Rajkot: TRP ગેમઝોન અગ્નિકાંડના પીડિતો એક મહિના બાદ પણ ન્યાય માટે રસ્તા પર, ભાજપના નેતાઓ સન્માનમાં વ્યસ્ત
રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડના પીડિતો આજે એક મહિના બાદ પણ ન્યાય માટે અહીં તહી ભટકી રહ્યા છે, એક મહિના બાદ પણ ન્યાય મળવામાં વિલંબ થઈ રહ્યો છે. આ તરફ ભાજપના નેતાઓ જાણે ઘટનાને ભૂલી ગયા હોય તેમ, તેઓએ આજે પીડિતો વચ્ચે જવાનુ પણ ટાળ્યુ. બીજીતરફ આજે અગ્નિકાંડની પ્રથમ માસિક પૂણ્યતિથિએ ભાજપના નેતાઓ સન્માનમાં વ્યસ્ત છે પરંતુ હતભાગી પરિવારોને દિલસોજી પાઠવવાનો તેમને સમય નથી.
આજે ટીઆરપી ગેમ ઝોનન અગ્નિકાંડને એક મહિનો પુરો થયો છે.આજના દિવસે કોંગ્રેસ દ્રારા અડઘા દિવસના બંધનું એલાન આપ્યું હતું.આ ઘટના અંગે લોકોનો રોષ જોવા મળ્યો.રાજકોટની મોટાભાગની મુખ્ય માર્કેટો બંધ રહી અને લોકો સ્વયંભુ આ બંધમાં જોડાયા હતા.કોંગ્રેસના બંધમાં કેટલાક પિડીત પરિવારો પણ જોડાયા હતા અને ન્યાયની માંગ કરી રહ્યા હતા બીજી તરફ ભાજપના નેતાઓ સન્માન કરવામાં મશગુલ જોવા મળ્યા હતા.રાજકોટ શહેર ભાજપના પ્રમુખ સહિતના નેતાઓ કટોકટીના દિવસે મિસાવાસ ભોગવેલા ભાજપના વરિષ્ઠ આગેવાનોના સન્માનમાં વ્યસ્ત જોવા મળ્યા હતા.
રાજકોટ બંધ અંગે ભાજપનું મૌન, સન્માનમાં વ્યસ્ત
ગેમ ઝોન અગ્નિકાંડને લઇને કોંગ્રેસના આહ્વાનને રાજકોટમાં પ્રચંડ સમર્થન મળ્યું હતું. tv9 દ્રારા આ ઘટના અને કોંગ્રેસ દ્રારા આપવામાં આવેલા બંધના એલાન અંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ કેમેરા સામે કંઇપણ બોલવાનો ઇન્કાર કર્યો હતો. એક તરફ પરિવાર સહિત રાજકોટવાસીઓ શોકમગ્ન થઇને પ્રથમ પુણ્યતિથીએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા ત્યારે ભાજપ તેઓની પરંપરાને છોડી શકી નહિ. રાજકોટ ભાજપના અલગ અલગ આગેવાનો દ્રારા 25 જૂન 1975 એટલે કે કટોકટીના દિવસે મિસામાં જેલમાં ગયેલા વરિષ્ઠ આગેવાનોના સન્માનમાં વ્યસ્ત હતા. આ દિવસે મૃત આત્માઓને શ્રધ્ધાંજલિ આપવામાંથી પણ ભાજપના નેતાઓ ચૂક્યા હોય તેવું શહેરમાં ચર્ચાઇ રહ્યું છે.
સરકાર લાજવાને બદલે ગાજી રહી છે-પીડિત પરિવાર
કોંગ્રેસે આપેલા બંધના એલાનમાં જે પરિવારે પોતાની બહેન-દીકરી ગુમાવી છે તે પરિવાર રસ્તા પર ઉતર્યો હતો. સરકાર પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે ગુજરાત સરકાર અમને ન્યાય અપાવી શકતી નથી પરંતુ આ ઘટના બાદ લાજવાને બદલે ગાજી રહી છે અમને સમર્થન મળે તે માટે અમે ગાંધીચિંધ્યા માર્ગે લોકોને વિનંતિ કરી રહ્યા છીએ તો પણ પોલીસ અમારી આગળ પાછળ ફરે છે. મારો ભાઇ શાંતિપૂર્વક રીતે બંધને સમર્થન આપી રહ્યો હતો તો પોલીસે તેની અટકાયત કરી છે. અત્યાર સુધી અમે હાથ જોડીને ન્યાય માંગતા હતા હવે અમે ન્યાય હાથ ઉપાડીને પણ માંગી શકીએ છીએ.
ભાજપ લોકો વચ્ચે જઇ શકે તેવી સ્થિતિમાં નથી-જગદિશ મહેતા
રાજકોટ બંધ અંગે વરિષ્ઠ પત્રકાર જગદિશ મહેતાએ tv9 સાથે વાતચીત કરતા કહ્યું હતું કે છેલ્લા 30 વર્ષમાં વિપક્ષને આ પ્રકારનું પ્રચંડ સમર્થન પ્રથમ વખત મળ્યું છે. કોંગ્રેસને આ ઘટનાનો જશ મળવાનો જ છે. જો કે ભાજપ લોકોની વચ્ચે જઇ શકે તેવી સ્થિતિમાં નથી. ભાજપ એમનેમ નિષ્ઠુર બન્યું નથી પરંતુ તેના પાપના ઘડા ભરાઈ ગયા છે. ભાજપે આ ઘટનામાંથી ધડો લેવો જોઇએ, નહિં તો આ આગ આખા ગુજરાતને દઝાડશે. ભાજપે આ કિસ્સામાં સ્થાનિક નેતાગીરીને સાઇડલાઇન કરીને પ્રદેશના નેતાઓએ મોરચો સંભાળવાની જરૂર હતી. જેથી કરીને પરિવારને વિશ્વાસમાં લઇને તેને સાંત્વના આપી શકાય પરંતુ તેમાં પણ ભાજપ નિષ્ફળ રહ્યું છે.