Sabarkantha: ઈઝરાયલની મદદથી પ્રાંતિજના ખેડૂતો મેળવી રહ્યા છે મોટો ફાયદો, સુંદર સ્મારક સંબંધોની સુવાસ ફેલાવે છે, જુઓ Photo

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વિસ્તારમાં શાકભાજીની ખેતી ખૂબ જ સારા પ્રમાણમાં થાય છે. અહીંના ખેડૂતો કોબીજ અને ફલાવરની ખેતી સારા પ્રમાણમાં કરતા હોય છે. શાકભાજીના ખેડૂતોની ધગશ અને મહેનતને વધુ સારુ પરીણામ મળી રહે એ માટે ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા ઈઝરાયલ સરકારના સહયોગથી એક્સલન્સ સેન્ટર ખોલવામાં આવ્યુ છે.

ઈઝરાયલના કૃષિ વૈજ્ઞાનિકો અને અધિકારીઓ તેમજ કૃષિ પ્રધાન એક્સલન્સ સેન્ટરની મુલાકાત લઈ યોગ્ય માર્ગદર્શન સાથે તૈયાર કરવામાં આવ્યુ હતુ.વદરાડ સ્થિત શાકભાજી માટે તૈયાર કરવામાં આવેલ એક્સલન્સ સેન્ટર ખાતે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાથે મુલાકાત વર્ષ 2018માં અહીં લીધી હતી.

ભારત અને ઈઝરાયલના વડાપ્રધાને વર્ષ 2018માં વદરાડ સ્થિત એક્સલન્સ સેન્ટરની મુલાકાત લેવા દરમિયાન સંબંધોના પ્રતિક રુપ સ્મારકને ખુલ્લુ મુક્યુ હતુ. આ સ્મારક બંને દેશની દોસ્તીનો સંદેશો આપી રહ્યુ હોય એમ બંને દેશના વડાપ્રધાને સાથે મળીને ખુલ્લુ મુક્યુ હતુ. જે સુરેન્દ્રનગરના ધ્રાગધ્રા વિસ્તારના ખાસ દુધીયા પત્થરને ઉત્તમ કારીગરો દ્વારા નક્શી કામ વડે તૈયાર કરવામાં આવ્યુ હતુ.

એક્સલન્સ સેન્ટર ખાતે ઈઝરાયલની આધુનિક ખેતીની ટેકનીક હેઠળ શાકભાજીના રોપા તૈયાર કરવામાં આવે છે. જે રોપાને આસપાસના ખેડૂતોને પૂરા પાડવામાં આવે છે. આ રોપા વડે ખેડૂતો શાકભાજીનુ ગુણવત્તાસભર શ્રેષ્ઠ ઉત્પાદન મેળવી રહ્યા છે. આમ ખેડૂતોની આર્થિક સદ્ધરતા વધે એ માટે ગુજરાત સરકાર અને ભારત સરકારે પ્રયાસ કર્યો હતો. આ માટે ઈઝરાયલ તેમાં મહત્વનો સહયોગ પૂરો પાડ્યો હતો.

ખેડૂતોને પણ ઉત્પાદન સારુ થવા સાથે આવકમાં વધારો થઈ રહ્યો છે. ખેડૂતોને માટે એક્સલન્સ સેન્ટર મહત્વનુ સાબિત થઈ રહ્યુ છે. વિસ્તારના ખેડૂતોને તેનો સારો લાભ મળી રહ્યો છે. ખેડૂતોને ખેતીની આધુનિક કૃષિ ટેકનોલોજી ઉપરાંત તૈયાર કરેલા શાકભાજીના રોપા સારી ગુણવત્તાના મળી રહે છે.

એક્સલન્સ સેન્ટર ખાતે 20 જેટલા સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવેલ છે. જેમાં ઉચ્ચ ગુણવત્તાના અલગ અલગ પ્રકારના મરચાં, ટામેટા, ચેરી ટામેટા, કાકડી, તડબૂચ, ભીંડા, બ્રોકોલી અને રિંગણ સહિત અલગ અલગ શાકભાજીને પણ તૈયાર કરવામાં આવે છે. જેને જોવા તેમજ તેમાથી જ્ઞાન મેળવવા ખેડૂતો દૂર દૂરથી આવતા હોય છે.
