કોઈ દેશ કરી શકે તો ભારત કેમ નહીં ? PM મોદીના આ જ વિશ્વાસથી આજે આપણે દરેક ક્ષેત્રમાં વિશ્વની સાથે સ્પર્ધા કરી રહ્યા છીએ : CM ભૂપેન્દ્ર પટેલ
ગુજરાત સરકારની ચિંતન શિબિરમાં, અમદાવાદને મળેલ કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાનીને વધાવી લેવામાં આવી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના તમામ પ્રધાનો, આઈએએસ અધિકારીઓની ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે 11મી ચિંતન શિબિર યોજાઈ રહી છે. આ શિબિરમાં ગુજરાતના વિકાસ માટે સામૂહિક ચિંતન કરવામાં આવે છે.

કોમનવેલ્થ ગેમ્સની યજમાની ગુજરાતને મળી તેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિઝન અને દીર્ઘદૃષ્ટિનું પરિણામ છે. આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે તેમ જણાવીને ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈનું વિઝન છે કે, વિશ્વનો કોઈ દેશ કરી શકે તો ભારત પણ કરી જ શકે છે, આ જ વિશ્વાસથી આજે આપણે દરેક ક્ષેત્રમાં વિશ્વ સાથે સ્પર્ધા કરી રહ્યા છીએ.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના પ્રયાસોના પરિણામે કોમનવેલ્થ ગેમ્સ 2030ના ભારતમાં આયોજનને મંજૂરી મળી છે. તેમના માર્ગદર્શનમાં આ કોમનવેલ્થ ગેમ્સથી વિશ્વને ભારતને આંગણે આવકારવા અને સ્પોર્ટ્સ હબ બનાવવા આપણે સજ્જ છીએ.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, ભારત દેશ માટે ગૌરવની વાત છે. કોમનવેલ્થ ગેમ્સને 100 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે, ત્યારે તેના નેતૃત્વનો અવસર ગુજરાતને પ્રાપ્ત થયો તે ગૌરવવંતી ક્ષણ છે.

નરેન્દ્રભાઇ મોદીએ 20 વર્ષ પહેલાં જે મહેનત કરી હતી તેનું આજે આપણને ફળ મળ્યું છે. રમતગમત વિભાગનું ટીમવર્ક, પ્રેઝન્ટેશનની સફળતા થકી ગુજરાત અને અમદાવાદને યજમાનપદ મળ્યું છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દરેક ક્ષેત્રમાં સફળતા મળી રહી છે. કોમનવેલ્થ મળી છે તેમ ઓલિમ્પિક પણ મળે તે માટે પ્રયાસો ચાલુ છે. આ માત્ર શરૂઆત છે. ટીમ લીડર તરીકે તેમણે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમગ્ર ભારતને ગૌરવ થાય તે રીતે ગુજરાતની ટીમ કામ કરી રહી છે.

ભારત અને ગુજરાતનો વિકાસ આભને આંબી જાય તેવો કરવાનો સંદેશ આપવા માટે મંત્રી મંડળ દ્વારા બલૂન ઉડાડવામાં આવ્યા હતા.

આ ખુશીને વધાવી સૌએ એકબીજાને મોં મીઠું કરાવ્યું હતું. આતશબાજી સાથે આ યજમાનીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.