બેંકોમાં પડ્યા છે રૂ. 98,073 કરોડ, લેવા વાળું કોઈ નથી! જાણો તમારા કે પરિવારના ભૂલાયેલા પૈસા પાછા મેળવવાની રીત
ભારતીય બેંકોમાં વગર દાવે પડેલી રકમ સતત વધી રહી છે. દેશની વિવિધ બેંકોએ રૂ. 98,073 કરોડની અનક્લેમ્ડ ડિપોઝિટ RBI ના DEA ફંડમાં ટ્રાન્સફર કરી છે. જાણો કઈ બેંકમાં સૌથી વધુ પૈસા છે અને RBI એ બેંકોને શું ખાસ સૂચના આપી છે.

ભારતીય બેંકોમાં લાંબા સમયથી વગર દાવે (Unclaimed) પડેલી રકમ સતત વધી રહી છે. બેંકોએ 31 જાન્યુઆરી 2026 સુધીમાં પોતાના ખાતામાં જમા અંદાજે રૂ. 98,073 કરોડની અનક્લેમ્ડ ડિપોઝિટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના 'ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ' (DEA Fund) માં ટ્રાન્સફર કરી દીધી છે. 30 જૂન 2025 ના રોજ આ રકમ રૂ. 90,545 કરોડ હતી, એટલે કે આશરે સાત મહિનામાં તેમાં રૂ. 7,528 કરોડનો મોટો વધારો થયો છે.

નાણા મંત્રાલય દ્વારા સંસદમાં આપવામાં આવેલા આંકડા દર્શાવે છે કે મોટી સંખ્યામાં બેંક ખાતાઓમાં જમા રકમ પર ખાતેદાર કે તેમના પરિવાર દ્વારા લાંબા સમયથી કોઈ દાવો કરવામાં આવ્યો નથી. જોકે, DEA ફંડમાં પૈસા ટ્રાન્સફર થવાનો અર્થ એ નથી કે ખાતેદાર કે તેમના કાનૂની વારસદારનો તે નાણા પરથી હક ખતમ થઈ ગયો છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં સૌથી વધુ અનક્લેમ્ડ નાણા: RBI ના DEA ફંડમાં સૌથી વધુ રકમ એસબીઆઈ (SBI) એ રૂ. 20,040 કરોડ ટ્રાન્સફર કરી છે. ત્યારબાદ પંજાબ નેશનલ બેંક (PNB) ના રૂ. 7,585 કરોડ આ ફંડમાં છે. આ સિવાય કેનરા બેંકના રૂ. 6,830 કરોડ, બેંક ઓફ બરોડાના રૂ. 5,848 કરોડ અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના રૂ. 5,549 કરોડ જમા છે. પ્રાઇવેટ બેંકોની વાત કરીએ તો આઇસીઆઇસીઆઇ બેંકે રૂ. 2,278 કરોડ, એચડીએફસી બેંકે રૂ. 1,912 કરોડ અને એક્સિસ બેંકે રૂ. 1,734 કરોડ DEA ફંડમાં મોકલ્યા છે.

બેંકોમાં શા માટે વગર દાવે રહી જાય છે પૈસા? RBI ના જણાવ્યા મુજબ, ઘણા બેંક ખાતાઓમાં ગ્રાહકોની માહિતી જૂની અથવા અપૂર્ણ હોય છે. જૂનું સરનામું, બદલાયેલો મોબાઇલ નંબર કે અપડેટ ન થયેલું ઇમેઇલ આઇડી જેવા કારણોસર બેંક ખાતેદારોનો સંપર્ક કરી શકતી નથી. ઘણા કિસ્સાઓમાં ખાતેદારના મૃત્યુ પછી પણ ખાતામાં જમા રકમ વગર દાવે પડી રહે છે, કારણ કે પરિવારના સભ્યો કે નોમિનીને તે ખાતાની જાણકારી જ નથી હોતી અથવા જરૂરી દસ્તાવેજોના અભાવે તેઓ પૈસા ઉપાડી શકતા નથી.

પૈસા DEA Fund માં ગયા પછી શું થશે? જ્યારે કોઈ બેંક ખાતામાં જમા રકમ નિશ્ચિત સમયગાળા સુધી અનક્લેમ્ડ રહે છે, ત્યારે બેંક તેને RBI ના DEA ફંડમાં મોકલે છે. પરંતુ આનાથી ખાતેદાર કે તેના વારસદારનો હક પૂરો થતો નથી. જો કોઈ પાત્ર દાવેદાર યોગ્ય પુરાવા અને દસ્તાવેજો સાથે અરજી કરે તો સંબંધિત બેંક મારફતે નાણાં પાછા મેળવી શકાય છે.

RBI એ બેંકોને આપી ખાસ સૂચનાઓ: RBI એ બેંકોને નિષ્ક્રિય અને અનક્લેમ્ડ ખાતા ધરાવતા ખાતેદારો, નોમિની અને વારસદારોની શોધખોળ કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત બેંકોને પોતાની વેબસાઇટ પર અનક્લેમ્ડ ડિપોઝિટ સંબંધિત માહિતી નિયમિત અપડેટ કરવા જણાવ્યું છે, જેથી લોકો પોતાના કે પરિવારના ભૂલાયેલા બેંક ખાતાઓની માહિતી મેળવી શકે.

આ સિવાય બેંકોને નાણાકીય સાક્ષરતા અને જાગૃતિ કાર્યક્રમો યોજવા કહેવામાં આવ્યું છે, જેનાથી લોકોને ખબર પડી શકે કે બંધ પડેલા ખાતાઓને ફરી કેવી રીતે ચાલુ કરવા અને અનક્લેમ્ડ નાણા પર દાવો કેવી રીતે કરવો.

ખાતેદારોએ પણ આ બાબતો ધ્યાને રાખવી જરૂરી: 1. તમારા બેંક ખાતામાં મોબાઇલ નંબર, સરનામું, ઇમેઇલ અને નોમિનીની વિગતો હંમેશા અપડેટ રાખો. 2. પરિવારના સભ્યોને તમારા તમામ બેંક ખાતા અને રોકાણ વિશે મૂળભૂત માહિતી આપીને રાખો. 3. તમામ મહત્વપૂર્ણ નાણાકીય દસ્તાવેજો યોગ્ય રીતે સાચવીને રાખો જેથી ભવિષ્યમાં ક્લેમ કરતી વખતે પરિવારને કોઈ મુશ્કેલી ન પડે.
સરકારની તિજોરી છલકાઈ, ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 23% વધીને ₹8.11 લાખ કરોડ પહોંચ્યું, STT કલેક્શનમાં 51% નો મોટો ઉછાળો
