1 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : રાજકોટના ધોરાજીમાં પોલીસ કસ્ટડીમાં યુવકનો આપઘાત

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2024 | 9:00 PM

Gujarat Live Updates : આજે 1 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

1 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : રાજકોટના ધોરાજીમાં પોલીસ કસ્ટડીમાં યુવકનો આપઘાત

રાજ્યમાં 2 દિવસના વિરામ બાદ આજથી ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 6 સપ્ટેમ્બર સુધી મેઘરાજા ગુજરાતને ઘમરોળશે. વડોદરાના વાઘોડિયામાં વરસાદના કારણે ખેડૂતના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે. પપૈયા, કેળ સહિત શાકભાજીમાં નુકસાન થતા સરકાર પાસે સર્વે કરી સહાય ચુકવવા માગ કરાઈ છે. પંચમહાલના કાલોલમાં કિશોર કોઝવેના પાણીમાં તણાયો. ટુવ્હીલર શીખી રહ્યો હતો એ દરમિયાન સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હતી. અમદાવાદમાં મહાનગરપાલિકાનો વોર્ડ ઈન્સપેક્ટર લાંચ લેતા ઝડપાયો છે. ઓફિસની આકારણી ઓછી કરવા માટે લાંચ માગી હતી. ACBએ 9 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો હતો. ડીસામાં ઝડપાયો શંકાસ્પદ ખાતરનો જથ્થો સામે આવ્યો છે.આખોલ ચોકડી નજીકના ગોડાઉનમાં પોલીસે દરોડા દરમિયા આ જથ્થો જપ્ત કર્યો છે.સબસીડીવાળા ખાતરનો કાળો કારોબાર થતો હોવાનો પર્દાફાશ થયો છે. આ તરફ રાજકોટમાં ફરી તસ્કરો બેફામ બન્યા છે. માધાપર ચોકડી નજીક બુકાનીધારી ગેંગએ ત્રણ બંગલોમાં ચોરીને અંજામ આપ્યો છે. NRI બંગ્લોઝમાં 15 લાખની ચોરી થઈ હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 01 Sep 2024 08:56 PM (IST)

    રાજકોટના ધોરાજીમાં પોલીસ કસ્ટડીમાં યુવકનો આપઘાત

    ધોરાજીમાં ચોરીના ગુનામાં કસ્ટડીમાં રાખેલ 30 વર્ષીય યુવકે આત્મહત્યા કરી લીધી છે. આ મામલે ધોરાજી સિટી પોલીસે ઘોર બેદરકારી દાખવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રાજકોટ ગ્રામ્ય SP તેમજ જેતપુર રેન્જના DYSP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચ્યો છે. જ્યા મૃતકના પરિવારજનો અને અન્યો મોટી સંખ્યામાં એકઠા થયા છે. પોલીસે યુવકના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં તજવીજ હાથ ધરી છે.

  • 01 Sep 2024 08:37 PM (IST)

    મુંબઈમાં માર્ગ અકસ્માત, ત્રણ લોકોના મોત

    મુંબઈમાં એક ગંભીર માર્ગ અકસ્માત થયો છે. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. ક્વોલિસ કાર પલટી ખાઈને ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. કારમાં 6 લોકો હતા અને તે તમામ મિત્રો હતા.

  • 01 Sep 2024 08:35 PM (IST)

    અદાલતોમાં પડતર કેસો આપણા બધા માટે એક મોટો પડકાર છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, અદાલતોમાં સ્થગિત કરવાની સંસ્કૃતિને બદલવા માટે દરેક શક્ય પ્રયાસો કરવાની જરૂર છે. કોર્ટમાં પડતર કેસ આપણા બધા માટે એક મોટો પડકાર છે.

  • 01 Sep 2024 06:53 PM (IST)

    ભાવનગરના મહુવાના મોટા ખૂટવડા ગામેથી મળી આવેલા સિંહના મૃતદેહ મામલે 3 લોકોની કરાઈ અટકાયત

    ભાવનગર જિલ્લાના મહુવાના મોટા ખૂટવડા વિસ્તારમાંથી સિંહનો મૃતદેહ મળ્યો હતો. જેની તપાસમાં ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. ખેતરમાંથી ગેરકાયદેસર વીજ પ્રવાહ માટેના જુદા જુદા સાધનો મળી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 30મી ઓગસ્ટના રોજ, વન વિભાગનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન મોટાખૂટવડા વિસ્તારમાંથી આશરે 5થી9 વર્ષની ઉમરના નર સિંહનો મૃતદેહ મળી આવેલો હતો.

  • 01 Sep 2024 06:36 PM (IST)

    જૂનાગઢ નવા બાયપાસ રોડ પર વધાવી પાસે કાર ચેક ડેમમાં પડી, ચાલકનુ મોત

    જૂનાગઢ નવા બાયપાસ રોડ પર બની ગંભીર ઘટના બની છે. વડાલ વંથલી હાઇવે પર વધાવી નજીકના ચેક ડેમમાં એક કાર ખાબકી છે. કાર ચાલકે કાર પરનો કાબૂ ગુમાવતા ચેક ડેમમાં કાર પડી હતી. પાણીમાં પડેલી કારને બહાર કાઢવાની તજવીજ ફાયર વિભાગ, પોલીસ સહિતની ટીમે હાથ ધર્યું છે. ક્રેઈનની મદદથી કાર અને કારચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો. જો કે કાર ચાલક મૃત્યુ પામ્યો હતો.

  • 01 Sep 2024 05:52 PM (IST)

    PM મોદીએ પેરાલિમ્પિક ગેમ્સના મેડલ વિજેતાઓ સાથે ફોન પર કરી વાત

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે રવિવારે પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતના મેડલ વિજેતા ખેલાડીઓ સાથે ફોન પર વાત કરી હતી, અને ચાલુ સ્પર્ધામાં તેમના પ્રયાસોની પ્રશંસા કરી. અધિકારીઓએ જણાવ્યું કે તેઓએ જે એથ્લેટ્સ સાથે વાત કરી તેમાં મોના અગ્રવાલ, પ્રીતિ પાલ, મનીષ નરવાલ અને રૂબીના ફ્રાન્સિસનો સમાવેશ થાય છે.

  • 01 Sep 2024 05:36 PM (IST)

    વડોદરામાં સરકાર સર્જિત પૂર-કોંગ્રેસનો આક્ષેપ

    વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ, આજે આક્ષેપ કર્યો હતો કે, વડોદરામાં જે પૂરની સ્થિતિ સર્જાઈ છે તે સરકાર સર્જીત છે. પાણી વહનના કુદરતી સ્ત્રોતમાં ગેરકાયદેસર બાંધકામ અને દબાણના કારણે વારંવાર પૂર આવે છે. અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સાથે જોડાયેલ લોકો ગ્રીન બેલ્ટની જગ્યાને બદલી અર્બન ઝોન કરી નાખી છે.

  • 01 Sep 2024 03:43 PM (IST)

    અરવલ્લી જિલ્લાના SP એ હાઈવે ઓથોરોટીને નોટિસ ફટકારી, હાઈવે પરના ખાડાઓ જલદી પૂરો

    અરવલ્લી જિલ્લાના પોલીસ વડાએ, હાઈવે ઓથોરોટીને નોટિસ ફટકારી છે. અરવલ્લી જિલ્લાના અકસ્માત ઝોનમાં વરસાદથી પડેલા ખાડાઓ જલદી પૂરવા સૂચના અપાઈ છે. સ્ટેટ હાઇવે પર પડેલા ખાડાઓને લઈને જિલ્લા પોલીસ વડાએ કડક વલણ દાખવ્યું છે. અકસ્માત ઝોન વિસ્તારમાં અકસ્માત થાય તો હાઇવે ઓથોરોટી સામે પણ ગુન્હો દાખલ થશે તેમ જિલ્લા પોલીસે ફટકારેલી નોટિસમાં જણાવાયું છે.

  • 01 Sep 2024 03:41 PM (IST)

    વડોદરામાં વકીલની હત્યા, અનૈતિક સંબંધોના મુદ્દે હત્યા કરાઈ હોવાની પોલીસને આશંકા

    વડોદરામાં વકીલની હત્યા કરવામાં આવી છે. અનૈતિક સંબંધોના મુદ્દે હત્યા કરાઈ હોવાની પોલીસને આશંકા છે. વડોદરાથી સિંઘરોટ જતા માર્ગ પર, બોથડ પદાર્થથી મૂઢ માર મારતા ગંભીર ઇજાઓને કારણે વકીલનું મોત થયું છે. એક શકમંદ ઈસમ અને તેની પત્નીની અટકાયત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • 01 Sep 2024 03:24 PM (IST)

    અરવલ્લી જિલ્લાના બાયડમાંથી ઝડપાયો નકલી નાયબ કલેકટર

    ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી કચેરી કે નકલી અધિકારી ઝડપાઈ રહ્યાં છે. આ સિલસિલના ભાગરૂપે, અરવલ્લીના બાયડમાંથી એક નકલી નાયબ કલેકટર ઝડપાયો છે. બાયડના સાઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારના ઈન્દ્રાણ પંથકમાં અગાઉ થયેલા ઘર્ષણના મામલામાં તપાસ અર્થે પોલીસ પહોચી હતી. જ્યાં આરોપી પ્રકાશભાઈ ધીરજભાઈ નાયી એ રાજ્ય સેવક ન હોવા છતાં, પોતે SDM એટલે કે ડેપ્યુટી કલેક્ટર હોવાની ઓળખ આપી હતી.

  • 01 Sep 2024 03:01 PM (IST)

    ડીસામાં ખાણ ખનિજ વિભાગનો સપાટો, નદીમાં ગેરકાયદે ખોદકામ કરતા 10થી વધુ વાહનો જપ્ત કર્યા

    બનાસકાંઠાના ડીસામાં ખાણ ખનિજ વિભાગે સપાટો બોલાવ્યો છે. રાણપુર નજીક નદીમાં ગેર કાયદેસર ખોદકામ કરતાં તત્વો સામે તવાઈ બોલાવી છે. નદીમાં મંજૂરી વગર ખોદકામ કરતાં 10થી વધુ વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે. બનાસ નદીમાં ગેર કાયદેસર ખોદકામ થતું હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી હતી. જેને લઈને ખાણ ખનિજ વિભાગે હાથ ધરેલ કાર્યવાહીથી ખનિજ માફિયામાં ફફડાટ વ્યાપો છે. ખાણ ખનિજ વિભાગે 10 ટ્રક અને ત્રણ મશીન જપ્ત કર્યાં છે.

  • 01 Sep 2024 02:57 PM (IST)

    સુરતમાં SGST-GST ના કામો માટે લાંચ માંગવામાં આવતી હોવાનો CA એસોસિએશનનો આક્ષેપ

    સુરતમાં SGST-GST ના કામો કરવા માટે લાંચ માંગવામાં આવતી હોવાનો આક્ષેપ CA એસોસિએશને કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી SGST ના અધિકારીઓ હેરાન પરેશાન કરતા હોવાનો CA એસોશિયનનો આરોપ છે. ઘટનાને લઇ CA એસોશિયન દ્વારા કમિશનર SGST, નાણાં મંત્રી ગુજરાત રાજ્ય , CBSI ચેરમેનને પત્ર લખવામાં આવ્યો છે. અગાઉ પણ CA એસોસિએશન દ્વારા પત્ર લખી રજુઆત કરવામાં આવી હતી.

  • 01 Sep 2024 02:54 PM (IST)

    અમદાવાદના વૈષ્ણોદેવી મંદિરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ

    અમદાવાદના એસ જી હાઈવ પર આવેલ વૈષ્ણોદેવી મંદિરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ સામે આવ્યો છે. ચાર દિવસ પહેલા રાત્રે 1.30 કલાકે બે ચોર ચોરી કરવા આવ્યા હતા. સિક્યુરિટી ગાર્ડની સતર્કતા કારણે ચોરો ભાગ્યા હોવાનું મંદિરના પૂજારીનુંં કહેવુ છે. ચોરી કરવા આવેલા બન્ને શખ્સો CCTV માં કેદ થયા છે. મંદિર પ્રશાસને પોલીસને CCTV ના પુરાવાઓ સાથે જાણ કરી છે. અગાઉ પણ વૈષ્ણોદેવી મંદિરમાં ચોરીના પ્રયાસો થયા છે તેમજ ચોરી પણ થઈ ચૂકી છે.

  • 01 Sep 2024 02:52 PM (IST)

    ભારતી આશ્રમની ગાદીનો વિવાદ વકર્યો, ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતીને આશ્રમના શિષ્યથી કરાયા મુક્ત

    ભારતી આશ્રમની ગાદીને લઈ વિવાદ વધુ વકર્યો છે. હરિહરાનંદ બાપુએ ગાદી પર સ્થાન લીધા બાદ, ભારતી આશ્રમના ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતીને આશ્રમના શિષ્યથી મુક્ત કરાયા છે. હરિહરાનંદ બાપુએ શુક્રવારે ભારતી આશ્રમ પહોંચી ગાદી પર સ્થાન લીધેલ છે. ભારતી આશ્રમની ગાદી પર સ્થાન લીધા બાદ, બન્ને શિષ્યને પદ પરથી હટાવવા નિર્ણય લીધો છે.

  • 01 Sep 2024 02:04 PM (IST)

    ભાવનગર: રેલવેપરા વિસ્તારમાં દરગાહ તોડી પડાતા વિવાદ

    ભાવનગર: રેલવેપરા વિસ્તારમાં દરગાહ તોડી પડાતા વિવાદ થયો છે. અગાઉ રેલવેએ દરગાહને તોડી પાડવા અંગે નોટિસ આપી હતી. દરગાહની આસપાસની જર્જરિત હાલત અંગે નોટિસ અપાઇ હતી. મોટી સંખ્યામાં લોકો દરગાહની આસપાસના વિસ્તારમાં એકઠા થયા . બોર તળાવ પોલીસ અને રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. લોકોએ રેલવે અધિકારીના બંગલા સામે વિરોધ કર્યો છે.

  • 01 Sep 2024 01:59 PM (IST)

    માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં કુખ્યાત દીપક ઠક્કરની કરાઈ ધરપકડ

    માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં પોલીસે ની મોટી કાર્યવાહી કરી છે. કુખ્યાત સટ્ટાખોર આરોપી દિપક ઠક્કરની UAEથી અટકાયત કરાઈ છે. ઇન્ટરપોલ NCBએ દિપક ઠક્કરને અબુ ધાબીથી ઝડપી પાડ્યો છે. SMCની ટીમે દુબઇમાં ઇન્ટરપોલ પાસેથી દિપક ઠક્કરનો કબજો મેળવ્યો છે. એજન્સીઓની મદદથી દિપક ઠક્કરને ગુજરાત લાવવામાં આવ્યો છે. SMCએ માધુપુરા સટ્ટા કાંડ કેસમાં દિપક ઠક્કરની ધરપકડ કરી છે. દિપક ઠક્કર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરાઈ છે. માધુપુરા સટ્ટાકાંડમાં દિપક ઠક્કર મુખ્ય સૂત્રધાર છે. આ સટ્ટાખોર દુબઇથી ઓનલાઈન સટ્ટાનું નેટવર્ક ચલાવતો હતો

  • 01 Sep 2024 01:52 PM (IST)

    અમરેલી: આદમખોર દીપડો પાંજરે પુરાયો

    અમરેલીમાં આખરે આદમખોર દીપડાને પાંજરે પુરવામાં આવ્યો છે.  ચલાલાના ગરમલી ગામે દીપડાએ બે વર્ષીય બાળક પર હુમલો કર્યો હતો. ધારીના ચલાલા ગરમલી ગામે દીપડો પાંજરે પુરાયો છે. સરસિયા વન વિભાગે ઓપરેશન હાથ ધરી 12 કલાકમાં દીપડાને પાંજરે પૂર્યો છે.

  • 01 Sep 2024 01:50 PM (IST)

    જુનાગઢ: દોલતપરા વિસ્તારના મંદિરમાં 7 હજારથી વધુ રોકડની ચોરી

    જુનાગઢ: દોલતપરા વિસ્તારના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. ધૂણેશ્વર મહાદેવ મંદિરની દાનપેટીમાંથી તસ્કરો અંદાજે 7 હજારથી વધુ રોકડની ચોરી કરી ફરાર થયા છે. સમગ્ર ઘટના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

  • 01 Sep 2024 01:48 PM (IST)

    કલ્યાણપુરના જામ રાવલ ગામે ગુમ થયેલ યુવાનનો મૃતદેહ મળ્યો

    દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુરના જામ રાવલ ગામે ગુમ થયેલ યુવાનનો મૃતદેહ મળ્યો. ધ્રુજારીયા ગામના વિસ્તારમાં નદીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ત્રણ દિવસ પહેલા વિજયભાઈ ગામી નામનો GRD જવાન નદીમાં ડૂબ્યો હતો. સતત ત્રણ દિવસથી ચાલેલા રેસ્ક્યુ બાદ આખરે યુવાનનો મૃતદેહ મળ્યો છે. NDRFની બે બોટ દ્વારા સતત રેસ્ક્યુ હાથ ધરાયું હતું

  • 01 Sep 2024 01:47 PM (IST)

    સુરત: CA એસોશિયનનો સ્ટેટ GST પર ગંભીર આરોપ

    સુરત: CA એસોશિયને સ્ટેટ GST પર ગંભીર આરોપ  લગાવ્યો છે.  કામ કરવા માટે લાંચ માગતા હોવાનો આરોપ લગાવ્યો. ઘણાં લાંબા સમયથી હેરાનગતિ થઇ રહી હોવાનો આક્ષેપ કરાયો છે. SGST કમિશનર, રાજ્યના નાણાં પ્રધાન અને CBSI ચેરમેને પત્ર લખી રજૂઆત કરાઈ છે. અગાઉ પણ CA એસોશિયને પત્ર લખીને રજૂઆત કરી હતી.

  • 01 Sep 2024 01:17 PM (IST)

    અમદાવાદના સરખેજ સ્થિત ભારતી આશ્રમનો વિવાદ ચરમસીમાએ

    અમદાવાદના સરખેજ સ્થિત ભારતી આશ્રમનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો. સરખેજ સ્થિત ભારતી આશ્રમમાં વિવાદ વધુ વકર્યો. ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતીને આશ્રમના શિષ્યમાંથી મુક્ત કર્યા. હરિહરાનંદ બાપુએ શુક્રવારે ભારતી આશ્રમ પહોંચી ગાદી પર સ્થાન લીધુ હતું. ભારતી આશ્રમની ગાદી પર સ્થાન લીધા બાદ બન્ને શિષ્યને પદ પરથી હટાવાયા.

  • 01 Sep 2024 12:12 PM (IST)

    અરવલ્લી: બાયડના સાઠંબા ગામેથી નકલી SDM ઝડપાયો

    અરવલ્લી: રાજ્યમાં એક બાદ એક નક્લીની ભરમાર સામે આવી રહી છે. હવે નક્લી SDM ઝડપાયો છે. બાયડના સાઠંબા ગામેથી નકલી SDM ઝડપાયો છે. ઇન્દ્રાણ ગામે રાયોટિંગના ગુનાની પોલીસ પૂછપરછ વખતે ખોટી ઓળખ આપી હતી. આરોપીએ આઈ કાર્ડ દર્શાવી પોતે SDM હોવાનું જણાવ્યુ હતુ. નડિયાદમાં SDM હોવાનું જણાવતા પોલીસ વેરિફિકેશનમાં ભાંડો ફુટ્યો છે. સાઠંબા પોલીસે પ્રકાશ નાયી નામના શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

  • 01 Sep 2024 11:56 AM (IST)

    દાહોદ: સંજેલીના માંડલી ગામે મહિલા અને બાળકનો મૃતદેહ મળ્યો

    દાહોદ: સંજેલીના માંડલી ગામે મહિલા અને બાળકનો મૃતદેહ મળ્યો. માતા અને 11 માસના પુત્રનો ઘર નજીકના કુવામાંથી મૃતદેહ મળી આવ્યા. મૃતક મહિલા તેના પુત્ર સાથે 30 ઓગસ્ટથી ગુમ હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

  • 01 Sep 2024 11:45 AM (IST)

    અમદાવાદના ચાંદખેડામાં રસ્તા પરના ખાડાથી રહીશો ત્રાહિમામ

    અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં લોકોના હાલ-બેહાલ છે. ઉમા ભાવની અંડરપાસથી IOC અંડરપાસને જોડતા રસ્તાને ખોદી નાંખવામાં આવ્યો છે. નર્મદાની પાઇપલાઇન માટે રોડનું ખોદખામ તો કરી નાંખ્યું પરંતુ તંત્ર જાણે રોડનું સમારકામ કરવાનું ભૂલી ગયું હોય તેમ 4 મહિનાથી રોડની હાલત એવી જ છે. બીજી તરફ આઈઓસી પાસે અંડર પાસ બની રહ્યો હોવાથી રોડ બંધ પણ કરવામાં આવતા નાકોડા સોસાયટી, ગ્રીન પાર્ક, માહિપાલનગર, જ્ઞાનેશ્વરપાર્ક, પ્રમુખ સોસાયટી સહિતની 20 જેટલી સોસાયટીના રહીશોએ ફરીને જવાની નોબત આવી છે. મનપા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારંવારની રજૂઆત બાદ પણ રસ્તો તૈયાર નથી થયો. સ્થાનિકોને ઓફિસ જવા-આવવા તેમજ બાળકોને શાળાએ મુકવા જવામાં મુશ્કેલીનો સમાનો કરવો પડી રહ્યો છે.

  • 01 Sep 2024 11:44 AM (IST)

    વડોદરાના વાઘોડિયામાં વરસાદ બાદ ખેડૂતોના પાકને નુકસાન

    વડોદરાના વાઘોડિયામાં વરસાદ બાદ ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યુ છે. ખેતરોમાં પાણી ઘુસી જતા ખેડૂતને મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તવરા તેમજ દંખેડાના ખેડૂતોની દયનીય સ્થિતિ છે. પપૈયા, કેળ, મરચી તેમજ શાકભાજીના ઉભા પાકને નુકસાન થયુ છે. સર્વે કરી સહાય ચુકવવા ખેડૂતો માગ કરી રહ્યા છે.

  • 01 Sep 2024 11:43 AM (IST)

    અરવલ્લી: માલપુરનું રખોડેશ્વર મહાદેવ જળમગ્ન

    અરવલ્લી: માલપુરનું રખોડેશ્વર મહાદેવ જળમગ્ન બન્યુ છે. વાત્રક નદીના પાણીમાં મંદીર ગરકાવ થયુ છે. મંદિરની આસપાસનો એક કિલોમીટર વિસ્તાર પાણી પાણી થયો છે. પાણી ભરાયેલા હોવાને કારણે શ્રાવણ માસના અંતિમ દિવસે ભક્તો પૂજા-અર્ચના નહીં કરી શકે. વાત્રક ડેમ ઓવરફ્લો થતા નદીમાં પાણી છોડાયુ હતુ. લગભગ 6 મહિના સુધી જળમગ્ન રહેશે સ્વ્યંભૂ રખોડેશ્વર મહાદેવ મંદિર

  • 01 Sep 2024 11:41 AM (IST)

    છોટાઉદેપુરના બોડેલીમાં દીપડાની દહેશતથી ગામલોકો ચોકીપહેરો ભરવા બન્યા મજબુર

    છોટા ઉદેપુર જિલ્લાનાં બોડેલીમાં કેટલાક ગામોમાં લોકો એકબીજાને મદદ કરવા એકઠા થઇ રહ્યા છે. પહેલા ગામ લોકો દીપડાની દહેશતને કારણે રાત્રે ચોકી પહેરો કરતા હતા હવે તેમના ઉજાગરાનું કારણ કંઇક અલગ છે. જાગતે રહો….સાબદા રહેજો….આવી બુમો પાડીને લોકો ચોકી પહેરો કરી રહ્યા છે. કારણ કે બોડેલી તાલુકાના સુસ્કાલ, ચાચક, મૂલધર, ટીંબી, સીમલીયા ગામે તસ્કરો ત્રાટકવાની દહેશત છે. પોલીસને ભરોસે બેસી રહેવાને બદલે લોકો વિના સહકાર નહીં ઉદ્ધાર સુત્ર અપનાવીને પોતે જ પોતના જાનમાલની સુરક્ષામાં લાગ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં અહીં તસ્કરોનો ત્રાસ એવો તો વધ્યો છે કે દિવસભર મજૂરી કરીને થાકીને આવેલા લોકો રાત્રે પણ ઉજાગરા કરવા મજબૂર છે. લોકો ગામમાં ચોકી પહેરો તો કરે જ છે સાથે સાથે ચોર પકડવા ગ્રામજનોએ વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું છે.

  • 01 Sep 2024 11:39 AM (IST)

    ભરૂચ: 10થી વધુ લોકોએ બે થી ત્રણ યુવાનોને માર્યો માર

    ભરૂચ:અસામાજીક તત્વો બેફામ બન્યા છે. આમોદ પોલીસ મથક પાસેજ અસામાજીક તત્વોનો આતંક સામે આવ્યો. 10થી વધુ લોકોએ બે થી ત્રણ યુવાનોને માર માર્યો. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • 01 Sep 2024 11:38 AM (IST)

    મોરબીના વિરપર નજીક તળાવમાં ડૂબી જતાં બે યુવકના મોત

    મોરબીના વિરપર નજીક તળાવમાં ડૂબી જતાં બે યુવકના મોત થયા છે. કોઝવે પરથી પગ લપસી જતા બંને યુવકો પાણીમાં પડ્યા હતા. ફાયર વિભાગે બંન્નેના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે મોકલ્યા છે.

  • 01 Sep 2024 11:37 AM (IST)

    ભરૂચ: મહાપુરા, ખાનપુર સહિતના ગામોમાં નથી ઓસર્યા પૂરનાં પાણી

    ભરૂચ:ભરૂચ: જંબુસર તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારમાં હજુ પાણી ઓસર્યા નથી. મગણાદ અને કુંઢળ ગામ જળમગ્ન બન્યુ છે. મહાપુરા, ખાનપુર સહિતના ગામોમાં હજુ પૂરના પાણી ઓસર્યા નથી, ઢાઢર નદીના પાણીથી સમગ્ર વિસ્તારમાં તબાહી સર્જાઈ છે. જંબુસરના ગ્રામ્યપંથકમાં ખેતીને ભારે નુકસાન પહોંચ્યુ છે.

  • 01 Sep 2024 11:16 AM (IST)

    સુરતમાં દિલીપ સંઘાણીએ જુના કાર્યકર્તાઓની વ્યથા દૂર કરવાની કરી વાત

    પક્ષ પલટો કરીને ભાજપમાં આવેલા કાર્યકર્તાઓને માન સન્માન આપવામાં આવે છે.ત્યારે નવા કાર્યકર્તાઓમાં નારાજી જોવા મળે સ્વભાવિક વાત છે પણ હવે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી સુરતને સૌરાષ્ટ્રનું પાવર જનરેટર ગણાવી આવનાર દિવસોમાં નવા સંગઠનમાં જુના કાર્યકર્તાઓની વ્યથા દૂર કરવાની વાત કરી હતી. ત્યારે જુના જનસંઘના કાર્યકર્તાઓએ કેટલીક વાતને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું.સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ નીતિન ભજીયાવાલાના જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો.તો બીજી તરફ નીતિન ભજીયા વાલાને શુભેચ્છા આપવા આવેલા જુના જનસંઘના કાર્યકર્તાઓએ રમૂજ કરતાં કહ્યું કે આજે પક્ષનુ બધુ જૂનું લોખંડ ભેગું થયું છે. કાર્યકર્તાઓએ કહ્યું કે હજી પણ આ લોખંડને કાટ લાગ્યો નથી.

  • 01 Sep 2024 11:14 AM (IST)

    સુરેન્દ્રનગર: ભારે વરસાદને કારણે થાન સિરામિક ઉધોગોના એકમોમાં ભરાયા વરસાદી પાણી

    સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને કારણે સર્જાઇ તારાજી સર્જાઈ છે. થાન સિરામિક ઉધોગોના એકમોમાંવરસાદી પાણી ભરાતા સિરામીક ઉદ્યોગને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે. થાનમાં બ્રિજ બનાવાના કામમાં વિલંબ થતા કારખાનાઓમાં પાણી ભરાયા છે. યોગ્ય ડાયવર્ઝન ન આપ્યુ હોવાને કારણે પાણી ભરાયાનો આરોપ લાગ્યો છે. એકમોમાં ભરેલા કાચા માલ અને સાધન સામગ્રીને નુકસાન પહોંચ્યુ છે. તંત્રની બેદરકારીને કારણે વરસાદી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો. વરસાદ બંધ થયા બાદ પણ પાણી નથી ઓસર્યા. ઉદ્યોગકારોએ તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે.

  • 01 Sep 2024 11:12 AM (IST)

    રખડતા ઢોર અને ખાડાગ્રસ્ત રોડથી ભાવેણાવાસીઓ ત્રાહિમામ

    ભાવનગર શહેરમાં અત્યારે એવી સ્થિતિ છે કે મનપાએ હાથમાં લીધેલા કામ પૂરા નથી થતા અને ત્યાં ભર ચોમાસે નવા રોડ બનાવવાના કામ પણ શરૂ કરાયા છે. જેના પરિણામે મુખ્ય રસ્તાઓ પર જ્યાં જૂઓ ત્યાં ડાયવર્ઝનના પાટીયા લાગાવવામાં આવ્યા છે. અત્યારે ભાવનગરમાં ટોપ થ્રી થી દુખીશામ બાપુ સર્કલ સુધીના રસ્તે ડાયવર્ઝન છે. કાળુભા રોડ કાળાનાળા પણ રોડનું કામ હોવાને લઈને ત્યાં પણ ડાઇવર્ઝન મુકવામાં આવ્યું છે. ચિત્રા તરફથી આવતા પુલનું કામ ચાલતું હોવાથી તે રસ્તે પણ ડાઇવર્ઝનું પાટીયું ઝુલે છે. ભાવનગર શહેરની પ્રજા તો હાલ રખડતા ઢોર, ખાડા અને ખોદકામવાળા રસ્તા અને ડાઇવર્ઝન વચ્ચે પિસાઇ રહી છે. ભાવનગર શહેરમાં જ્યાં જુઓ ત્યાં કાર્ય પ્રગતિમાં છે તેવા બોર્ડ મુકાયા છે પણ વાસ્તવિકતા એ છે કે કાર્ય તો ચાલુ છે પણ તેમાં કોઇ પ્રગતિ દેખાઇ નથી રહી..બીજા તરફ મનપાના અધિકારીઓ સરકારી જવાબ આપી રહ્યા છે કે કામ ચાલુ છે…જલ્દી પૂર્ણ થશે અને હાલાકીનો અંત આવશે.

  • 01 Sep 2024 11:11 AM (IST)

    વડોદરામાં એડવોકેટ વિઠ્ઠલ પંડીતની હત્યા

    વડોદરામાં વકીલની હત્યાનો બનાવ સામે આવ્યો છે. સિંધરોટ જતા માર્ગે  એડવોકેટ વિઠ્ઠલ પંડિતની બોથડ પદાર્થથી માર મારી  હત્યા કરાઇ હોવાનું સામે આવ્યુ છે.  અનૈતિક સંબંધોને કારણે હત્યા થઇ હોવાની આશંકા સેવાઈ રહી છે. શંકાસ્પદ જણાતા એક વ્યકિત અને તેની પત્નીની અટકાયત કરાઈ છે. વડોદરા પોલીસે હત્યાની તપાસ શરૂ કરી છે.

  • 01 Sep 2024 11:09 AM (IST)

    અમદાવાદ: અડાલજના વૈષ્ણોદેવી મંદિરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ

    અમદાવાદ: અડાલજના વૈષ્ણોદેવી મંદિરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસની ઘટના સામે આવી છે. સિક્યોરિટી ગાર્ડની સતર્કતાના કારમે ચોરો ભાગ્યા હતા. ચોરી કરવા આવેલા બે શખ્સો CCTVમાં થયા કેદ છે. પોલીસને પણ ઘટનાની જાણ કરવામાં આવી છે.

  • 01 Sep 2024 11:04 AM (IST)

    વલસાડ: 71 વર્ષીય વૃદ્ધાના ગળામાંથી ચેનની ચિલઝડપ કરી ગઠિયો ફરાર

    વલસાડ: પારડીના ટુકવાડા ગામે ચિલઝડપની ઘટના સામે આવી. 71 વર્ષીય વૃદ્ધાના ગળામાંથી ચેનની ચિલઝડપ કરી ગઠિયો ફરાર થઈ ગયો. પાણી પીવુ છે એવું કહીંને ચોર ઘરમાં આવ્યો હતો.  પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • 01 Sep 2024 08:28 AM (IST)

    અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ માટે મહેસાણાના ઝુલાસણમાં થયો યજ્ઞ

    ભારતીય મૂળના અવકાશ યાત્રી સુનીતા વિલિયમ્સ અવકાશમાં ફસાયેલા છે..અમેરિકી અંતરિક્ષ સંસ્થા નાસાએ સુનીતા વિલિયમ્સને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પૃથ્વી પર પરત લાવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે સુનિતા વિલિયમ્સના પૈતૃક ગામમાં હવાનનું આયોજન કરાયું. સુનીતા વિલિયમ્સના પિતા દીપક પંડ્યા મહેસાણાના કડી તાલુકાના ઝુલાસણ વતની છે. એટલે અહીંના ગ્રામજનો સુનિતા વિલિયમ્સને પોતાના ગામની જ દીકરી માને છે.

    સુનીતા વિલિયમ્સની સૌથી વધુ ચિંતા ઝુલાસણ ગામના વતની કરી રહ્યા છે. અવકાશની યાત્રા કરી ગુજરાત, ભારત અને અમેરિકાનું નામ રોશન કરનાર સિનિતા વિલિયમ્સની મંગલકામના માટે. ઝુલાસણ ગામના નીલકંઠ મહાદેવ મંદિરમાં યજ્ઞ કરવામાં આવ્યો. મંદિરના મહંત અને ગ્રામજનોએ રામધૂન યોજીને સુનિતા વિલિયમ્સ માથે રહેલું સંકટ ટળે અને જલદી પરત ફરે તે માટે પ્રાર્થના કરી..

Published On - Sep 01,2024 8:26 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">