Wheat Farming: ઘઉંના પાકમાં નુકસાન કરી શકે છે આ રોગ, ખેડૂતો આ ઉપાયથી અટકાવી શકે છે રોગનો ઉપદ્રવ

Yellow Rust Disease of Wheat:ઘઉંના પાકમાં માર્ચના મધ્ય સુધીમાં પીળી રસ્ટ(Yellow Rust)નો રોગ થવાની શક્યતા વધુ છે. ઘઉંની કેટલીક જાતો વધુ જોખમમાં છે. ખેડૂતોએ ભવિષ્યમાં રોગ પ્રતિરોધક જાતોની વાવણીને પ્રાધાન્ય આપવું જોઈએ.

Wheat Farming: ઘઉંના પાકમાં નુકસાન કરી શકે છે આ રોગ, ખેડૂતો આ ઉપાયથી અટકાવી શકે છે રોગનો ઉપદ્રવ
Wheat Farming (File Photo)
| Edited By: | Updated on: Jan 18, 2022 | 12:03 PM

કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને રવી સિઝનના મુખ્ય પાક ઘઉં વિશે ચેતવણી આપી છે. ખેડૂતો ઉચ્ચ ઉપજ મેળવવા માટે સુધારેલી જાતો, યોગ્ય ખાતર અને પિયતની વ્યવસ્થા કરીને ઘઉંની ખેતી (Wheat Farming)કરી રહ્યા છે. પરંતુ હવામાનના સતત બદલાવને કારણે તેના પાકમાં અનેક રોગો આવવાની સંભાવના છે. ચૌધરી ચરણ સિંહ હરિયાણા કૃષિ યુનિવર્સિટી, હિસારના વાઇસ ચાન્સેલર પ્રો. બી.આર.કંબોજે જણાવ્યું હતું કે, હાલમાં તાપમાનમાં થયેલા ઘટાડાને કારણે ઘઉંના પાકમાં પીળી રસ્ટ રોગ (Yellow Rust Disease)ની શક્યતા છે. તેથી ખેડૂતોએ સમયસર સાવચેતી રાખવી જોઈએ અને વૈજ્ઞાનિક સલાહથી તેનું નિયંત્રણ કરવું જોઈએ.

તેમનું કહેવું છે કે જો આ રોગને સમયસર કાબૂમાં લેવામાં નહીં આવે તો ઘઉંની ઉપજ ઘટી શકે છે. તેથી ખેડૂતોએ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની ભલામણોને ધ્યાનમાં રાખીને ફૂગનાશકનો ઉપયોગ કરવો જોઈએ, જેથી પાકને નુકસાન ન થાય અને ઉત્પાદન પણ સારું મળે. તેમણે જણાવ્યું કે ડિસેમ્બરના અંતથી માર્ચના મધ્ય સુધી ઘઉંના પાકમાં આ રોગના લક્ષણો જોવા મળે છે. જ્યારે તાપમાન 10 °C થી 15 °C ની વચ્ચે હોય છે.

આ તફાવતને ઓળખે ખેડૂતો

જિનેટિક્સ અને પ્લાન્ટ બ્રીડિંગ વિભાગમાં ઘઉં અને જવ વિભાગના અધ્યક્ષ ડૉ. પવન કુમાર કહે છે કે ઘણી વખત ખેડૂતો ઘઉંના પાકમાં પીળા રસ્ટના રોગ અને પોષણની ઉણપ વચ્ચેના તફાવતને ઓળખતા નથી. જ્યારે આવું થાય ત્યારે, વૈજ્ઞાનિક સલાહ અને તપાસ વિના, દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે ખેડૂતોને આર્થિક નુકશાન થવાની સંભાવના છે.

પીળા રસ્ટ રોગમાં પાંદડા પર પીળા અથવા નારંગી પટ્ટાઓ દેખાય છે. જ્યારે ખેડૂતો ખેતરમાં જાય છે અને રોગગ્રસ્ત પાંદડાને આંગળી અને અંગૂઠા વચ્ચે ઘસે છે, ત્યારે ફૂગના કણો આંગળી અથવા અંગૂઠા પર ચોંટી જાય છે અને હળદર જેવા દેખાય છે. જ્યારે પોષક તત્વોની અછતને કારણે આવું થતું નથી.

આ રોગનો ઉપાય શું છે?

પ્લાન્ટ પેથોલોજિસ્ટ ડો.રાજેન્દ્રસિંહ બૈનીવાલના જણાવ્યા મુજબ ખેતરમાં પીળા રસ્ટના લક્ષણો દેખાય કે તરત જ પ્રોપકોનાઝોલ 200 મિલી 200 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જો રોગ વધુ ફેલાતો હોય તો જરૂર જણાય તો ફરીથી છંટકાવ કરવો. મોટાભાગની HD 2967, HD 2851, WH 711 જાતોમાં આ રોગ થવાની શક્યતા વધુ છે. તેથી જો ખેડૂતોએ આ જાતોનું વાવેતર કર્યું હોય તો ખાસ કાળજી લેવી. ભવિષ્યમાં વાવણી માટે રોગ પ્રતિરોધક જાતોને પ્રાધાન્ય આપો.

નોંધ: ઉપરોક્ત બાબતો કૃષિ નિષ્ણાંતો અનુસાર છે અહીં કોઈ પણ પ્રકારનો દાવો કરવામાં આવતો નથી. સ્થાનિક વિસ્તારની આબોહવા ઉપરોક્ત બાબતોને અનુરૂપ ન પણ હોઈ શકે એટલે નિષ્ણાંતોની સલાહ લેવી હિતાવહ છે.

આ પણ વાંચો: Viral: નાની બારીમાંથી કઈ રીતે ઘૂસવું ચોરે પોલીસને બતાવ્યો ડેમો, લોકો બોલ્યા આ પણ બહું મહેનતનું કામ છે

આ પણ વાંચો: Garlic Farming: આ પ્રકારે જો લસણની ખેતી કરવામાં આવે તો ખેડૂતોને મળી શકે છે સારો નફો