03 મેના મહત્વના સમાચાર : સુરતમાં નીટની પરીક્ષામાં વિવાદ, અમરોલીમાં પરીક્ષા કેન્દ્ર બહાર દીકરીની કંઠી ઉતરાવતા ભડક્યા પિતા, પૂછ્યું હિન્દુ રાષ્ટ્રનો ઝંડો ફરકાવો છો, તો કંઠી કેમ કઢાવી ?
Gujarat Live Updates આજ 03 મેના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
આજે 03 મે અને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
છોટાઉદેપુર : નસવાડીના ગઢબોરીયાદ ગામે વૃદ્ધ મહિલાની હત્યા
છોટાઉદેપુર : નસવાડીના ગઢબોરીયાદ ગામે વૃદ્ધ મહિલાની હત્યા કરવામાં આવી. પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. નસવાડીના ગ્રામજનોએ પોલીસની કામગીરીને બિરદાવી. પોલીસ પર ફૂલોની વર્ષા કરી કામગીરી બિરદાવી. આરોપીઓએ મહિલાના પગમાં પહેરેલા ચાંદીના કડા કાઢવા પગ કાપ્યા હતા. લૂંટના ઇરાદે મહિલાને મોતને ઘાટ ઉતારી હતી. પોલીસે વિવિધ ટીમ બનાવી આરોપીઓની ધરપકડ કરી હતી
-
વડોદરામાં પતિએ જ ગળુ દબાવી કરી પત્નીની હત્યા
વડોદરામાં નવવિવાહિતા યુવતીની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. દોઢ મહિના પહેલા જ લગ્ન થયેલી યુવતીનું પતિએ ગળું દબાવીને હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પત્નીની હત્યા કર્યા બાદ પતિએ સાળાને ફોન કરીને મૃતદેહ લઈ જવા માટે કહ્યું હતું. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં હત્યા થયાનું સામે આવતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પતિની ધરપકડ કરી છે. હાલ પોલીસ હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ કરી રહી છે.
-
-
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારાથી રેસ્ટોરન્ટ સંચાલકો મુશ્કેલીમાં
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલા ભારે વધારાએ રેસ્ટોરન્ટ અને હોટલ વ્યવસાયને મોટો ઝટકો આપ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ આ ભાવ વધારાનો સીધી અસર જોવા મળી રહી છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો થતા હોટલ અને રેસ્ટોરન્ટ ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. હાલ સ્થિતિ એવી છે કે સરકારે દર મુજબ કોમર્શિયલ સિલિન્ડર 3,700 રૂપિયામાં મળે છે જ્યારે એજ સિલિન્ડર કાળા બજારીમાં 4 હજારથી 5 હજાર રૂપિયામાં વેચાઈ રહ્યું છે.
સરકારી દર મુજબ સિલિન્ડ ન મળતા રેસ્ટોરન્ટ સંચાલકોએ કાળા બજારમાં પણ સિલિન્ડર ખરીદવું પડે છે. ગેસની આ સમસ્યાના કારણે રેસ્ટોરન્ટ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. રેસ્ટોરન્ટ સંચાલકોનું માનવું છે કે જો આવું જ ચાલતું રહેશે તો ગુજરાતી થાળી સહિતના ભોજનના ભાવમાં વધારો કરવો અનિવાર્ય બનશે. સામાન્ય માણસ માટે બહાર જમવું મુશ્કેલ બન્યું છે.જો આવનારા સમયમાં ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત નહીં મળે, તો નાના વેપારીઓ માટે આ વ્યવસાય ટકાવી રાખવો મુશ્કેલ બનશે.
-
અમદાવાદમાં મહિલા કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ગેનીબેન પર ટિપ્પણીના વિરોધમાં અમદાવાદમાં મહિલા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ. બેનરો અને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર દેખાવ કર્યા હતા.
-
સુરત: પાનપાર્લરમાં ગુટખા ઉધારમાં માગવા મામલે બબાલ
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં પાલનપુર જકાતનાકા નજીક પાનપાર્લર પર ગુટખા ઉધારમાં માગવા મામલે ભારે બબાલ સર્જાઈ. પાન પાર્લર પર રાત્રે આવીને શખ્સે દુકાનદાર પાસે ઉધારમાં ગુટખા માગી હતી.દુકાનદારે ઉધારમાં ગુટખા આપવાની ના પાડતા. ગ્રાહક અને તેની સાથે આવેલ બે શખ્સોએ ઉશ્કેરાઈને દુકાનદાર સાથે મારામારી કરી હતી. ત્રણેય શખ્સોએ દુકાનદાર પર હુમલો કર્યો અને ઢોર માર માર્યો અને દુકાનદારને ધમકી આપી કે હજુ પણ ઉધાર નહીં આપે તો વધુ માર મારીશ. મારામારી બાદ પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે જ્યારે ત્રીજા આરોપીની શોધખોળ ચાલુ છે. પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું
-
-
મહેસાણા: બ્રાહ્મણવાડામાં ડુંગળીનું ઉત્પાદન 50% ઘટ્યુ
મહેસાણા જિલ્લાનું બ્રાહ્મણવાડા ગામ ડુંગળીના ઉત્પાદન માટે જાણીતુ છે. બ્રાહ્મણવાડાની ડુંગળીનો સ્વાદ અન્ય ડુંગળી કરતા વધુ તીખો અને ચટપટો હોય છે.જેના કારણે આ ડુંગળીની ડિમાન્ડ ખૂબ જ રહે છે પરંતુ આ વર્ષે ડુંગળી પકવતા બ્રાહ્મણવાડાના ખેડૂતોની આંખમાં ડુંગળી કાપ્યા વિના જ આંસુ આવી ગયા છે. એક તરફ ઉત્પાદન ઘટ્યું છે અને બીજી તરફ બજારમાં પૂરતો ભાવ ન મળતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. અહીના 60 થી 70 ટકા ખેડૂતો ડુંગળીની જ ખેતી કરે છે. પરંતુ આ વર્ષે મોંઘી મજૂરીએ ખેડૂતોની કમર તોડી નાખી છે. ખેડૂતોનું કહેવું છે કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઉત્પાદન 50 ટકા જેટલું ઘટી ગયું છે. ગયા વર્ષે જે ડુંગળીનો ભાવ 500 રૂપિયા હતો, તે આ વર્ષે ઘટીને 400 રૂપિયા થઈ ગયો છે, તેમ છતાં બજારમાં પૂરતા ગ્રાહકો નથી મળી રહ્યા.
-
સુરતના યુવકની ડોક્યુમેન્ટ્રી થી બંગાળમાં રાજકીય હલચલ
સુરતના યુવક દીપ પ્રજાપતિનું નામ મમતા બેનર્જીના મુખે પહોંચ્યું છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન સુરતનો ભાજપ કાર્યકર્તા દીપ પ્રજાપતિ પશ્ચિમ બંગાળ પહોંચ્યો હતો. જેમાં તેણે પશ્ચિમ બંગાળની સ્થિતિ વિશે ડોક્યુમેન્ટ્રી બનાવવાનો પ્રયાસ કર્યો. દીપે બનાવેલા વીડિયો એટલા વાયરલ થયા કે તે વીડિયો છેવટે મમતા બેનર્જીના નજરે ચઢ્યા. જે બાદ મમતા બેનર્જીને આ ગુજરાતી યુવક આંખમાં ખટક્યો હોય તેવું નિવેદન આપ્યું હતું. મમતાએ ગુજરાતીઓ અહીંયા શું કરે છે તેવા શબ્દોનો ઉપયોગ કર્યો. મહત્વનું છે કે દીપ પ્રજાપતિએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પશ્ચિમ બંગાળની સ્થિતિ અંગે અનેક દાવા કર્યા છે. ત્યારે તેનું નામ મમતા બેનર્જીના મુખે ચઢી જતાં તે પોતાનો જીવ બચાવવા ગુજરાત પરત ફર્યો છે.
-
અમદાવાદઃ સાણંદ GIDCમાં લાગી ભીષણ આગ
અમદાવાદઃ સાણંદ GIDCમાં ભીષણ આગ ભભુકી ઉઠી. IPD વન્ડર પાર્ક નામની કંપનીમાં આગ લાગતા ફાયર બ્રિગેડની 8થી વધુ ગાડી ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ કરવાના પ્રયાસ હાથ ધર્યા હતા. આગને કારણે તમામ રો મટિરિયલ બળીને ખાખ થયુ છે. જો કે ક્યાં કારણોસર આગ લાગી તે હજુ જાણી શકાયુ નથી.
-
લીંબુના ભાવ 300 રૂપિયા કિલોએ પહોંચી ગયા
એક તરફ ઉનાળાની અંગ દઝાડતી ગરમીમાં લોકો ત્રાહિમામ્ પોકારી રહ્યા છે. ત્યારે બીજી તરફ ગરમીમાં રાહત માટે જેનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે. તેવા લીંબુના ભાવમાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો છે. ધોરાજી રિટેલ માર્કેટમાં ગત મહિને લીંબુના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો હતા. જે હવે 300 રૂપિયે પહોંચી ગયા છે. લગ્ન સીઝન ઉપરાંત ગરમીને લીધે ઠંડા પીણા, શેરડીના રસમાં લીંબુનો ઉપયોગ વધ્યો છે. તો બીજી તરફ માગ સામે આવક ઓછી હોઈ લીંબુના ભાવ વધ્યાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
લીંબુના ભાવ હજુ ઊંચકાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તો ગત મહિનાની સરખામણીએ શાકભાજીના ભાવમાં 30 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. ટામેટાથી લઈ લીલા શાકભાજીની કિંમતો વધી ગઈ છે. વેપારીઓનું કહેવું છે કે આકરી ગરમીમાં પૂરતી આવક નથી થઈ રહી. તો બીજી તરફ શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની પણ મુશ્કેલી વધી છે. કાળઝાળ ગરમીમાં પાક બળી જવાની ફરિયાદો ઊઠી છે. જેને કારણે ખેડૂતોને આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે.
-
અમદાવાદ મનપાનો નવતર અભિગમ
દેશમાં ગેસની અછતની વાતો વચ્ચે હવે મહાનગરપાલિકાએ નવો અભિગમ અપનાવ્યો છે અને AMCએ ગૌશાળામાં રાખવામાં આવેલા પશુઓના છાણામાંથી બાયોગેસનું ઉત્પાદન શરૂ કર્યુ. શહેરના દાણીલીમડા અને બાકરોલ ગૌશાળામાંથી મળતા ગોબરમાંથી બાયોગેસનું ઉત્પાદન શરૂ કર્યુ. વેસ્ટ ટુ એનર્જીના સિદ્ધાંત પર મનપાના પ્રોજેક્ટના કારણે એક બાજુ રખડતા પશુઓના વ્યવસ્થાપનમાં મદદ મળી રહી છે. સાથે દૈનિક 10 હજાર કિલો ગોબરમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે. સાથે ઊર્જા બચત પેટે દર માસ 8 લાખ રૂપિયાનો આર્થિક લાભ થઈ રહ્યો છે. તેમ જ પશુઓને સુરક્ષિત આશ્રય, ઘાસચારો અને તબીબી સુવિધા પ્રાપ્ત થઈ રહી છે.
-
સુરત: TV9 આયોજિત એજ્યુકેશન એક્સ્પોનો આજે બીજો દિવસ
સુરત: TV9 આયોજિત એજ્યુકેશન એક્સ્પોનો આજે બીજો દિવસ છે. ત્યારે આ એજ્યુકેશન એક્સપોને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. સુરતના સાયન્સ સેન્ટરમાં આયોજીત એજ્યુકેશન એક્સ્પોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ એક્સપોમાં જોડાયા હતા. બોર્ડની પરીક્ષા બાદ શું કરવુ તે એંગે તેમને માર્ગદર્શન મળી રહ્યુ છે. સમગ્ર દેશની યુનિવર્સિટીઓ એક જ મંચ પર આવી છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પસંદગીની વિપુલ તકો મળી રહી છે. વિવિધ યુનિવર્સિટીના નિષ્ણાંત દ્વારા માર્ગદર્શન અપાઈ રહ્યુ છે. એન્જિનિયરિંગ, IT, કમ્પ્યુટર સાયન્સ સહિતના કોર્સ અંગે માહિતી અપાઈ રહી છે.
-
સુરત : અડાજણમાં લુખ્ખાઓનો દુકાનદાર પર હુમલો
સુરત : અડાજણમાં લુખ્ખાઓએ દુકાનદાર પર હુમલો કર્યો હતો. 4 થી 5 લુખ્ખાઓએ મળીને દુકાનદાર પર પૈસા માગી જીવલેણ હુમલો કર્યો. હાલ અડાજણ પોલીસે 3 પૈકી 2 આરોપીની ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યુ. વીડિયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
-
મોરબીનો સિરામિક ઉદ્યોગે ફરી પકડી રફતાર
મધ્ય પૂર્વમાં યુદ્ધની પરિસ્થિતિના કારણે ઉદ્ભવેલી ગેસની કટોકટી બાદ ઠપ્પ થયેલો મોરબીનો સિરામિક ઉદ્યોગ હવે ફરીથી પાટા પર આવતો જોવા મળી રહ્યો છે. દોઢ મહિના સુધી મોટાભાગના યુનિટો બંધ રહેતા ઉત્પાદન પર ભારે અસર પડી હતી. પરંતું હાલ પરિસ્થિતિ સુધરતા ઉદ્યોગોમાં ફરીવાર મશીનરી ધમધમતી થઈ છે. સિરામિક એસોસિયેશન પ્રમુખનું કહેવું છે કે હાલ અંદાજે 350થી વધુ સિરામિક યુનિટો ફરીવાર કાર્યરત બન્યા છે. સાથે જ બાકી રહેલા યુનિટો પણ તબક્કાવાર શરૂ થવાના છે. ગેસ પુરવઠામાં સુધારો થતાં ઉદ્યોગ ફરી ગતિ પકડતો નજરે પડી રહ્યો છે. ત્યારે બીજી તરફ પડકારો પણ યથાવત છે. યુદ્ધના કારણે ગલ્ફ દેશોમાં સિરામિકનું એક્સપોર્ટ લગભગ બંધ જેવું બન્યું છે. જ્યારે અન્ય દેશોમાં નિકાસ ધીમે ધીમે રાબેતા મુજબ શરૂ થઈ છે. સાથે જ ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને ડોલર સામે રૂપિયો નબળો પડતા ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. ત્યારે આર્થિક પડકારોને પહોંચી વળવા માટે 6 ટકા ગેસ વેટેજ પર રાહત આપવામાં આવે તેવી માગ ઉઠી છે.
-
સુરતમાં NEETની પરીક્ષા દરમિયાન કંઠી કઢાવતા વિવાદ
આજે યોજાયેલ NEETની પરીક્ષામાં ગુજરાતના 85 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પરંતુ, તેની વચ્ચે સુરતમાં ‘કંઠી’ કઢાવતા વિવાદ વકર્યો છે.
સુરતમાં પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને કંઠી કઢાવી પ્રવેશ અપાતા વિવાદ સર્જાયો. અમરોલીના ગૌતમી કન્યા વિદ્યાલયમાંથી વિવાદના દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં દીકરીની કંઠી ઉતારાવતા પિતા રોષે ભરાયા હતા. પિતાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે “હિન્દુ રાષ્ટ્રનો ઝંડો ફરકાવો છો તો કંઠી શા માટે કઢાવો છો ? હું લાહોર કે રાવલપિંડીમાં થોડો રહું છું ? હું સુરતમાં છું” તેમ કહી પિતાએ રોષ ઠાલવ્યો હતો.
વાલીનું નામ પરેશ કાછડિયા હોવાનું સામે આવ્યું છે. તે આટલેથી જ ન અટક્યા. તેમણે પરીક્ષા આપવા વર્ગખંડમાં ગયેલી દીકરીને પરત બોલાવી. અને તેને ફરી કંઠી પહેરાવવાની જીદ પકડી. પિતાની આ હરકતથી દીકરી પણ મૂંઝવણમાં મુકાઈ હતી. પરીક્ષામાં મોડું થતું હોઈ તે રડી પડી હતી.
-
રાજકોટમાં 10 વર્ષની બાળકી સાથે અડપલા
રાજકોટ ભાવનગર હાઇવે પર સરધાર ગામ નજીક 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ થયો હોવાની ચકચારી ઘટના સામે આવી. 1 મેના રોજ નરાધમે પાડોશમાં રહેતી 10 વર્ષની બાળકીને 10 રૂપિયાની લાલચ આપી તેને બાજુના વાડામાં લઈ ગયો અને ત્યાં તેની સાથે અડપલા કરવાનો પ્રયાસ કર્યો હતો. નરાધમે બાળકીના કપડા ઉતારી તેની સાથે અડપલા કર્યા હતા. જ્યારે બાળકી રાડારાડ કરતા તેનું મોઢું દબાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. સમગ્ર મામલે બાળકીએ પોતાની માતાને સમગ્ર ઘટના અંગે જાણ કરતા માતાએ આજીડેમ પોલીસ સ્ટેશને સમગ્ર બનાવ અંગે ફરિયાદ નોંધાવી. આજીડેમ પોલીસે તાત્કાલિક કામગીરી કરી 60 વર્ષીય આરોપી દેવા અજાગીયાને ઝડપી પાડ્યો અને તેની સામે પોક્સો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી.
-
નહીં મળે ગરમીમાંથી છૂટકારો, હવામાન વિભાગે તાપમાનના પારો હજુ કેટલો ઊંચે જશે તેની કરી આગાહી
આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગે કરી આગાહી. 40 થી 43 ડીગ્રી વચ્ચે તાપમાન રહેવાનું અનુમાન. અમદાવાદમાં યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. તાપમાનમાં મોટો ફેરફાર નહી થાય. મોન્સૂન ટ્રફ, સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી વધુ તાપમાન નોંધાયુ છે. રાજ્યમાં સૌથી વધુ સુરેન્દ્રનગર 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
-
હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું, બંધારણ તોડનારા સામે કાર્યવાહી કરવા યોજાશે બેઠક
હારીજમાં ઠાકોર સમાજે બનાવેલ બંધારણ તૂટ્યું છે. એક વર્ષ માટે સમાજ બહાર કરાયેલ કલાકાર અર્જુન ઠાકોરના સાસરિયામાં બંધારણ તૂટ્યું. સમાજમાં કુરિવાજો ડામવા ઓગળધામ ખાતે ખાતે 4 જાન્યુઆરીએ રાસ ગરબા અને DJ પર પ્રતિબંધિત મુકાયો હતો. સમાજ બહાર કરાયેલ અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરની ઉપસ્થિતમાં ભવ્ય રાસ ગરબાનું આયોજન કરી સમાજનું બંધારણ તોડ્યું. ઠાકોર સમાજના આગેવાન મોબુજી સોનાજી ઠાકોરના ઘરે લગ્ન પ્રસંગ દરમિયાન બંધારણના ધજાગરા ઉડાડ્યા. સમાજનું બંધારણ તોડનાર સામે સમાજ બહાર સહિત 1.51 લાખ રકમની દંડકીય કાર્યવાહી થઈ ચૂકી છે. સમાજનું બંધારણ તોડનાર સામે કાર્યવાહી કરવા 2 વાગે ઠાકોર સમાજે બેઠક બોલાવીને નિર્ણય લેવાશે.
-
કચ્છના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત
કચ્છના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. દરિયાઈ વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં મળ્યુ ડ્રગ્સ. સુરક્ષા એજન્સીઓના સર્ચ ઓપરેશનમાં મળ્યા ડ્રગ્સના પેકેટ. છેલ્લાં 3-4 દિવસ દરમિયાન ડ્રગ્સના 37 પેકેટ મળી આવ્યા. જખૌ, માંડવી, સાંઘી જેટી નજીકથી ડ્રગ્સ પેકેટ મળી આવ્યા
-
પંચમહાલના દેવ ડેમમાં નાવ પલટી જતાં 2 ના મોત
પંચમહાલના દેવ ડેમમાં નાવ પલટી જતાં 2 લોકોના મોત થયા છે. હાલોલના સુધારા ગામે માછીમારી સમયે બની ઘટના. વધુ પડતાં પવનને કારણે નાવ બેકાબૂ થતાં પાણીમાં ડૂબી. સ્થાનિકો, ફાયરની ટીમે 2 માછીમારના મૃતદેહ બહાર કાઢ્યા છે. મોડી સાંજે બનેલી ઘટનાને લઈ ગ્રામ્ય પોલીસમાં નોંધાઈ ફરિયાદ. પોલીસે 2 મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે.
-
કોડીનારના કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો અજ્ઞાત સ્થળે ચાલ્યા જતા, પોલીસે શોધીને લીધા નિવેદન !
ગીર સોમનાથમા કોડીનારના કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને અજ્ઞાત જગ્યાએ લઈ જવાયા છે. તમામ સભ્યોને દ્વારકાના અજ્ઞાત જગ્યાએ લઈ જવાયા હતા. આ સભ્યોના પોલીસે નિવેદનો લીધા હોવાના કરાયા આરોપ. મીતીયાજ બેઠકના કોંગ્રેસના તાલુકા પંચાયતના સદસ્યના પ્રતિનિધિના આરોપ. સુરપાલસિંહ બારડે કહ્યુ કે હોટલમાં રોકાયા હતા ત્યાં દ્વારકા પોલીસે હોટલ ઘેરીને નિવેદનો લઈ ધાકધમકી આપી હતી. મુળ કોડિનારના ફીશ વ્યવસાય સાથે જોડાયેલા મનોજ મોરીને પણ પોલીસે હસ્તગત કર્યા હોવાનો તેમની પત્નીનો આક્ષેપ. જો કે આ સમગ્ર મામલે સત્ય શું છે તે હજુ બહાર નથી આવ્યું.. દ્વારકા પોલીસ કે કોડીનાર પોલીસ દ્વારા હજુ કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી. આમ સત્તાની ખેંચતાણ વચ્ચે કોંગ્રેસ સદસ્યો દ્વારકા જતા રહ્યા હતા પરંતુ ત્યાં તેમના નિવેદનો લેવાયાનો આરોપ સૂરપાલ બારડે લગાવ્યો છે.
-
સુરતમાં, લુખ્ખાઓ પાસે માલસામાનના પૈસા માંગતા દુકાનદાર પર કર્યો હુમલો
સુરતના અડાજણમાં લુખ્ખાઓએ દુકાનદાર પર હુમલો કર્યો છે. દુકાનદારે સામાનના પૈસા માંગતા કરાયો જીવલેણ હુમલો. 4થી 5 લુખ્ખાઓએ ભેગા મળીને દુકાનદાર પર કર્યો હુમલો. પાલનપુર જકાતનાકા પાસે બનેલી ઘટનાના વીડિયો વાયરલ થયો છે.
-
રાજકોટના સરધાર પાસે 10 વર્ષની બાળા પર 60 વર્ષના વૃદ્ધે કર્યો દુષ્કર્મનો પ્રયાસ
રાજકોટના સરધાર પાસે બાળકી સાથે શરમજનક કૃત્ય. 60 વર્ષના વૃદ્ધનો 10 વર્ષની બાળા પર દુષ્કર્મનો પ્રયાસ. રૂપિયા 10ની નોટની લાલચ આપી કર્યા શારિરીક અડપલાં. બાળકી રડવાં લાગી તો તેનું મોઢુ પણ દબાવ્યું. પોલીસે આરોપી દેવાલધરા અજાગિયાની કરી ધરપકડ. પોલીસે આરોપી સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો.
-
ઓડિશા: ‘દહી વડાએ’ એકનો લીધો જીવ, 58ને પહોચાડ્યાં હોસ્પિટલ
ઓડિશાના જાજપુરમાં, ખરાબ ‘દહી વડા’ ખાવાથી 58 લોકો બીમાર પડ્યા અને એક મહિલાનું મૃત્યુ થયું છે. દશરથપુર બ્લોકના પાતાપુર ગામમાં બનેલી આ ઘટના બાદ, ઘણા લોકોને ઝાડા અને ઉલટી થયા હતા. પીડિતો – જેમાં બાળકો અને પુખ્ત વયના બંનેનો સમાવેશ થાય છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આરોગ્ય પ્રધાન અને સંસદ સભ્ય પીડિતોની ખબર અંતર પુછવા અને સઘન સારવાર મળે તે માટે હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
-
વાવના એટા ગામેથી પ્રેમસંબંધમાં અપહરણ કરાયેલ યુવકને વાપી નજીકથી પોલીસે કરાવ્યો છુટકારો
વાવના એટા નજીકથી અપહરણ કરાયેલ યુવકનો પોલીસે કરાવ્યો છૂટકારો. બે દિવસ પહેલા પ્રેમ સબંધમા કરાયું હતું હિતેશ નામના યુવકનું અપહરણ. યુવતીના સબંધીઓએ એટા ગામ નજીકથી ત્રણ શખ્સોએ કર્યું હતું યુવકનું અપહરણ. સુઈગામ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી વાપી નજીકથી અપહરણકારોના ચુંગલમાંથી યુવકને છોડાવ્યો. આરોપીએ અપહરણ કર્યા બાદ યુવકના અપહરણનો વીડિયો કર્યો હતો સોશ્યલ મીડિયા વાયરલ. હિતેશ નામના યુવકને અન્ય યુવતી સાથેના પ્રેમ સબંધના મનદુઃખ મા કરાયું હતું અપહરણ.
-
ખંભાળિયાના ધરમપુરમાં રખડતાં આખલાએ હુમલો કરતા સાયકલ સવાર 13 વર્ષના સગીરનું થયું મોત
દ્વારકાના ખંભાળિયાના ધરમપુરમાં રખડતાં આખલાએ લીધો ભોગ. સાયકલ સવાર 13 વર્ષીય કિશોર પર આખલાએ કર્યો હુમલો. શિંગડુ છાતીમાં વાગતાં 13 વર્ષીય સાહિલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. કમનસીબે હોસ્પિટલ પહોંચે તે પહેલાં કિશોરનું રસ્તામાં જ મોત નીપજ્યુ હતું. સગીર પુત્રના નિધનથી પરિવારમાં શોક અને તંત્ર સામે રોષ વ્યાપ્યો છે. તંત્રની વારંવાદ બેદરકારી અને નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.
-
આજે રાજ્યમાં ત્રણ જાહેર પરીક્ષાઓનું આયોજન
આજે રાજ્યમાં ત્રણ જાહેર પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. NEET, GPSC મદદનીશ ઇજનેર અને શિક્ષક અભિરુચિ કસોટી યોજાશે. બપોરે 12 વાગ્યાથી 5 વાગ્યા સુધી NEET પરીક્ષા યોજાશે. GPSCના વિવિધ પદો માટેની પરીક્ષા બપોરે 11 થી 1 વાગ્યા સુધીમાં લેવામાં આવશે. શિક્ષક અભિરુચિ કસોટી બપોરે 3 થી 6 વાગ્યા સુધીમાં યોજાશે. શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
-
અમદાવાદ જિલ્લાના બગોદરા ટોલનાકા નજીક હીટ એન્ડ રનની ઘટના, 1નુ મોત
અમદાવાદ જિલ્લાના બગોદરા ટોલનાકા નજીક હીટ એન્ડ રનની ઘટના બની છે. બગોદરા-લિંબડી રોડ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત. અજાણ્યો વાહનચાલક બાઈકને ટક્કર મારી થયો ફરાર. અકસ્માતની ઘટનામાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. કંપનીથી ઘરે જઈ રહેલાં મીઠાપુર ગામના યુવકનું મોત થયું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે.
-
અમદાવાદમાં પ્રેમલગ્નની અદાવતમાં 62 વર્ષના વૃદ્ધ પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા
અમદાવાદમાં જીવરાજ પાર્ક બ્રિજ નીચે વૃદ્ધ પર જીવલેણ હુમલો કરાયો છે. પુત્રના પ્રેમલગ્નની અદાવત રાખી સાસરી પક્ષે હુમલો કર્યો છે. જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત વૃદ્ધનું મોત નીપજ્યુ છે. માંદગીમાં પિયર ગયેલી પત્નીને મળવાં જતાં પુત્રને થઈ હતી બોલાચાલી. બોલાચાલીની અદાવત રાખી 5થી 6 શખ્સોએ, પિતાને નિશાન બનાવ્યા હતા. કામ અર્થે ઉભેલા 52 વર્ષીય વૃદ્ધ નટુ પરમાર પર હથિયારથી હુમલો કરવામં આવ્યો હતો. પ્રેમલગ્નમાં અગાઉ સમાધાન થયા બાદ પણ પરિવારે વાળ્યું વેર.
-
દિલ્હીના વિવેક વિહાર હાઉસમાં લાગી આગ, 4 લોકોના દાઝી જવાથી થયા મોત, એસીમાં બ્લાસ્ટની શક્યતાએ લાગી હોઈ શકે આગ
દિલ્હીના શાહદરા જિલ્લામાં આવેલ વિવેક વિહારમાં ચાર માળની ઇમારતમાં ભીષણ આગ લાગવાથી ચાર લોકોના મોત થયા અને 12 લોકો દાઝી ગયા છે. વહેલી સવારે આ આગનો બનાવ બન્યો હતો. ફાયર વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે.
-
દાહોદના મુખ્ય માર્ગ પર રખડતાં શ્વાનનો ત્રાસ યથાવત, એક જ દિવસમાં 6 લોકોને બચકા ભર્યા
દાહોદ શહેરના મુખ્ય માર્ગ પર રખડતાં શ્વાનનો ત્રાસ યથાવત રહ્યો છે. સ્ટેશન રોડ વિસ્તારમાં એક જ દિવસમાં 6 લોકોને રખડતા શ્વાને ભર્યા બચકા. વૃદ્ધ, યુવક તેમજ મહિલાઓને શ્વાને બચકા ભરીને ઈજાગ્રસ્ત કર્યા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે દાહોદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
-
જવાહર ચાવડાએ આપ્યો રાજકીય જવાબ કહ્યું- ઉંદરડાને દિપડો બનાવ્યો હતો, હવે ફરી દિપડાને ઉંદર બનાવી દીધો
પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ સાવજ ડેરીના ચેરમેનને નામ લીધા વિના રાજકીય પ્રત્યુતર આપ્યો છે. લુશાળામાં ગર્જના કરતા જવાહર ચાવડાએ કહ્યું, ઉંદરડાને દિપડો બનાવ્યો હતો હવે ફરી દિપડાને ઉંદર બનાવી દીધાનો દાખલો આપ્યો. વંથલીની કણઝા સીટ પર ‘આપ’ના ઉમેદવાર પ્રવીણ ચાવડાની ભવ્ય જીત બાદ તેમના ફાર્મ હાઉસ પર આ વિજય સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે જવાહર ચાવડાએ પોતાના આગવા અંદાજમાં વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તમે જે શાંતિથી અને નિષ્ઠાથી કામ કરી બતાવ્યું છે, તે બદલ આપ સૌને દિલથી અભિનંદન. મહાત્મા અને ઉંદરની માર્મિક વાર્તા કહી સમજાવ્યું કે સત્તા અને અહંકારમાં રાચતા લોકો ગમે તેટલા પ્રયત્નો કરે, પણ સત્યનો હંમેશા વિજય થાય છે. કણઝા સીટ પર ભાજપના અગ્રણી અને સાવજ ડેરીના ચેરમેનના પુત્રવધૂની કારમી હાર થઈ છે.
-
અમદાવાદના વિરમગામમાં જુનાપાધર ગામે લાગી વિકરાળ આગ
અમદાવાદના વિરમગામમાં જુનાપાધર ગામે વિકરાળ આગ. રહેણાંક મકાન પાસે રાખેલા ઘાસના પૂળામાં ભભૂકી આગ. 1000થી વધુ ઘાસના પૂળા બળીને ખાખ થતાં મોટુ નુકસાન. આગની ઘટનાથી સમગ્ર જુનાપાધર ગામમાં અફરાતફરી. આગના બનાવની જાણ થતાં સરપંચ અને તલાટી ઘટનાસ્થળે પહોચ્યાં હતા. વિરમગામ પાલિકાની ફાયરની ટીમ આગ બુઝાવવા કામે લાગી. આગનું કારણ અકબંધ, હાલ કોઈ જાનહાનિના સમાચાર નહીં.
-
20 થી 30 ટકા વ્યાજ વસૂલતા એક મહિલા સહીત 10 વ્યાજખોર ઝડપાયા
સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં 20 થી 30 ટકા વ્યાજ વસૂલતા વ્યાજખોર ઝડપાયા. SPના આદેશ બાદ પોલીસે મહિલા સહીત 10 શખ્સની કરી ધરપકડ. જરૂરિયાતમંદ લોકો પાસેથી પઠાણી ઉઘરાણી કરી તેમને રંઝાડતાં હતા. કોઈપણ પરવાના વગર, લોકોને વ્યાજે નાણાં આપીને કરતાં હતા શોષણ. ફરિયાદીની ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપ્યા. ધ્રાંગધ્રા પોલીસે તમામ વ્યાજખોરની ધરપકડ કરી પૂછપરછ આદરી છે.
-
યુદ્ધ વિરામની વાતો કરનારા ટ્રમ્પ શું કરવા માંગે છે ? હવે કહે છે, ઈરાનની બાકી રહેલી 15% મિસાઈલ ઉત્પાદન ક્ષમતા નષ્ટ કરીશ
ઈરાનના નવા પ્રસ્તાવનો જવાબ આપતા, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “ઈરાન અંગે અમારી સ્થિતિ ખૂબ મજબૂત છે. તેઓ સોદો કરવા માંગે છે. ઈરાનને સિઝ ફાયર માટે તેમના નેતા કોણ છે તે નક્કી કરવામાં મુશ્કેલી પડી રહી છે. હું આના પર વિચાર કરી રહ્યો છું. તેઓએ મને કરારની વિભાવના વિશે માહિતી આપી છે. તેઓ હવે મને ચોક્કસ શબ્દરચના પ્રદાન કરશે.” વધુમાં, ઈરાનની બાકી રહેલી 15% મિસાઈલ ઉત્પાદન ક્ષમતા અંગે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટિપ્પણી કરી, “હું તેને દૂર કરવા માંગુ છું. આ તેમની ક્ષમતાઓના પુનઃનિર્માણની શરૂઆત હશે.”
Published On - May 03,2026 7:12 AM
