Chandrayaan 3 Mission: જાણો ચંદ્રયાન 3 મિશનથી જોડાયેલી મહત્વની વાતો

આખા દેશની નજર ચંદ્રયાન-3 મિશન પર ટકેલી છે, સાથે જ દુનિયાની નજર પણ આ મિશન પર છે. અમેરિકાએ પણ કહ્યું છે કે ભારતનું મૂન મિશન તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Chandrayaan 3 Mission: જાણો ચંદ્રયાન 3 મિશનથી જોડાયેલી મહત્વની વાતો
Chandrayaan 3
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Jul 12, 2023 | 8:26 PM

Chandrayaan 3 Mission: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ચંદ્રયાન-3 મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ મિશન 14 જુલાઈના રોજ બપોરે 2.35 કલાકે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સ્ટેશનથી લોન્ચ કરવામાં આવશે. ઈસરોના આ મિશનનો હેતુ ચંદ્રની સપાટી પર સુરક્ષિત રીતે ઉતરાણ કરવાનો અને ત્યાં સંશોધન કરવાનો છે.

ભારતે 2019માં ચંદ્રયાન-2 મિશન લોન્ચ કર્યું હતું, પરંતુ આ મિશન સફળ રહ્યું ન હતું. આવી સ્થિતિમાં ચંદ્રયાન-3 મિશનમાં ડિઝાઈનથી લઈને એસેમ્બલીમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેથી મિશન સફળ થાય.

આખા દેશની નજર ચંદ્રયાન-3 મિશન પર ટકેલી છે, સાથે જ દુનિયાની નજર પણ આ મિશન પર છે. અમેરિકાએ પણ કહ્યું છે કે ભારતનું મૂન મિશન તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વ્હાઈટ હાઉસે દાવો કર્યો છે કે ચંદ્રયાન-3 મિશનનો ડેટા આર્ટેમિસ મિશન માટે અસરકારક સાબિત થઈ શકે છે. આર્ટેમિસ મિશન દ્વારા અમેરિકા ફરી એકવાર ચંદ્રની સપાટી પર અવકાશયાત્રીઓને મોકલવા માંગે છે. ભારત-અમેરિકાએ આર્ટેમિસ એકોર્ડ પર પણ હસ્તાક્ષર કર્યા હતા.

આ પણ વાંચો: Chandrayaan 3: ISROએ પૂર્ણ કર્યુ લોન્ચિંગ રિહર્સલ, જાણો ચંદ્ર પર ક્યારે લેન્ડ થશે ચંદ્રયાન -3?

મિશન ક્યારે શરૂ થયું?

આ મિશન જાન્યુઆરી 2020માં શરૂ થયું હતું. વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની ટીમે અવકાશયાનની ડિઝાઈન અને એસેમ્બલી પર સખત મહેનત કરી હતી. અગાઉના મિશનની ભૂલોમાંથી પાઠ શીખ્યા. આ વખતે લેન્ડરના લેગ્સને મજબૂત કરવામાં આવ્યા છે.

કયું રોકેટ ચંદ્રયાન મિશન લોન્ચ કરશે?

ચંદ્રયાન-3 મિશન ‘લોન્ચ વ્હીકલ માર્ક 3’ (LVM 3) રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે. આ વખતે ઓર્બિટરને મિશનમાં સામેલ કરવામાં આવ્યું નથી. મિશન હેઠળ અવકાશયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચશે અને પૃથ્વીના 14 દિવસની બરાબર ચંદ્ર પર કાર્ય કરશે.

ચંદ્રયાન-3 મિશન ચંદ્ર પર ક્યારે પહોંચશે?

આ મિશન 14 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવશે, જેને ચંદ્ર સુધી પહોંચવામાં ઓગસ્ટના છેલ્લા અઠવાડિયા સુધીનો સમય લાગી શકે છે. સ્પેસક્રાફ્ટને ચંદ્ર સુધી પહોંચવામાં 45થી 48 દિવસ લાગશે એટલે કે 23 કે 24 ઓગસ્ટ સુધીમાં તે ચંદ્ર પર પહોંચી જશે.

મિશન હેઠળ ચંદ્ર પર શું પહોંચશે?

ચંદ્રયાન-3 મિશનમાં પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર અને રોવર સામેલ છે. તેમાંથી, લેન્ડર અને રોવર ચંદ્રની સપાટી પર ઉતરશે, જ્યારે પ્રોપલ્શન મોડ્યુલ અલગ થશે. પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયા પછી, લેન્ડર ચંદ્રની સપાટી પર પહોંચી જશે અને રોવર શોધખોળ શરૂ કરશે.

ચંદ્ર મિશનનો હેતુ શું છે?

ISRO ચંદ્ર મિશન દ્વારા ત્રણ બાબતો હાંસલ કરવા માંગે છે. પ્રથમ, લેન્ડર અને રોવરને ચંદ્રની સપાટી પર સુરક્ષિત રીતે ઉતારવા. બીજું ચંદ્ર પર રોવર ચલાવવાનું છે અને ત્રીજું સપાટી પર વૈજ્ઞાનિક પ્રયોગો કરવાનું છે.

શા માટે ચંદ્ર પર સંશોધન કરવામાં આવે છે?

ચંદ્ર પાસે અવકાશ સંબંધિત ઘણા પ્રશ્નોના જવાબો છે. ચંદ્ર પૃથ્વી પરથી જ બન્યો છે. આવી સ્થિતિમાં તે પૃથ્વીના ઈતિહાસ વિશે સાચી માહિતી આપી શકે છે. ચંદ્રનું અન્વેષણ કરવાથી પૃથ્વીની ઉત્પત્તિ, પૃથ્વી-ચંદ્ર પ્રણાલીનો વિકાસ જેવી માહિતી મળી શકે છે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો