સામેલ છે (દર 6 મહિને 1 ઇંજેક્શન), જેના ઉપયોગથી વ્યક્તિ HIVનો ચેપ લાગવાથી લગભગ 100% બચી શકે છે], ‘ડૉક્સી પ્રેપ’ દવા, જે કેટલાક યૌન સંક્રમણો સામે રક્ષણ આપે છે, HIV અને ટીબી કો-ઇન્ફેક્શન, તેમજ HIV અને હિપેટાઇટિસ કો-ઇન્ફેક્શન સંબંધિત લેટેસ્ટ અપડેટ, હ્યુમન પેપિલોમા વાયરસ સંબંધિત કેન્સર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સિક્યોરિટી અને હેલ્થકેર, ક્લાઇમેટ ચેન્જ વગેરે.
ભારત અને HIV
સરકારી રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમ અનુસાર, ભારતમાં એઇડ્સ નિયંત્રણની દિશામાં પ્રશંસનીય પ્રગતિ થઈ છે. 2010ના આંકડાઓની સરખામણીમાં, 2023 સુધીમાં ભારતમાં એઇડ્સનો દર લગભગ અડધો થઈ ગયો હતો (44.23% ઘટાડો) – જે એઇડ્સના દરમાં વૈશ્વિક સ્તરે થયેલા ઘટાડા (39%)થી પણ વધુ હતો. એ જ રીતે, 2010ના આંકડાઓની સરખામણીએ, એઇડ્સના કારણે થતા મૃત્યુના દરમાં પણ 2023 સુધીમાં 79.26% ઘટાડો થયો, જે 2010-2023 દરમિયાન વૈશ્વિક એઇડ્સ મૃત્યુદરમાં થયેલા ઘટાડા (51%) કરતા વધારો હતો.
ભારતમાં 25.44 લાખ લોકો HIV સાથે જીવે છે. ભારતની પુખ્ત વયની વસ્તીમાં HIVનો દર 0.20% છે, જે વૈશ્વિક દર (0.70%) કરતા ઓછો છે. 2023 માં, ભારતમાં 68,450 નવા લોકોમાં HIV પોઝિટિવ હોવાનું નિદાન થયું હતું અને 35,870 લોકો એઇડ્સ સંબંધિત કારણોથી મૃત્યુ પામ્યા હતા. 2023માં, 19,961 સગર્ભા સ્ત્રીઓ એચઆઈવી પોઝીટીવ હતી અને ગર્ભાવસ્થા, ડિલિવરી તેમજ સ્તનપાન દરમિયાન નવજાત શિશુમાં એચઆઈવીનો ચેપ લાગવાનું જોખમ લગભગ શૂન્ય થઈ જાય તે માટે વિશેષ તબીબી દવાઓ અને સહાય પૂરી પાડવામાં આવી હતી.
ગુજરાત અને HIV
સરકારી રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમ અનુસાર, ગુજરાત રાજ્યમાં પુખ્ત વયની વસ્તીમાં HIVનો દર 0.19% છે. 2023માં ગુજરાતમાં 1,20,312 લોકો HIV સાથે જીવતા હતા અને 800 લોકો એઇડ્સ સંબંધિત કારણોથી મૃત્યુ પામ્યા હતા. 2023માં ગુજરાતમાં 2671 નવા લોકોમાં HIV પોઝિટિવ હોવાનું નિદાન થયું હતું. 2010ની સરખામણીએ 2023 સુધી ગુજરાતમાં HIVના દરમાં 56.86% નો ઘટાડો થયો હતો (જે દેશના 2020-2023 દરમિયાન HIVના દરમાં થયેલા 44.23% ના ઘટાડાથી વધુ હતો).
ASICON 2025ના સહ-અધ્યક્ષ ડૉ. હર્ષ તોષનીવાલે જણાવ્યું કે ASICON 2025 સંમેલન ગુજરાતમાં પહેલીવાર આયોજિત થઈ રહ્યું છે, જેનો લાભ સમગ્ર તબીબી સમુદાયને મળશે, જે ગુજરાતને એઇડ્સ નાબૂદીની દિશામાં પ્રગતિ કરવામાં સહાયક બનશે.
એઇડ્સ નાબૂદી માટે ફક્ત 70 મહિના બાકી
ડૉ. ઇશ્વર ગિલાડા કે જેઓ એઇડ્સ સોસાયટી ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અમેરિટસ છે, ઇન્ટરનેશનલ એઇડ્સ સોસાયટી (IAS)ના પ્રેસિડેન્શિયલ બોર્ડના ચૂંટાયેલા સભ્ય અને IAS એશિયા પેસિફિકના પ્રાદેશિક અધ્ય પણ છે, જેઓ જણાવે છે કે, “ભારત સહિત તમામ સરકારોએ વર્ષ 2030 સુધીમાં એઇડ્સને નાબૂદ કરવાનું વચન આપ્યું છે. આ માટે એ જરૂરી છે કે HIV સાથે જીવતી દરેક વ્યક્તિને એ વાતની જાણ હોય કે તેને HIV છે, તેને જીવનરક્ષક એવી એન્ટિરેટ્રોવાયરલ દવાઓની સાથે-સાથે તમામ HIV સેવાઓ મળી રહી હોય અને તેનો વાયરલ લોડ નહિવત્ હોય. વાયરલ લોડ નહિવત્ રહેશે તો અન્ય કોઈને HIVનો ચેપ લાગવાનું જોખમ પણ નહીં રહે, અને HIVની સાથે જીવતી વ્યક્તિ સ્વસ્થ અને ભરપૂર જીવન જીવી શકશે. આપણે વધુ કાર્યક્ષમતા, કાર્યસાધકતા અને અસરકારકતા સાથે એઇડ્સ નિવારણની દિશામાં કામ કરવું પડશે.” 1986માં, જ્યારે ભારતમાં પ્રથમ વ્યક્તિને HIV હોવાનું નિદાન થયું, ત્યારે ડૉ. ગિલાડાએ મુંબઈની સરકારી JJ હોસ્પિટલમાં દેશનું પ્રથમ HIV ક્લિનિક સ્થાપ્યું હતું.
2025 સુધીમાં પૂર્ણ કરવાના છે 95-95-95 લક્ષ્ય
ડૉ ઈશ્વર ગિલાડાએ જણાવ્યું કે, દરેક સરકારે વચન આપ્યું છે કે 2025 સુધીમાં 95% HIV સાથે જીવતા લોકોને પરીક્ષણ દ્વારા એ જાણ થવી જોઈએ કે તેઓ HIV સંક્રમિત છે. તેમાંથી 95% લોકોને જીવનરક્ષક એન્ટી-રેટ્રો-વાઈરલની દવાઓ મળવી જોઈએ, અને જે લોકોને આ દવાઓ મળી રહી છે તેમાંથી 95%નું વાયરલ-લોડ નગણ્ય હોય.
વર્તમાનમાં ભારતમાં 25.44 લાખ લોકો HIV સંક્રમિત છે, જેમાંથી 81% લોકોને તેમના સંક્રમણની પરીક્ષણ દ્વારા જાણ થઈ છે. તેમાંથી 88% લોકોને જીવનરક્ષક એન્ટી-રેટ્રો-વાઈરલની દવાઓ મળી રહી છે, અને જે લોકોને દવાઓ મળી રહી છે તેમાંથી 97% લોકોનો વાઈરલ-લોડ નગણ્ય છે.
વિશ્વમાં 86% લોકોને પરીક્ષણ દ્વારા જાણ થઈ છે કે તેઓ HIV સંક્રમિત છે. તેમાંથી 89% લોકોને જીવનરક્ષક એન્ટી-રેટ્રો-વાઈરલની દવાઓ મળી રહી છે, અને જે લોકોને દવાઓ મળી રહી છે તેમાંથી 93% લોકોનો વાઈરલ-લોડ નહિવત છે.
એઇડ્સ સોસાયટી ઑફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. દિલીપ મથાઈએ જણાવ્યું હતું કે, જે લોકોને HIV એન્ટીરેટ્રોવાઈરલ દવાઓ મળી રહી છે, તે બધાના (100%) વાઈરલ લોડ નગણ્ય રહે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.
2023માં ભારતમાં જે લોકોના HIV પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ હતી તેમાંથી 93% લોકોને જીવનરક્ષક એન્ટીરેટ્રોવાઈરલની દવાઓ મળતી હતી. પરંતુ, આસામ, ચંડીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, પુડ્ડુચેરી અને સિક્કિમ જેવા ઘણાં રાજ્યોમાં આ સંખ્યા ઓછી હતી. ઉદાહરણ તરીકે, પુડ્ડુચેરીમાં 47% અને આસામમાં 76% લોકોને આ દવાઓ પ્રાપ્ત થઈ હતી.
2010થી 2023 દરમિયાન, ભારતમાં HIV દરમાં મોટો ઘટાડો નોંધાયો હતો પરંતુ, અમુક રાજ્યોમાં, જેમ કે, ત્રિપુરા અને અરૂણાચલ પ્રદેશમાં HIV દરમાં 400% નો વધારો થયો અને પંજાબ અને મેઘાલયમાં બમણો થયો હતો. રાષ્ટ્રીય વયસ્ક વસ્તીમાં HIV દર (0.20%) રહ્યો પણ ઘણાં રાજ્યોમાં જેમ કે, મિઝોરમ (2.73%), નાગાલેન્ડ (1.37%), અને મણિપુર (0.87%)માં દર વધ્યો હતો.
ડૉ. ગિલાડાએ જણાવ્યું હતું કે સંશોધનોએ સાબિત કર્યું છે કે HIV સાથે જીવતા લોકો સ્વસ્થ, પરિપૂર્ણ જીવન અને સામાન્ય જીવન જીવી શકે છે. પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે દરેક HIV પોઝિટિવ વ્યક્તિ HIV ટેસ્ટ કરાવી શકે. જો કોઈ કારણસર કોઈ વ્યક્તિ HIV ટેસ્ટિંગ એટલે કે HIV પરીક્ષણ કરાવવામાં અસમર્થ હોય, તો તેઓ શક્યતઃ HIV સેલ્ફ-ટેસ્ટનો ઉપયોગ કરાવીને પોતાનું પરીક્ષણ કરાવે અને પછી HIVની વ્યાપક સ્વાસ્થ્ય સેવાઓ અને પરામર્શ સાથે જોડાઇ શકે છે. આવી દરેક વ્યક્તિને જીવનરક્ષક એન્ટિરેટ્રોવાયરલ દવાઓ મળવી આવશ્યક છે અને તેનો વાયરલ લોડ નહિવત્ રહેવો જરૂરી છે, જેના કારણે તે પોતે સ્વસ્થ રહે, અને તેના દ્વારા કોઈને પણ HIVનો ચેપ લાગવાનું જોખમ પણ ન રહે. આ પ્રમાણે HIVથી બચવાના તમામ સાધનો જનતાને ઉપલબ્ધ હોવા જોઇએ. ‘પ્રેપ’ દવાને સરકારી HIV સ્વાસ્થ્ય સેવાઓમાં સામેલ કરવી જોઇએ.