Rajkot : શહેરની આ શાળામાં અનોખી રીતે ઉજવવામાં આવે છે વિદ્યાર્થીઓનો જન્મદિવસ
સામાન્ય રીતે વિદ્યાર્થીઓનો જન્મદિવસ હોય એટલે શાળામાં ચોકલેટનું વિતરણ કરતા હોય છે કે અન્ય રીતે જન્મદિવસની ઉજવણી કરતા હોય છે. પરંતુ રાજકોટમાં આવેલી અનોખી શાળામાં વિદ્યાર્થીઓના જન્મદિવસે યજ્ઞ કરવામાં આવે છે.

રાજકોટના રેલનગરમાં આવેલી કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા દરેક બાળકના જન્મદિવસે યજ્ઞ કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. જે બાળકોનો જન્મદિવસ હોય તે વિદ્યાર્થી દ્વારા યજ્ઞમાં આહુતિ આપવામાં આવે છે.

વિદ્યાર્થીના જન્મદિવસના દિવસે યજ્ઞ કરાવવા માટે ખાસ શાસ્ત્રીજી પણ હોય છે. તે યજ્ઞમાં બાળકોને આહુતિ અપાવતાની સાથે જ શ્લોક બોલે છે અને તેનો અર્થ શું થાય છે તે પણ બાળકોને સમજાવે છે.

સવારે શાળાએ આવતાની સાથે જ સૌથી પહેલું કામ યજ્ઞ કરવાનું કરવામાં આવે છે. આ ઉપરાંત જે બાળકનો જન્મદિવસ હોય તે બાળકને એક સંકલ્પ પણ લેવડાવવામાં આવે છે.

મા-બાપની સેવા-આદર કરીશ, શિક્ષકોનું સન્માન કરીશ, વડીલ વ્યક્તિની મદદ કરીશ, વ્યસન કરીશ નહીં, મોબાઈલથી દૂર રહીશ, પરીક્ષામાં ચોરી કરીશ નહીંલ જેવા સંકલ્પો યજ્ઞમાં લેવડાવામાં આવે છે.

આ ઉપરાંત યજ્ઞશાળાની ફરતે યજ્ઞ સંબંધિત અને શાસ્ત્રોનું વર્ણન કરતા જુદા જુદા ચિત્રો પણ બનાવવામાં આવ્યા છે. બાળકો પણ હોંશે-હોંશે યજ્ઞમાં જોડાય છે.