ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) આ વખતે ઝિમ્બાબ્વેના પ્રવાસે છે, પરંતુ તેને એશિયા કપની તૈયારી પણ શરૂ કરી દીધી છે. ઝિમ્બાબ્વેમાં એક અલગ ટીમ છે, જેને વનડે સિરીઝમાં 2-0ની લીડ મેળવી છે. આ સાથે જ એશિયા કપ માટે પસંદ કરાયેલી ટીમ નેશનલ ક્રિકેટ એકેડમી પહોંચી ગઈ છે. 27મી ઓગસ્ટથી એશિયા કપ શરૂ થવાનો છે અને 28મી ઓગસ્ટે ભારતની પહેલી મેચ છે. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ટીમ ઈન્ડિયાએ પણ ટી20 વર્લ્ડ કપ (Icc T20 World Cup) વિશે વિચારવું પડશે અને આ માટે ટીમની પસંદગીની તારીખ આવી ગઈ છે.
સ્પોર્ટ્સ વેબસાઈટ ઈન્સાઈડસ્પોર્ટના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી 15 સપ્ટેમ્બરે થશે. રિપોર્ટ મુજબ મુખ્ય પસંદગીકાર ચેતન શર્માની આગેવાની હેઠળની સીનિયર સિલેક્શન કમિટી 15 સભ્યોની ટીમની પસંદગી કરશે. આઈસીસી દ્વારા નિર્ધારિત સમયમર્યાદા 16 સપ્ટેમ્બર છે અને દરેક ટીમમાં માત્ર 15 ખેલાડીઓની ટીમ હોઈ શકે છે. પરંતુ કેટલાક ખેલાડીઓ સ્ટેન્ડબાય તરીકે પણ પસંદ કરવામાં આવશે.
કયા ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે. હાલમાં જ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે લગભગ 80-90 ટકા નામો નક્કી છે, પરંતુ સિલેક્શન કમિટીનો અભિપ્રાય થોડો અલગ છે. રિપોર્ટમાં સિલેક્શન કમિટીના એક સભ્યને ટાંકીને કહેવામાં આવ્યું છે કે “રોહિત શર્મા જે કહી રહ્યો છે તે ટીમ મેનેજમેન્ટના દૃષ્ટિકોણથી બોલી રહ્યો છે, પરંતુ સિલેક્ટર્સ તરીકે અમે માનીએ છીએ કે કેટલીક જગ્યાઓ માટે હજુ પણ ટક્કર છે.”
સિલેક્શન કમિટીની સામે ત્રણ ખેલાડીઓને લઈને મુખ્યત્વે સૌથી મોટું પ્રશ્ન ચિહ્ન છે. આમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના ફોર્મ સિવાય જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલની ફિટનેસ મોટો મુદ્દો છે. સિલેક્શન કમિટીના સભ્યએ કહ્યું, “અમે જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલની ઇજાઓ અંગે અપડેટ્સની પણ રાહ જોઈ રહ્યા છીએ. બંને હાલમાં NCAમાં છે અને સ્વસ્થ થઈ રહ્યા છે. વિરાટની વાત કરીએ તો એશિયા કપમાં તે કેવું પ્રદર્શન કરે છે તે જોઈશું.
ગયા વર્ષના ટી20 વર્લ્ડ કપની જેમ આ વખતે પણ ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રૂપમાં રાખવામાં આવ્યા છે અને ટીમ ઈન્ડિયાને તેની પહેલી જ મેચમાં પાકિસ્તાન સામે ટકરાવાનું છે. આ મેચ 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે.