મહિલા T20 વર્લ્ડ કપ 2024ની પહેલી જ મેચમાં ટીમ ઈન્ડિયા ખરાબ રીતે હારી ગઈ હતી. દુબઈમાં શુક્રવારે 4 ઓક્ટોબરે રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને 58 રને હરાવ્યું હતું. આ હાર બાદ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની સફર લગભગ પૂરી થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે. સેમીફાઈનલમાં જવાની આશા બહુ ઓછી જણાઈ રહી છે. બીજી તરફ, આ હારથી ફરી એકવાર 2021 મેન્સ T20 વર્લ્ડ કપના ઘા તાજા થયા છે. તે સમયે પણ ન્યુઝીલેન્ડની ટીમે આ જ મેદાન પર ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ભારતને હરાવ્યું હતું. જે બાદ ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી શકી નહીં.
ન્યુઝીલેન્ડ સામેની હાર બાદ ટીમ ઈન્ડિયાની સફર લગભગ પૂરી થઈ ગઈ છે. સૌથી મોટું કારણ ભારતની મોટી હાર છે. ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 160 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયા કોઈક રીતે 102 રન જ બનાવી શકી હતી અને તેને 58 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લા સ્થાને પહોંચી ગઈ છે. તેમજ નેટ રન રેટ પણ ખૂબ જ ખરાબ થઈ ગયો છે. ટીમ ઈન્ડિયા અત્યારે ગ્રુપ Aમાં -2.900 ના NRR સાથે કોઈપણ પોઈન્ટ વિના પાંચમાં સ્થાને છે.
ભારતીય ટીમની સફર પૂરી થઈ ગઈ છે કારણ કે હવે 3 મેચ બાકી છે અને ત્રણેય મેચ જીતવી જરૂરી બની ગઈ છે. આ મેચોમાં ટીમે પહેલા 6 ઓક્ટોબરે પાકિસ્તાનનો સામનો કરવાનો છે. 9 ઓક્ટોબરે એશિયા કપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને હરાવી ચૂકેલી શ્રીલંકા સાથે ટક્કર થશે. 13 ઓક્ટોબરે ભારતીય ટીમની ઓસ્ટ્રેલિયા સામે મેચ છે, જે 6 વખતની ચેમ્પિયન છે અને ઘણી વખત તેમની સામે ભારતને હાર મળી છે.
હાલમાં ટીમ ઈન્ડિયા માટે સેમીફાઈનલનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે. જો ભારતીય ટીમ બાકીની 3 મેચોમાં કોઈપણ મેચ હારે છે તો ટીમ ઈન્ડિયાએ અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. પરંતુ જો ટીમ ઈન્ડિયાને ગ્રુપના ટોપ-2માં રહેવું હોય અને સેમીફાઈનલમાં જવું હોય તો બાકીની તમામ મેચો જીતવી એ સૌથી સરળ ઉપાય છે.
આગામી મેચ રવિવારે 6 ઓક્ટોબરે પાકિસ્તાન સામે છે. શ્રીલંકાને 31 રનથી હરાવ્યા બાદ પાકિસ્તાનની ટીમ 2 પોઈન્ટ અને +1.550ના નેટ રન રેટ સાથે બીજા ક્રમે છે. જો ભારત પાકિસ્તાનને મોટા માર્જિનથી હરાવવામાં સફળ રહે છે, તો નેટ રન રેટમાં સુધારો થઈ શકે છે. જો કે, એશિયા કપમાં ભારતીય ટીમે આ કામ કર્યું છે, પરંતુ આ ટૂર્નામેન્ટમાં તે આસાન નહીં હોય. શ્રીલંકાને હરાવીને પણ ટીમ ઈન્ડિયાને નેટ રન રેટ સુધારવાની તક મળશે. જો ટીમ ઈન્ડિયા આ બે મેચ જીતવામાં અને NRRમાં સુધારો કરવામાં સફળ રહે છે તો સેમીફાઈનલનો રસ્તો આસાન બની જશે.
આ પણ વાંચો: T20 World Cup Controversy: ટીમ ઈન્ડિયા સાથે ચીટિંગ, અમ્પાયરની ભૂલથી છીનવાઈ વિકેટ, કોચ-કેપ્ટન ગુસ્સે થયા
Published On - 4:35 pm, Sat, 5 October 24