Pune Porsche hit and run case : પુણે હિટ એન્ડ રન કેસમાં સગીર આરોપીને બોમ્બે હાઈકોર્ટે આપ્યા જામીન
બોમ્બે હાઈકોર્ટે હિટ એન્ડ રન કેસના સગીર આરોપીને જામીન આપ્યા છે. સગીર આરોપીની માતાએ, બોમ્બે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. આ અરજીમાં એવો આરોપ લગાવ્યો છે કે, સગીર આરોપીને ગેરકાયદેસર કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.
પુણે હિટ એન્ડ રન કેસમાં એક મોટી અપડેટ સામે આવી રહી છે. પુણેના કલ્યાણીનગર અકસ્માત કેસના મુખ્ય કિશોર આરોપીને આખરે બોમ્બે હાઈકોર્ટમાંથી આજે જામીન મળી ગયા છે. સગીર આરોપીની માતાએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં આરોપ લગાવ્યો છે કે સગીર આરોપીને ગેરકાયદેસર કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી હતી. ત્યારબાદ ચૂકાદો અનામત રાખવામાં આવ્યો હતો.
આખરે હાઇકોર્ટ દ્વારા આ મામલે ચુકાદો આપવામાં આવ્યો હતો. આ ચુકાદામાં સગીર આરોપીઓને મોટી રાહત મળી છે. રસપ્રદ વાત એ છે કે, કલ્યાણીનગર હિટ એન્ડ રન અકસ્માતમાં બાઇક પર સવાર યુવક અને યુવતીના મોત થયા હતા. આ બંનેના માતા-પિતા, તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળ્યા હતા. આ મુલાકાતમાં મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું હતું કે, સંબંધિત ઘટનાનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે. જે બાદ આજે હાઈકોર્ટે સગીર આરોપીને જામીન આપ્યા છે. તેથી હવે આ આરોપી યુવકને બાળ સુધાર ગૃહમાંથી મુક્ત કરવામાં આવશે.
કોર્ટે આ મામલામાં મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. બોમ્બે હાઈકોર્ટે કહ્યું છે કે, આ કેસમાં પહેલા જામીન આપ્યા પછી કોઈ વ્યક્તિને ફરીથી અટકાયતમાં રાખવા ગેરકાયદેસર છે. સગીર આરોપીના માતા-પિતા હાલ જેલમાં છે. રસપ્રદ વાત એ છે કે આ કેસમાં કિશોર આરોપીને 33 દિવસ બાદ બાળ સુધાર ગૃહમાંથી મુક્ત કરવામાં આવશે.
એ રાત્રે શું થયું હતુ ?
પુણેના કલ્યાણીનગર વિસ્તારમાં ગત 18 મેની મધ્યરાત્રિથી 19 મેના રાત્રીના 2.30 વાગ્યાની વચ્ચે અકસ્માત થયો હતો. એક મોટા ઉદ્યોગપતિના પુત્રએ વધુ ઝડપે કાર ચલાવીને બે લોકોને કચડી નાખ્યા હતા. અકસ્માત સમયે કાર ચલાવતો ડ્રાઈવર સગીર હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીએ 12માની પરીક્ષા પાસ કર્યા બાદ તેના મિત્રોને પબમાં પાર્ટી આપી હતી. તેણે દારૂ પીધો હતો અને દારૂના નશામાં કલ્યાણીનગરની શેરીઓમાં મોંઘીદાટ પોર્શ કારને ખૂબ જ ઝડપથી હંકારી હતી.
આ દરમિયાન તેણે એક બાઇકને ટક્કર મારી હતી. આ બાઇક પર અનિસ આહુડિયા અને અશ્વિની કોષ્ટા નામના બે લોકો સવાર હતી. અકસ્માતમાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ સ્થાનિકોએ સગીર આરોપીને પકડીને માર માર્યો હતો. જે બાદ પોલીસ ઘટના સ્થળે આવી હતી. પોલીસે આરોપીની અટકાયત કરી હતી. આ કેસમાં પોલીસ પર ખૂબ જ ગંભીર આરોપો લાગ્યા હતા.
બાદમાં ખુલાસો થયો કે, આરોપી સગીર પુણેના પ્રખ્યાત બિલ્ડર વિશાલ અગ્રવાલનો પુત્ર છે. આ કેસમાં, આરોપીને બાળ અધિકાર ન્યાય બોર્ડ દ્વારા ઘટનાના થોડા કલાકો બાદ, તે સગીર હોવાના આધારે જામીન આપવામાં આવ્યા હતા. તેમને માત્ર 300 શબ્દોનો નિબંધ લખવાની શરતે જામીન આપવામાં આવ્યા હતા.
આ મામલામાં પોલીસની આકરી ટીકા થવા પામી હતી. જે બાદ પોલીસ અને સરકાર પર દબાણ વધી ગયું હતું. આ કેસની તપાસ જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ અનેક ચોંકાવનારી બાબતો બહાર આવતી ગઈ હતી. પરંતુ આખરે આજે પુણે પોર્શ હિટ એન્ડ રન કેસના સગીર આરોપીને બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે.