ભારતમાં રહે છે, છતાં વસ્તી ગણતરીથી બહાર! ક્યાં વસે છે આ લોકો?
આંદામાનના ઉત્તર સેન્ટીનેલ ટાપુ પર હજારો વર્ષોથી વસવાટ કરતી સેન્ટિનેલીઝ જનજાતિ આજ પણ બાહ્ય સમાજથી સંપૂર્ણપણે અલગ જીવન જીવે છે અને ભારતની સત્તાવાર વસ્તી ગણતરીમાં તેમનો સમાવેશ કરવામાં આવતો નથી.

આધુનિક ટેક્નોલોજી અને ઇન્ટરનેટના કારણે દુનિયા એકબીજાની નજીક આવી ગઈ છે. છતાં ભારતની અંદર આજે પણ એક એવી જનજાતિ વસે છે, જે આધુનિક સમાજથી સંપૂર્ણપણે દૂર રહીને પોતાનું પરંપરાગત જીવન જીવે છે. ખાસ વાત એ છે કે તેઓ ભારતીય નાગરિક હોવા છતાં સત્તાવાર વસ્તી ગણતરીમાં તેમનો સમાવેશ કરવામાં આવતો નથી. ચાલો, આ અનોખી જનજાતિ વિશે જાણીએ.

આધુનિક ટેક્નોલોજી અને ઝડપી સંચારના યુગમાં પણ દુનિયામાં કેટલાક માનવ સમુદાયો એવા છે, જેઓ આજ સુધી આધુનિક સમાજથી દૂર અને પોતાની અલગ જીવનશૈલી સાથે રહે છે. આવા અનેક જૂથો બાહ્ય દુનિયા સાથે ખૂબ જ ઓછો સંપર્ક રાખે છે.

આવા અનેક સ્વદેશી સમુદાયો વિશ્વના અલગ-અલગ દેશોમાં જોવા મળે છે, ખાસ કરીને દક્ષિણ અમેરિકા, એશિયા અને પેસિફિક વિસ્તારના જંગલો અને ટાપુઓમાં. એમેઝોનના ગાઢ જંગલોથી લઈને ઇન્ડોનેશિયા અને ભારતના દૂરના ટાપુઓ સુધી, આ લોકો આજે પણ પોતાની જૂની પરંપરાઓ અને જીવનશૈલીને જાળવીને રહે છે.

ઉત્તર સેન્ટીનેલ ટાપુ ભારતના આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહનો એક નાનો અને દૂરનો ટાપુ છે, જેનું ક્ષેત્રફળ આશરે 60 ચોરસ કિલોમીટર છે. સેન્ટિનેલીઝ લોકો અહીં લાંબા સમયથી વસવાટ કરે છે અને આજે પણ પોતાની પરંપરાગત જીવનશૈલી જાળવી રાખે છે. વૈજ્ઞાનિકોના મતે, તેઓ આફ્રિકાથી હજારો વર્ષ પહેલાં સ્થળાંતર કરનારા પ્રાચીન માનવ સમુદાયોના વંશજો સાથે જોડાયેલા છે.

સેન્ટિનેલીઝ લોકો પોતાના સમુદાયને શું નામ આપે છે તે અંગે આજ સુધી ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. તેઓ બહારની દુનિયાથી દૂર રહીને જીવન પસાર કરે છે અને પોતાની જરૂરિયાતો માટે મુખ્યત્વે શિકાર, માછીમારી અને જંગલમાંથી મળતી વિવિધ વસ્તુઓ પર આધાર રાખે છે.

સેન્ટિનેલીઝ લોકો આધુનિક સાધનો અને ટેક્નોલોજીથી દૂર રહે છે. જોકે, તેઓ કુદરતી લાકડાનો ઉપયોગ કરીને નાની અને મજબૂત નાવડીઓ બનાવવાની પરંપરાગત કળામાં નિષ્ણાત છે.

આ નાવડીઓનો ઉપયોગ સેન્ટિનેલીઝ લોકો દરિયાના છીછરા પાણીમાં માછીમારી કરવા માટે કરે છે. તેઓ પરંપરાગત રીતે ધનુષ્ય અને તીરની મદદથી શિકાર પણ કરે છે. તેમના વિસ્તારમાં બહારના લોકોની દખલગીરી, જંગલ સાથે છેડછાડ અથવા અન્ય પ્રવૃત્તિઓ થાય ત્યારે તેઓ તેનો વિરોધ કરે છે.

ભારતમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે, પરંતુ ઉત્તર સેન્ટીનેલ ટાપુ પર બહારના લોકોનો પ્રવેશ પ્રતિબંધિત હોવાથી અધિકારીઓ ત્યાં જઈ શકતા નથી. આ કારણે સેન્ટિનેલીઝ સમુદાયની ચોક્કસ વસ્તી જાણી શકાતી નથી અને માત્ર અંદાજના આધારે તેમની સંખ્યા જણાવવામાં આવે છે.

સેન્ટિનેલીઝ લોકોની ચોક્કસ સંખ્યા જાણીતી નથી, પરંતુ વિવિધ અંદાજ મુજબ ટાપુ પર આશરે 50થી 150 લોકો રહેતા હોવાનું માનવામાં આવે છે. તેમની સુરક્ષા અને પરંપરાગત જીવનશૈલી જળવાઈ રહે તે માટે સરકારે ઉત્તર સેન્ટીનેલ વિસ્તારને પ્રતિબંધિત જાહેર કર્યો છે. આ કારણસર તેઓ ભારતનો ભાગ હોવા છતાં સામાન્ય વસ્તી ગણતરીના આંકડામાં નોંધાતા નથી. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.)
જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.
