17 ઓગસ્ટના મહત્વના સમાચાર : જૂના વાહનો માટે ફરી લાવો E10 પેટ્રોલ.. કેન્દ્ર સરકારના મુખ્ય આર્થિક સલાહકાર અનંત નાગેશ્વરને E10 પેટ્રોલની કરી ભલામણ
Gujarat Live Updates આજ 17 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

LIVE NEWS & UPDATES
-
સુરતઃ વેસુ પોલીસ સ્ટેશનના જવાને ખાખીનો રોફ જમાવ્યાનો આરોપ
સુરતના પાલ વિસ્તારમાં આવેલા ગાર્ડેનિયા રો-હાઉસમાં પોલીસ કર્મચારી અને પાડોશી પરિવાર વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. વેસુ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી નરેશ ગઢવી સામે મારામારી અને દાદાગીરીના આક્ષેપો કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, કાર પાર્કિંગ અને મેન્ટેનન્સના મુદ્દે પોલીસ કર્મચારી નરેશ ગઢવી અને પાડોશી પરિવાર વચ્ચે તકરાર થઈ હતી. ત્યારબાદ તકરાર ઉગ્ર બનતા મારામારી થઈ હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર ઘટનામાં નિલેશ પટેલ, તેમની પત્ની અને 77 વર્ષીય માતા સાથે મારામારી કરવામાં આવી હોવાનો પરિવારનો આક્ષેપ છે.
પરિવારના આક્ષેપ મુજબ, મારામારી દરમિયાન વૃદ્ધ માતાને ધક્કો મારી નીચે પટકવામાં આવતા તેમને ઈજા થઈ હતી. સમગ્ર ઘટનાના વીડિયો પુરાવા પણ સામે આવ્યા છે, જેના આધારે પરિવાર દ્વારા પોલીસ કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પરિવારનો વધુમાં આક્ષેપ છે કે પોલીસ કર્મચારી અવારનવાર સોસાયટીમાં દાદાગીરી કરતા હતા. ઘટનાને લઈને ભોગ બનનાર પરિવારે કોઈપણ પ્રકારનું સમાધાન ન કરતાં પોલીસ કર્મચારી સામે કડક FIR નોંધવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
-
વડોદરાઃ ડભોઇ રોડના ઢાબામાં દાળમાંથી નીકળ્યો મકોડો
વડોદરાના ડભોઇ રોડ પર આવેલા ક્રિષ્ના કાઠીયાવાડી ઢાબામાં ભોજનની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે. ધરવાસા ચોકડી નજીક આવેલા ઢાબામાં ગ્રાહકની દાળમાંથી મકોડો મળી આવ્યો હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં, પનીરના શાકમાંથી પણ વાળ મળી આવતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગ્રાહકના જણાવ્યા મુજબ, ભોજન દરમિયાન દાળમાં મકોડો જોવા મળ્યો હતો. જ્યારે પનીરના શાકમાં પણ વાળ મળી આવતા ખાણીપીણીની ગુણવત્તા અને સ્વચ્છતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ઘટનાને લઈને ગ્રાહકે ઢાબા સંચાલકને ફરિયાદ કરી હતી, પરંતુ સંચાલકે ઉડાઉ જવાબ આપ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે ઢાબામાં રસોઈ બનાવવામાં આવતી જગ્યાની સ્વચ્છતા સામે પણ સવાલો ઉઠ્યા છે. જ્યાં રસોઈ બનાવવામાં આવે છે ત્યાં ગંદકી જોવા મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ સંચાલકોની બેદરકારીના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાના આક્ષેપો વચ્ચે હવે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું.
-
-
વડોદરા: ડભોઇ તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન
-
સુરત: સુમુલ ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખની આજની ચૂંટણી મુલતવી
સુરતઃ સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે યોજાનારી ચૂંટણી એકાએક મુલતવી રાખવામાં આવતા વિવાદ સર્જાયો છે. ભાજપ નેતાઓ વચ્ચેની આંતરિક ખેંચતાણને કારણે ચૂંટણી મુલતવી રાખવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, ચૂંટણી મુલતવી રાખવા અંગે સત્તાવાર કારણ સ્પષ્ટ થયું નથી.સુમુલ ડેરીની ચૂંટણીમાં કુલ 15 બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો હતો. ત્યારબાદ આજે ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની હતી. જોકે, ચૂંટણી શરૂ થાય તે પહેલાં જ તેને મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો હતો.
ચૂંટણી મુલતવી રાખવામાં આવતા સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર જયેશ દેલાડે ભાજપની આંતરિક ખેંચતાણને લઈને ગંભીર આક્ષેપ કર્યા છે. તેમનો દાવો છે કે અગાઉ પણ ચૂંટણી યોજવામાં વિલંબ કરવામાં આવ્યો હતો અને હવે ભાજપના નેતાઓ વચ્ચેની આંતરિક ખેંચતાણના કારણે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પાછી ઠેલવામાં આવી છે.જયેશ દેલાડે વધુમાં આક્ષેપ કર્યો છે કે વહીવટદાર શાસન લંબાતા પશુપાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. તેમનું કહેવું છે કે અન્ય ડેરીઓમાં દૂધના ભાવમાં વધારો થયો હોવા છતાં સુમુલ ડેરીમાં દૂધ ભરાવતા પશુપાલકોને તેનો યોગ્ય લાભ મળી રહ્યો નથી.
ચૂંટણી ફરી ક્યારે યોજાશે તે અંગે હજુ સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી. જયેશ દેલાડે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 10 દિવસમાં સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં નહીં આવે તો ડેરીનો ઘેરાવ કરીને આંદોલન કરવામાં આવશે.
-
અમરેલીઃ ટ્રેકર પર હુમલો કરનારી સિંહણ પાંજરે પુરાઈ
અમરેલીના ચાંદગઢ ગામે વનવિભાગના ટ્રેકર્સ પર હુમલો કરનારી સિંહણને આખરે પાંજરે પુરવામાં આવી છે. સિંહણના હુમલાને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમે સિંહણને પકડવા માટે કામગીરી હાથ ધરી હતી. સતત નજર રાખ્યા બાદ વનવિભાગની ટીમે સિંહણને સફળતાપૂર્વક પાંજરે પૂરી હતી. સિંહણ પાંજરે પુરાતા ચાંદગઢના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. વનવિભાગ દ્વારા પકડાયેલી સિંહણને વધુ તપાસ અને નિરીક્ષણ માટે ક્રાંકચ એનિમલ સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે. સિંહણનું વર્તન અને સ્વાસ્થ્ય અંગે નિષ્ણાતો દ્વારા જરૂરી તપાસ કરવામાં આવશે. ઘટનાને પગલે વનવિભાગે વિસ્તારમાં સાવચેતી વધારી છે.
-
-
કુબેર ભંડારી મહાદેવ મંદિરમાં શ્રાવણના સોમવારે ભક્તોની ભારે ભીડ
વડોદરા જિલ્લાના ડભોઈના કરનાળી સ્થિત કુબેર ભંડારી મહાદેવ મંદિરમાં શ્રાવણના સોમવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી. સોમવાર નિમિત્તે દાદાના દર્શન કરવા માટે સમગ્ર ગુજરાત સહિત દેશભરમાંથી હજારોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા..હજારો ભક્તોએ નર્મદા નદીમાં સ્નાન કર્યા બાદ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી. ભક્તોએ કતારબદ્ધ ઊભા રહી કુબેર દાદાને દૂધ, બિલીપત્ર, કાળા તલ અને પુષ્પ અર્પણ કરી વિશેષ પૂજા-અર્ચના કરી અને સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી. ભક્તોનું કહેવુ છે કે કુબેર ભંડારી મંદિરમાં દર્શન કાર્યા બાદ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.
-
આરોપીને માર મારવા મુદ્દે DCP નકુમ સામે હાઈકોર્ટમાં સુઓમોટોનો કેસ
આરોપીને માર મારવાના આક્ષેપોને લઈને DCP નકુમ સામે હાઈકોર્ટમાં સુઓમોટો કાર્યવાહી થઈ છે. આ મામલે ભાજપના નેતા મુકેશ ગુજરાતી દ્વારા DCP નકુમના સમર્થનમાં કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટ પણ ચર્ચામાં આવી છે. જોકે, આ પોસ્ટમાં હાઈકોર્ટના જજ અંગે કરાયેલી ટિપ્પણીને લઈને વિવાદ સર્જાયો હતો. વિવાદ વધ્યા બાદ મુકેશ ગુજરાતીએ પોતાના બચાવમાં બીજી પોસ્ટ કરી હતી. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, હાઈકોર્ટ અને ન્યાયતંત્ર પ્રત્યે તેમને સંપૂર્ણ આસ્થા, આદર અને સન્માન છે. સમગ્ર મામલે સોશિયલ મીડિયા પોસ્ટ અને તેમાં કરાયેલી ટિપ્પણીઓને લઈને પણ ચર્ચા તેજ બની છે. હાઈકોર્ટની કાર્યવાહી વચ્ચે હવે મામલો વધુ ગંભીર બન્યો છે.
-
આજે 17 ઓગસ્ટને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Aug 17,2026 11:29 AM