ગોવાના ડાબોલિન એરપોર્ટ પર મંગળવારે એક મોટી દુર્ઘટના લગભગ ટળી હતી. ભારતીય નૌકાદળના એક મિગ-29 ફાઇટર એરક્રાફ્ટનું ટેકઓફ થવાના સમય પહેલા જ ટેક્સીવે પર ટાયર ફાટી ગયું હતું. રાહતની વાત એ છે કે ટાયર ફાટ્યા બાદ પણ કોઈ મોટી દુર્ઘટના થઈ નથી કે કોઈને ઈજા થઈ નથી.
અધિકારીઓએ આ ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે વિમાન જ્યારે ટેક-ઓફ માટે રનવે તરફ જઈ રહ્યું હતું તે દરમ્યાન અચાનક તેનું ટાયર ફાટ્યું. ટાયર ફાટતાં પ્લેન ટેક્સીવે પર ફસાઈ ગયું હતું. ટેક્સી વે પર પ્લેન ફસાઈ જવાને કારણે એરપોર્ટ રનવે પર પ્લેનની અવરજવર સાંજે 4 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવી હતી. રનવે બંધ થવાને કારણે પેસેન્જર ફ્લાઈટ સેવાઓને પણ અસર થઈ છે.
નૌકાદળના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાન નિયમિત ઉડાન પહેલા ટેક્સીવે પર હતું ત્યારે તેનું ટાયર ફાટ્યું હતું. ફાયર બ્રિગેડ અને અન્ય સેવાઓના કર્મચારીઓને તાત્કાલિક ત્યાં મોકલવામાં આવ્યા હતા. ઘટના બાદ, એક પાઇલટ સાથેના વિમાનને ટેક્સીવેથી દૂર લઈ જવામાં આવશે. મહત્વનુ છે હજુ સુધી અધિકારીઓએ ઘટનાનો સમય જાહેર કર્યો નથી.
વાસ્તવમાં, દક્ષિણ ગોવા જિલ્લામાં સ્થિત ડાબોલિમ એરપોર્ટ નૌકાદળ INS હંસનો એક ભાગ છે. આ સુવિધાનો ઉપયોગ નૌકાદળના વિમાન દ્વારા દિવસના ચોક્કસ સમયે કરવામાં આવે છે. અકસ્માત બાદ એરપોર્ટ પર થોડો સમય અફરાતફરી મચી ગઈ હતી. ઘણા પેસેન્જર પ્લેનને મોડેથી ટેકઓફ કરવાની ફરજ પડી હતી.
આ પણ વાંચો : PM મોદીના નામે નવો રેકોર્ડ, YouTube પર 2 કરોડ સબસ્ક્રાઇબર ધરાવનારા વિશ્વના પ્રથમ નેતા બન્યા
ડાબોલિમ એરપોર્ટના ડાયરેક્ટર એસવીટી ધનંજયે જણાવ્યું કે, ઘટનાના પરિણામે એરપોર્ટનો રનવે સાંજે 4 વાગ્યા સુધી કામગીરી માટે બંધ કરી દેવામાં આવ્યો છે. 10 ફ્લાઈટની સેવા પ્રભાવિત થઈ હતી. કેટલીક ફ્લાઈટોને મોપાના મનોહર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી.