અરુણાચલ પ્રદેશના તવાંગ સેકટરમાં ગત 9 ડિસેમ્બરે થયેલ અથડામણ બાદ, સરહદે સર્જાયેલ તણાવભરી સ્થિતિ અને ભારત અને ચીન વચ્ચેના સૈન્ય ઘર્ષણને ધ્યાનમાં રાખીને, ભારતીય વાયુસેના આજે ગુરુવારથી પૂર્વ સરહદે બે દિવસ કવાયત હાથ ધરશે. વાયુદળની આ સૈન્ય કવાયતમાં ફ્રન્ટ લાઇનની નજીકના તમામ લડાયક વિમાનો અને પૂર્વોતરના પ્રદેશમાં તહેનાત અન્ય લશ્કરી શસ્ત્ર સંરજામ સામેલ હશે. વાયુદળના એક અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેના સૈન્ય સજ્જતાના પરીક્ષણના હેતુથી આ કવાયત હાથ ધરી રહ્યું છે. આ કવાયતનો હેતુ ભારતીય વાયુસેનાની લડાયક ક્ષમતા ચકાસવા માટે પરીક્ષણ કરવાનો છે.
ભારતીય વાયુસેનાનુ આ પરીક્ષણ એવા સમયે થઈ રહ્યુ છે, જ્યારે 9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર. ચીનના સૈન્ય જવાનોએ ભારતીય સરહદમાં ધૂસણખોરી કરી રહ્યાં હતા તે સમયે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. જો કે, આ કવાયતનું આયોજન ભારત અને ચીનની સેનાઓ વચ્ચેના તાજેતરની અથડામણના ઘણા સમય પહેલા નક્કી કરવામાં આવ્યું હતું અને વાયુસેનાની કવાયતને તવાંગ ખાતે બનેલી ભારત અને ચીનના સૈન્ય જવાનો વચ્ચે થયેલી અથડામણની ઘટના સાથે કોઈ સંબંધ નથી.
મીડિયા અહેવાલ અનુસાર, ભારતીય વાયુસેનાના સુખોઈ-30MKI અને રાફેલ જેટ સહિતના લડાકુ વિમાનો ભારતીય વાયુસેનાની લડાયક ક્ષમતા ચકાસવા માટે પરીક્ષણમા સામેલ થશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે ઉત્તર પૂર્વીય ક્ષેત્રના તમામ ફોરવર્ડ એર બેઝ અને વાયુદળના એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ્સને પણ કવાયતમાં સામેલ કરવામાં આવશે. સૂત્રોને ટાંકીને રજૂ કરાયેલા મીડિયા રિપોર્ટ અનુસાર, છેલ્લા કેટલાક સપ્તાહમાં બેથી ત્રણ બનાવ એવા બન્યા હતા કે, LAC સાથે આપણી લશ્કરી ચોકીઓ તરફ આગળ વધી રહેલા ચીનના ડ્રોનને અટકાવવા માટે લડાયક વિમાનોને એર બેઝથી ઉડાડવાની ફરડ પડી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેનાના સુખોઈ ફાઈટર જેટ, હાલમાં તેજપુર એરબેઝ પર તહેનાત છે, જ્યારે રાફેલ ફાઈટર જેટની એક ટુકડી હાસીમારા ખાતે રાખવામાં આવ્યા છે. આ સિવાય અપાચે હેલિકોપ્ટર અને અન્ય ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, જોરહાટ ખાતે રાખવામાં આવ્યા છે. આજે અને આવતીકાલે હાથ ધરાનાર, ભારતીય વાયુસેનાની લડાયક ક્ષમતા ચકાસવા માટે હાથ ધરાનાર બે દિવસના પરીક્ષણમાં હેલિકોપ્ટર અને મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે, ગત 9 ડિસેમ્બરે એલએસી ખાતે ભારત અને ચીનના સૈન્ય જવાનો વચ્ચે થયેલી અથડામણના સમગ્ર મામલાની માહિતી સંસદમાં આપી હતી. રાજનાથ સિંહે કહ્યું કે ચીનની સેનાએ તવાંગ સેક્ટરમાં ઘૂસણખોરી કરીને, સરહદની યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો હતો, જેનો ભારતીય સૈનિકોએ જડબાતોડ જવાબ આપીને તેમને ભગાડ્યા હતા. રાજનાથ સિંહે એમ પણ કહ્યું કે આ અથડામણમાં બંને પક્ષના સૈનિકો ઘાયલ થયા હતા. પરંતુ આ અથડામણમાં એકપણ ભારતીય સૈનિકને ગંભીર ઈજા થઈ નથી કે કોઈ જવાન શહીદ થયા નથી.
Published On - 11:16 am, Thu, 15 December 22