પડદા પાછળની કહાની ! પરષોતમ રૂપાલાના નિવેદનનું તણખલું આટલી આગ કઇ રીતે બની ? વાંચો વિગત
પરષોત્તમ રુપાલાએ કરેલા નિવેદન બાદ વકરી રહેલા વિવાદને શાંત પાડવા ભાજપ પ્રયત્ન તો કરી રહ્યુ છે, પરંતુ આ પ્રયત્નોમાં જોઇએ તેટલી કોઇ સફળતા મળી રહી નથી.પરષોત્તમ રૂપાલા પોતે કહી રહ્યા છે કે તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી લીધી છે, જેથી આ વિવાદ અહીં પૂર્ણ થઇ જવો જોઇએ. સવાલ એ વાતનો છે કે એક નિવેદનથી શરૂ થયેલો આ આગ રાજ્યભરમાં દાવાનળની જેમ કેમ ફેલાઇ ગઇ.
![પડદા પાછળની કહાની ! પરષોતમ રૂપાલાના નિવેદનનું તણખલું આટલી આગ કઇ રીતે બની ? વાંચો વિગત](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/04/Why-is-there-so-much-controversy-due-to-Parshottam-Rupalas-statement-1.jpg?w=1280)
રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીને કારણે ભારે વિવાદ સર્જાયો છે. આ વિવાદ સમવાનું નામ નથી લઇ રહ્યો.ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાની ટિકીટ રદ કરવાની માગ સાથે મક્કમ જોવા મળી રહ્યો છે અને રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. બીજી તરફ ભાજપ ડેમેજ કંટ્રોલના પ્રયત્નો કરી રહ્યું છે.
પરષોત્તમ રુપાલાએ કરેલા નિવેદન બાદ વકરી રહેલા વિવાદને શાંત પાડવા ભાજપ પ્રયત્ન તો કરી રહ્યુ છે, પરંતુ આ પ્રયત્નોમાં જોઇએ તેટલી કોઇ સફળતા મળી રહી નથી.પરષોત્તમ રૂપાલા પોતે કહી રહ્યા છે કે તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી લીધી છે, જેથી આ વિવાદ અહીં પૂર્ણ થઇ જવો જોઇએ. સવાલ એ વાતનો છે કે એક નિવેદનથી શરૂ થયેલો આ આગ રાજ્યભરમાં દાવાનળની જેમ કેમ ફેલાઇ ગઇ. એક વિવાદ આંદોલન બની ગયું તો પણ ભાજપના મવડી મંડળનું ધ્યાન કેમ ન ગયું. TV9 ગુજરાતીના આ રિપોર્ટમાં વાંચો પડદા પાછળની આ કહાની.
વીડિયો વાયરલ કરનાર કોણ ?
આ વિવાદની શરૂઆત ત્યાંથી થાય છે જ્યારે ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા રૂખી સમાજના એક કાર્યક્રમમાં પહોંચે છે અને ત્યાં ભાષણ આપે છે.આ કાર્યક્રમ પૂર્વ નિર્ધારીત ન હતો. આ કાર્યક્રમમાં રૂપાલા પહોંચવાના છે તેવી વાત પણ ન હતી, પરંતુ કાર્યકર્તાની લાગણીને માન આપીને ત્યાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં પરષોત્તમ રૂપાલાની સાથે ભાજપના મર્યાદિત આગેવાનો અને હાજર લોકો જ હતા.
આ સમયે આપેલા નિવેદનનો વીડિયો બીજા દિવસે વાયરલ થયો હતો. એક ચર્ચા મુજબ પૂર્વ નિર્ધારીત રીતે ક્ષત્રિય સમાજના ગ્રુપમાં અને મીડિયા સુધી આ વીડિયો પહોંચ્યો હતો, ત્યારે વીડિયો કોણે વાયરલ કર્યો તે મોટો સવાલ ઉભો થઇ રહ્યો છે.
સેન્સ પ્રક્રિયાથી જ ઉમેદવારને લઇને અસંતોષ
રાજકોટ ભાજપમાં સેન્સ પ્રક્રિયાથી લઇને એક અસંતોષ જોવા મળ્યો છે.રાજકોટ અને પોરબંદર બેઠક પર ભાજપના પ્રદેશ કક્ષાના એક દિગ્ગજ નેતાનું નામ ચર્ચામાં હતું,કાર્યકર્તાઓએ પણ સેન્સ આપી હતી, પરંતુ આ દિગ્ગજ નેતાના જુથવાદને કારણે તેનું નામ પેનલમાં પણ લેવામાં ન આવ્યું. જેથી સેન્સ આપવા ગયેલા અપેક્ષિત કાર્યકર્તાઓમાં એક અસંતોષ જોવા મળ્યો હતો.
પરષોત્તમ રૂપાલાનું નામ ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ રાજકોટના બધા જ જુથ એક બનીને પ્રચારમાં લાગી ગયા હતા, પરંતુ જ્યારે રૂપાલાનો વિવાદ આવ્યો ત્યારે કેટલાક સ્થાનિક નેતાઓએ મૌન સેવીને આ વિવાદને હવા આપવાનું કામ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. જેથી આ વિવાદ રાજકોટથી આગળ વધીને સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના સોશિયલ મીડિયા સુધી અને ત્યારબાદ મીડિયા સુધી પહોંચી ગયો.
ગોંડલની બેઠકથી સમાધાન નહિ ઉશ્કેરાટ વધ્યો
પ્રદેશ ભાજપની સૂચનાથી ગોંડલમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી.જો કે બેઠકની રૂપરેખા જ ખોટી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.આ બેઠકમાં સૌરાષ્ટ્રના ભાજપના ક્ષત્રિય સમાજના હોદ્દેદારો કાર્યકર્તાઓને બોલાવવામાં આવ્યા જ્યારે ભાજપની પેર્ટન પ્રમાણે અપેક્ષિત કાર્યકર્તાઓને જ આ સંમેલનમાં પ્રવેશ આપવામાં આવ્યો. જે સામાજિક સંસ્થાઓ આ નિવેદનનો વિરોધ કરી રહી હતી. તેઓને આમંત્રણ આપવામાં ન આવ્યું. ક્ષત્રિય સમાજની એક મહત્વની સંસ્થા કરણીસેનાના પ્રતિનિધીને પણ ન બોલાવવામાં આવ્યા,એટલુ જ નહિ ક્ષત્રિય સમાજની મહિલા પાંખના મહિલાઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેઓની અટકાયત કરતા આ ઉશ્કેરાટ વધ્યો હતો અને માફીની વાત એક તરફ રહીને મહિલાઓની અટકાયતથી રોષ ઉગ્ર બન્યો હતો.
પદ્મીનીબા થોડા દિવસ પહેલા જ ભાજપમાં જોડાયા હતા
ગોંડલની સભા બાદ આ આંદોલનને જેને વેગ આપ્યો અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને જેને પડકાર ફેંક્યો તે પદ્મીનીબા વાળા પોતે ભાજપના કાર્યકર્તા છે.થોડા દિવસો પહેલા ભાજપના પ્રદેશ ઉપાઘ્યાક્ષ ભરત બોઘરાની હાજરીમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય મહિલાઓને સાથે રાખીને પદ્મીનીબા વાળાએ ભાજપમાં વિધીવત પ્રવેશ કર્યો હતો.ભાજપનું મવડી મંડળ ભાજપના કાર્યકર્તાને જ સમજાવવામાં અસફળ રહ્યું કે પછી સમજાવવાના પ્રયત્નો જ કરવામાં ન આવ્યા તે મોટો સવાલ ઉપસ્થિત થઇ રહ્યો છે.
ભાજપની ક્ષત્રિય નેતાગિરી કેમ મૌન છે ?
સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના મોટા આગેવાન વજુભાઇ વાળા છે.વજુભાઇ વાળા કારડીયા રાજપૂત સમાજમાંથી આવે છે, પરંતુ તેઓ રાજપૂત સમાજની દરેક પાંખ સાથે જોડાયેલા છે વજુભાઇ વાળાનો એક પણ સમાજ જોગ સંદેશો હજુ સુધી આવ્યો નથી.આ ઉપરાંત ભુપેન્દ્રસિંહ ચુડાસમા,હકુભા જાડેજા,પ્રદિપસિંહ વાધેલા,પ્રદિપસિંહ જાડેજા અને આઇ.કે.જાડેજા સહિતના આગેવાનો મૌન છે.ક્ષત્રિય નેતાગીરી સક્ષમ હોવા છતા પણ ભાજપના નેતાઓ ક્ષત્રિય સમાજને સમજાવવામાં નિષ્ફળ રહ્યા છે અને ડેમેજ કન્ટ્રોલ કરી શક્યા નથી.આ એવા તમામ નેતાઓ છે જેઓ ભાજપમાં સીધી રીતે હોદ્દા પર નથી અને છેલ્લા ઘણાં સમયથી સાઇડલાઇન થયેલા છે ત્યારે તેઓનું મૌન ધણુ જ સૂચક છે.
સાબરકાંઠા-અમરેલીમાં નેતાઓ દોડ્યાં, તો રાજકોટમાં નિરુત્સાહ કેમ ?
રાજકોટ ભાજપમાં આંતરિક કહેલ ચરમસીમા પર છે.ભાજપ દ્વારા ડેમેજ કન્ટ્રોલ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ રાજકોટ બેઠકની સ્થિતિ કંઇક અલગ છે. સાબરકાંઠા અને અમરેલીમાં ભાજપમાં કલેહ જોવા મળતા મવડી મંડળ દોડતું થયું હતું.સાબરકાંઠાના નેતાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે બેઠકો કરી હતી.અમરેલીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને હકુભા જાડેજાએ બેઠકો કરીને મામલો શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ રાજકોટના કિસ્સામાં કોઇ સિનીયર નેતા દખલગીરી કરી રહ્યા નથી.પ્રદેશ ભાજપની સૂચનાથી ગોંડલમાં સંમેલન થયું તે પણ ભાજપ માટે જ મુશ્કેલી ઉભી કરે તેવું સાબિત થતા હવે ડેમેજ કન્ટ્રોલ કઇ રીતે કરવું તે મોટો સવાલ ઉભો થયો છે તેવામાં પણ ભાજપનું નિરુત્સાહી વલણ અનેક સવાલો ઉભા કરે છે.
મારી પાર્ટીના કોઇ કાર્યકર્તા આંદોલનને વેગ ન આપે-રૂપાલા
આંદોલન ભાજપ પ્રેરિત હોવાની અનેક ચર્ચાઓ થઇ રહી છે.આ અંગે પત્રકારોએ રૂપાલાને પણ સવાલ કર્યો હતો કે શું આ વિવાદને વેગ ભાજપના નેતાઓ જ આપી રહ્યા છે.આ સવાલના જવાબમાં રૂપાલાએ કહ્યું હતું કે આવું કોઇના માટે મારે કહેવું યોગ્ય નથી અને આવી પ્રવૃતિ મારા કાર્યકર્તાઓ કરતા પણ ન હોય.આ નિવેદન આપીને રૂપાલાએ પાર્ટીના કાર્યકર્તાનો બચાવ તો કર્યો પરંતુ જરૂરથી પાર્ટીના ભીતરમાં આ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે આંદોલન આટલું વેગવંતુ કોના ઇશારે થઇ રહ્યું છે.છેલ્લા ઘણાં સમયથી શિસ્તબદ્ધ પાર્ટીના કાર્યકર્તાઓ પોતાની શિસ્ત બાજુએ મુકીને પાર્ટીને છાજે નહિ તેવું કામ કરી રહ્યા છે ત્યારે આ વિવાદ આગળ ક્યો વળાંક લે છે તે જોવાનું રહેશે.