03 ઓગસ્ટના મહત્વના સમાચાર : સુરતના સાંસદ મુકેશ દલાલે કહ્યું – ખાડી પૂર માનવ સર્જીત દબાણને કારણે, પ્રજાનો રોષ વ્યાજબી
આજે 03 ઓગસ્ટને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 03 ઓગસ્ટને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
સુરતના સાંસદ મુકેશ દલાલે કહ્યું – ખાડી પૂર માનવ સર્જીત દબાણને કારણે, પ્રજાનો રોષ વ્યાજબી
સુરત માં તાજેતરમાં આવેલા ખાડી પૂરથી અનેક લોકોને પારાવાર નુકસાન થયુ છે. આ નુકસાન અંગે સુરતના સાંસદે ખાડી પૂરને માનવ સર્જીત દબાણને કારણે આવ્યું હોવાનું જણાવ્યું છે. ભૌગોલિક ફેરફારો અને પુરાણથી સ્થિતિ ગંભીર બની છે. ખાડી પૂર માટે વિસ્તૃત DPR તૈયાર કરવાની જાહેરાત કરી હતી. તમામ 7 ખાડીઓનો વિગતવાર અભ્યાસ કરાશે. ખાડીના અવરોધો દૂર કરી કાયમી ઉકેલ લવાશે. પ્રજાનો રોષ વ્યાજબી હોવાનું મુકેશ દલાલનું નિવેદન
-
ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર 8 સપ્ટેમ્બરથી યોજાશે
ગુજરાત વિધાનસભાનું ચોમાસુ આગામી સપ્ટેમ્બરમાં ત્રણ દિવસ માટે મળશે સત્ર. ચોમાસુ સત્રનો પ્રારંભ 8 સપ્ટેમ્બરથી થશે અને સમાપન 10 સપ્ટેમ્બરે થશે. ચોમાસુ સત્ર માટે રાજ્યપાલે આહ્વાન કર્યું છે.
-
-
દતિયા બેઠક પર કોંગ્રેસના ઘનશ્યામ સિંહનો વિજય – ભાજપની હાર
મધ્યપ્રદેશની દતિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઘનશ્યામ સિંહે ભાજપના ઉમેદવારને 6,029 મતોથી હરાવ્યા છે.
-
રાજકોટના જેતપુરમાં કુખ્યાત વ્યાજખોરને પકડીને જેલના સળીયા પાછળ ધકેલતી ગ્રામ્ય પોલીસ
રાજકોટના જેતપુરમાં વ્યાજખોર સામે ગ્રામ્ય પોલીસે કાર્યવાહી કરીને જેલભેગો કર્યો છે. જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, અશોક રાઠોડ નામના ફરિયાદીએ વર્ષ 2018 થી 2021 માં 24 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા.આ અંગે કુલ 41 લાખ રૂપિયા પરત કર્યા છતાં પઠાણી ઉધરાણી કરતો હતો. આરોપી જયેશ ભૂતની પોલીસે ધરપકડ કરી. આરોપી રૂપિયા વસૂલવા માટે ફરિયાદીની દિકરી અને ભાણી પર અભદ્ર ટિપ્પણી કરતો હતો. આરોપીના ઘરેથી 10 જેટલા ચેક કબ્જે કર્યા છે. જેમાં 35 લાખ રૂપિયાની રકમ હોવાનું સામે આવ્યું.
-
જામનગરમાં આરોગ્ય વિભાગે, 171 વાસી ખોરાક અને 75 પેકેટ એક્સપાયરી ડેટવાળો માલ જપ્ત કરી નાશ કર્યો
જામનગરમાં મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ, શહેરના વિવિધ વિસ્તારોમાં 38 પેઢીઓમાં સઘન તપાસ હાથ ધરી હતી. અસ્વચ્છ સ્થળેથી 171 વાસી ખોરાક અને 75 પેકેટ એક્સપાયરી ડેટવાળો માલ જપ્ત કરી નાશ કરાયો. રેકડી અને હોટેલોમાંથી 53 kg પ્રિન્ટેડ પસ્તીનો જથ્થો નાશ કરાયો. ગુલાબનગરમાં વિના લાયસન્સે મટનનું વેચાણ કરનાર સામે એડજ્યુડીકેટીંગમાં ફરિયાદ દાખલ. હાઇજેનિક કંડિશન જાળવવા કડક સૂચના. પનીર, ચીઝ કે બટરના એનાલોગ વાપરતા વેપારીઓએ ગ્રાહકોને બિલ અને બોર્ડ પર સ્પષ્ટતા કરવી ફરજિયાત. ખાદ્ય પદાર્થોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને હાઇજેનિક કંડિશન જાળવવા મનપાની તાકીદ. મરચું-ધાણાજીરું પાવડરના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા છે. બેડી બંદર, જોડિયા ભૂંગા સહિતના વિસ્તારોમાંથી પાણી અને ખાદ્ય સામગ્રીના કુલ 9 નમૂના લેવાયા છે.
-
-
પ્રશાંત કિશોરની પત્નીએ બાંકીપુરના લોકોનો માન્યો આભાર
જન સુરાજના વડા પ્રશાંત કિશોરે, બિહારના બાંકીપુર વિધાનસભા મત વિસ્તારની પેટાચૂંટણીમાં પોતાની લીડ જાળવી રાખી રહ્યા છે. પ્રશાંત કિશોરની પત્ની ડૉ. જાહ્નવી દાસે કહ્યું, “હું બાંકીપુરના લોકોનો હૃદયથી આભાર માનું છું… તેમણે આ જીત માટે ખૂબ જ મહેનત કરી છે…”
#WATCH | Patna | As Jan Suraaj, chief Prashant Kishor continues his lead in the Bankipur bypoll
Wife of Jan Suraaj chief Prashant Kishor, Dr. Jahnavi Das, says, “I thank the people of Bankipur from the core of my heart…He worked very hard for this victory…” pic.twitter.com/UOD2SyBVbi
— ANI (@ANI) August 3, 2026
-
સુરત-અમદાવાદ, સુરત-રાજકોટ અને સુરત-ભાવનગર રૂટ પર 50થી 70 સીટના વિમાનો શરૂ કરવા SGCCI ની માંગ
ગાંધીનગરમાં SGCCIના પ્રતિનિધિઓએ દક્ષિણ ગુજરાતના વેપાર-ઉદ્યોગના પ્રશ્નો રજૂ કર્યા. સુરત-અમદાવાદ, સુરત-રાજકોટ અને સુરત-ભાવનગર રૂટ પર 50થી 70 સીટર વિમાનો શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. GETCOના દક્ષિણ ઝોનનું મુખ્ય મથક વડોદરાથી સુરત ખસેડવાની રજૂઆત. ચીફ લિફ્ટ એન્ડ એસ્કેલેટર ઇન્સ્પેક્ટરની કચેરી પણ સુરતમાં શરૂ કરવાની માંગ. ટેક્સટાઇલ પોલિસીની DLAC સમિતિમાં પ્રાદેશિક ચેમ્બર્સને સ્થાન આપવાની રજૂઆત કરવામાં આવી છે. પૂરગ્રસ્ત MSME એકમોને રાહત પેકેજ અને મિલકત વેરામાં છૂટની માંગ. આ ખાડી પૂરને લઈને આશરે 139 કરોડ રૂપિયા નું નુકસાન સુરતના ઉદ્યોગોને થયું છે. સુરતની વર્ષોથી અટવાયેલી TP સ્કીમોને ઝડપથી મંજૂરી આપવા રજૂઆત. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તમામ રજૂઆતો પર હકારાત્મક વિચારણા કરવાની ખાતરી આપી છે.
-
19મા રાઉન્ડ પછી પ્રશાંત કિશોર બિહારની બાંકીપુર બેઠક પર 11,000 કરતા પણ વધુ મતોથી આગળ
જન સુરાજ પાર્ટીના પ્રશાંત કિશોરસ બિહારના હાઈ-પ્રોફાઇલ એવા બાંકીપુર મતવિસ્તારમાં નોંધપાત્ર લીડ જાળવી રાખી છે. 19માં રાઉન્ડની ગણતરી પછી, તેમણે 11,289 મતોની લીડ સ્થાપિત કરી છે. અત્યાર સુધીમાં, તેમણે 38201 મત મેળવ્યા છે.
-
GTUના ઇન્ચાર્જ કુલપતિ તરીકે વૈભવ ભટ્ટની નિમણૂક
અમદાવાદમાં આવેલ GTUના ઇન્ચાર્જ કુલપતિ તરીકે વૈભવ ભટ્ટની નિમણૂક. કુલપતી તરીકે રાજુલ ગજ્જરની ટર્મ આજે પૂર્ણ થઈ રહી છે. સાંજે ટર્મ પૂર્ણ થાય એ પૂર્વે ઇન્ચાર્જ વીસીના નામની જાહેરાત કરાઈ છે. વૈભવ ભટ્ટ GTUના જ અપ્લાયડ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના છે ડાયરેક્ટર.
-
અમદાવાદના વસ્ત્રાલ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં રજાના દિવસે મહિલાઓ સાથે યુવકો નાહતા હોવાનો વીડિયો વાયરલ થતા વિવાદ
વસ્ત્રાલ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં ફરી વિવાદ સર્જાયો છે. રજાના દિવસે મહિલાઓ સાથે યુવકો નાહતા હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતા હડકંપ મચ્યો છે. વીડિયો વાયરલ થતા કોન્ટ્રાકટરની દાદાગીરી સામે આવી છે. શંકાના આધારે ત્રણ વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન રદ્દ કરી નાખ્યા છે. કોંગ્રેસના નેતાએ કોન્ટ્રાકટરને આપી ચીમકી. દસ દિવસમાં બ્લેક લીસ્ટ ના થાય તો ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી છે.
-
વડોદરાના માંજલપુરની પેટાચૂંટણી હારેલા કોંગ્રેસના ઉમેદવારનો બળાપો : સામ, દામ, દંડ, ભેદથી કોઈપણ ભોગે મને હરાવવાનો પ્રયાસ થયો
માંજલપુર પેટાચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ રબારીનું નિવેદન. સામ, દામ, દંડ, ભેદથી કોઈપણ ભોગે મને હરાવવાનો પ્રયાસ થયો છે. મુખ્યમંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી અને ધારાસભ્યો સહિત આખી સરકારી મશીનરી મારી વિરુદ્ધ ઉતારી દેવાઈ હતી. મારા વિરુદ્ધ ભયનો માહોલ પેદા કરવામાં આવ્યો હતો. ચૂંટણીમાં આચારસંહિતાનો સરેઆમ ભંગ થયો હોવાનો ભીખાભાઈ રબારીનો આક્ષેપ કર્યો છે. ખેસ પહેરીને નીકળ્યા, ઢોલ-નગારા વગાડ્યા, મારા મતદારો ગભરાઈ ગયા. મારા કાર્યકરોને મારવામાં આવ્યા” લોકશાહી રીતે ચૂંટણી લડી શક્યો નથી, મને ન્યાય મળ્યો નથી. આચારસંહિતાના ભંગથી મને ભારે દુઃખ થયું . છેલ્લી ઘડી સુધી જનતાનો મને સારો પ્રતિસાદ મળ્યો હતો. 50 વર્ષથી વડોદરા શહેર અને મતવિસ્તારની સેવા કરી રહ્યો છું. મરતા સુધી જનતાની સેવા કરતો રહીશ તેમ તેમણે જણાવ્યું હતું.
-
રાજકોટમાં વીજપોલ મુદ્દે કોંગ્રેસનો વિરોધ, ખેડૂતોને વળતરની માંગ
રાજકોટમાં ખેતરોમાં ઉભા કરવામાં આવેલા વીજપોલના મુદ્દે કોંગ્રેસે ખેડૂતો સાથે મળીને કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂત સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસના આગેવાનો ખેડૂતોને સાથે રાખી જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર આપ્યું હતું. રજૂઆત દરમિયાન ખેતરમાં વીજપોલ ઊભા કરવાના કારણે ખેડૂતોને થતા નુકસાન બદલ યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસે ખેડૂતોના હિતમાં તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવા અને તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી.
-
વડોદરાની માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, બેઠક જાળવી રાખી
વડોદરાની માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત નોંધાવી છે અને બેઠક પર પોતાનો કબજો યથાવત રાખ્યો છે. 16 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થતાં ભાજપના ઉમેદવાર સતેન્દ્ર પટેલ 25,794 મતની જંગી સરસાઈ સાથે આગળ રહ્યા હતા, જેના કારણે બાકીના ત્રણ રાઉન્ડમાં આ લીડ કાપવી કોંગ્રેસ માટે શક્ય ન હોવાથી ભાજપનો વિજય નિશ્ચિત બન્યો હતો. 16 રાઉન્ડના અંતે ભાજપને કુલ 46,567 મત જ્યારે કોંગ્રેસને 20,773 મત મળ્યા હતા. 16મા રાઉન્ડમાં ભાજપને 3,136 અને કોંગ્રેસને 1,541 મત મળ્યા હતા, જ્યારે NOTAમાં કુલ 1,877 મત નોંધાયા હતા. નોંધનીય છે કે પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલ સતત આ બેઠક જીતતા રહ્યા હતા અને હવે પેટાચૂંટણીમાં પણ ભાજપે આ બેઠક જાળવી રાખવામાં સફળતા મેળવી છે.
-
સુરતમાં માતૃશક્તિ યોજનાના કઠોળના જથ્થા પર વિવાદ, એક્સપાયર્ડ માલ મળ્યાનો આક્ષેપ
સુરતના પાંડેસરા વિસ્તારમાં માતૃશક્તિ યોજના હેઠળ વિતરણ માટે આવેલા કઠોળના જથ્થાને લઈને વિવાદ ઊભો થયો છે. તપાસ દરમિયાન સગર્ભા મહિલાઓ અને માતાઓને આપવામાં આવતો કઠોળનો જથ્થો એક્સપાયર્ડ અને ઉપયોગ માટે અયોગ્ય હોવાનું સામે આવ્યું છે. મહિલાઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં થયાના આક્ષેપો વચ્ચે સ્થાનિકોએ વહીવટી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે. બીજી તરફ સંબંધિત દુકાનદારનો દાવો છે કે આ પડતર જથ્થો સરકારી ગોડાઉનમાંથી જ મોકલવામાં આવ્યો હતો. સમગ્ર મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
-
નવસારીના સિંગાડ ગ્રામ પંચાયતના સરપંચ બરતરફ, મનરેગા કૌભાંડમાં કાર્યવાહી
નવસારી જિલ્લાના સિંગાડ ગ્રામ પંચાયતના સરપંચને મનરેગા યોજનામાં કથિત કૌભાંડ સામે આવતા બરતરફ કરવામાં આવ્યા છે. સરપંચને પદ પરથી દૂર કર્યા બાદ ગ્રામ પંચાયતનો વહીવટી ચાર્જ ઉપસરપંચને સોંપવામાં આવ્યો છે. તાલુકા વિકાસ અધિકારીએ આ મામલે 8 લાખ રૂપિયાથી વધુની રિકવરી કરવાનો આદેશ પણ કર્યો છે. નિર્ધારિત સમય મર્યાદામાં રિકવરી નહીં કરવામાં આવે તો સંબંધિત જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
-
રાજકોટમાં ગર્ભાશયના ઓપરેશન બાદ મહિલાનું મોત, પરિવારનો હોસ્પિટલ સામે આક્ષેપ
રાજકોટમાં ગર્ભાશયના ઓપરેશન બાદ એક મહિલાનું મોત થતાં મામલો ગરમાયો છે. મૃતકના પરિવારજનોએ ખાનગી બાલાજી હોસ્પિટલના સ્ટાફ અને તબીબોની બેદરકારીના ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારનો દાવો છે કે સર્જને ટેલિફોનિક માહિતીના આધારે ઓપરેશન કરવાનો નિર્ણય લીધો હતો, જેના બાદ ડૉ. કવિતા લાડાણીએ ઓપરેશન કર્યું અને ત્યારબાદ દર્દીની તબિયત લથડી હતી. સ્થિતિ ગંભીર બનતાં દર્દીને ઓલમ્પસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં આશરે 12 કલાકની સારવાર બાદ તેનું મોત થયું હતું. સમગ્ર ઘટનામાં જવાબદારો સામે કડક કાર્યવાહી અને ન્યાયની માંગ સાથે મૃતકના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી છે.
-
ચૈતર વસાવાએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા, સજા પર સ્ટેની માગ
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદામાં વનકર્મી પર હુમલો અને ખંડણીના કેસમાં ડેડિયાપાડા કોર્ટે ફટકારેલી સજા સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. ડેડિયાપાડા કોર્ટે ચૈતર વસાવા સહિત કુલ 9 દોષિતોને સાત વર્ષની સજા ફટકારી હતી. હવે આ સજા પર સ્ટે મૂકવા તેમજ ટ્રાયલ કોર્ટના હુકમને રદ કરવાની માંગ સાથે હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી છે. ચૈતર વસાવાના પર્સનલ આસિસ્ટન્ટ (PA)એ પણ અલગથી હાઇકોર્ટમાં અરજી કરી છે. નોંધનીય છે કે અગાઉ આ જ કેસમાં ચૈતર વસાવાની પત્ની સહિતના અન્ય દોષિતોને કોર્ટે જામીન મંજૂર કર્યા હતા.
-
માંજલપુર પેટાચૂંટણીમાં પ્રથમ ત્રણ રાઉન્ડ બાદ ભાજપને લીડ
વડોદરાની માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી દરમિયાન પ્રથમ ત્રણ રાઉન્ડ પૂર્ણ થતાં ભાજપના ઉમેદવાર સતિષ પટેલે મજબૂત લીડ મેળવી છે. ત્રીજા રાઉન્ડમાં સતિષ પટેલને 3,058 મત મળતા તેઓ કુલ 5,910 મતની સરસાઈ સાથે આગળ ચાલી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીને ત્રીજા રાઉન્ડમાં 667 મત મળ્યા છે અને ત્રણ રાઉન્ડના અંતે કોંગ્રેસને કુલ 3,435 મત પ્રાપ્ત થયા છે. જ્યારે NOTAને અત્યાર સુધીમાં કુલ 361 મત મળ્યા હોવાનું મતગણતરીના આંકડાઓમાં સામે આવ્યું છે.
-
ડભોઈનું વઢવાણા સિંચાઈ તળાવ 70 ટકા ભરાયું, ખેડૂતોમાં ખુશીની લહેર
વડોદરાના ડભોઈમાં થયેલા ભારે વરસાદ બાદ વઢવાણા સિંચાઈ તળાવમાં 70 ટકાથી વધુ પાણીની આવક નોંધાઈ છે. જોજવા ડેમમાંથી પાણી છોડવામાં આવતાં તળાવ ઝડપથી ભરાઈ રહ્યું છે. ડભોઈ અને આસપાસના 32 ગામોની જીવાદોરી ગણાતા આ તળાવમાં છેલ્લા 15 દિવસથી પાણીનો અભાવ હતો, પરંતુ હવે પાણીના જથ્થામાં થયેલા વધારાથી ગ્રામજનો અને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. વરસાદ બાદ સર્જાયેલા મનમોહક પ્રાકૃતિક વાતાવરણને નિહાળવા મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ વઢવાણા તળાવ ખાતે પહોંચી રહ્યા છે.
-
ગીર સોમનાથમાં રસ્તા પર 12 સિંહોનું ટોળું, વાહનચાલકોમાં રોમાંચ
ગીર સોમનાથ જિલ્લાના જામવાળા-માધુપુર રોડ પર વરસાદી માહોલ વચ્ચે 12 સિંહોનું ટોળું રસ્તા પર લટાર મારતું જોવા મળતાં વાહનચાલકોમાં રોમાંચ છવાઈ ગયો હતો. સિંહણ અને તેના બચ્ચાં સહિતનું ટોળું રોડ પર આવી જતાં થોડા સમય માટે ટ્રાફિક થંભી ગયો અને વાહનોના પૈડાં અટકી ગયા હતા. માર્ગ પરથી પસાર થતા લોકોએ આ અદ્ભુત દૃશ્યો પોતાના મોબાઇલમાં કેદ કર્યા હતા. થોડા સમય બાદ સિંહો જંગલ તરફ વળતા વાહનવ્યવહાર ફરીથી સામાન્ય બન્યો.
-
માંજલપુર પેટાચૂંટણીનું આજે પરિણામ, મતગણતરી શરૂ
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે. ભવન્સ સ્કૂલ ખાતે સવારે મતગણતરીનો પ્રારંભ થયો છે અને કુલ 19 રાઉન્ડમાં મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ પેટાચૂંટણીમાં ભાજપના સતિષ પટેલ અને કોંગ્રેસના ભીખા રબારી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. મતગણતરીને લઈને સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે અને ઉમેદવારો તેમજ તેમના સમર્થકોની નજર પરિણામ પર મંડાઈ છે.
-
ગ્રીસમાં અગ્નિશામક હેલિકોપ્ટરો અથડાયા, બે ક્રૂ સભ્યોના મોત
ગ્રીસના પસાથાસ વિસ્તારમાં જંગલમાં લાગેલી આગ પર કાબૂ મેળવવાની કામગીરી દરમિયાન હવામાં બે અગ્નિશામક હેલિકોપ્ટર વચ્ચે ભીષણ ટક્કર સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં બે ક્રૂ સભ્યોના મોત થયા છે, જ્યારે અન્ય બે ક્રૂ સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ગ્રીસના વડાપ્રધાને દુર્ઘટના પર શોક વ્યક્ત કરી મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
-
રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, છતાં 226 તાલુકામાં નોંધાયો વરસાદ
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોની સરખામણીએ વરસાદનું જોર ઘટ્યું છે, છતાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 226 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ રાજકોટ શહેરમાં 2.72 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે વલસાડના કપરાડામાં 1.73 ઇંચ, રાજકોટના પડધરીમાં 1.50 ઇંચ અને બનાસકાંઠાના દીયોદરમાં 1.46 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના કુલ 11 તાલુકામાં સરેરાશ એક ઇંચથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
-
રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજથી રાજ્યભરમાં ભારે વરસાદનું જોર ઘટવાની શક્યતા છે, જોકે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં ચાલુ રહેશે. આજે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 13 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વેલમાર્ક લો પ્રેશર હવે સાયકલોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થતાં તેની અસર નબળી પડી છે. સાથે જ દરિયામાં પવન અને મોજાં ઉછળવાની શક્યતાને ધ્યાનમાં રાખી માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
Published On - Aug 03,2026 7:50 AM
