PM પદ સંભાળવાની તક પ્રથમવાર કયા ગુજરાતી સાંસદને મળી હતી? જાણો

|

Apr 06, 2024 | 2:53 PM

નરેન્દ્ર મોદી વર્ષ 2014 થી વડાપ્રધાન પદને સંભાળી રહ્યા છે. મહેસાણાનું વડનગર PM મોદીનું વતન છે. આ પહેલા પણ ગુજરાતના બે સાંસદોને વડાપ્રધાન પદ સંભાળવાનો મોકો મળી ચુક્યો છે. સરદાર વલ્લભભાઇ પટેલના રુપમાં દેશને પ્રથમ નાયબ વડાપ્રધાન મળ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ગુજરાતના નડીયાદમાં થયો હતો.

PM પદ સંભાળવાની તક પ્રથમવાર કયા ગુજરાતી સાંસદને મળી હતી? જાણો
પ્રથમ ગુજરાતી સાંસદ, જેમણે પીએમ પદ સંભાળ્યુ હતું

Follow us on

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના છે, તેઓએ વર્ષ 2014માં પ્રથમ વાર વડાપ્રધાન પદના શપથ લીધા હતા. દેશને પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના રુપમાં મળ્યા હતા. સરદાર પટેલનો જન્મ નડીયાદમાં થયો હતો. જ્યારે દેશના વડાપ્રધાન પદ સંભાળવાની પ્રથમ વાર કોઇ ગુજરાતી સાંસદને તક મળી હોય એવુ ક્યારે બન્યુ હતું? ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના અવસાન બાદ ગુજરાતી સાંસદે આ મહત્વની જવાબદારી નિભાવી હતી.

ગુજરાતી સાંસદ તરીકે પ્રથમવાર વડાપ્રધાન પદ સંભાળવાની તક ગુલઝારીલાલ નંદાને મળી હતી. તેઓ કાર્યકારી વડાપ્રધાન પદે બે વાર રહી ચૂક્યા છે.  ગુજરાતની સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા ગુલઝારીલાલ નંદાને એક વાર નહીં પરંતુ બે વાર વડાપ્રધાન પદ સંભાળવાની તક મળી હતી. બંને વાર તેઓએ વડાપ્રધાનના અવસાન થવાને લઈ કાર્યકારી વડાપ્રધાન તરીકે જવાબદારી નિભાવી હતી. આ બંને સમયે તેઓ દેશના ગૃહપ્રધાન પદે હતા.

નહેરુના અવસાન બાદ નંદાજી કાર્યકારી વડાપ્રધાન

દેશના પ્રથમ વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુએ સત્તા સંભાળી હતી. વર્ષ 1964માં જવાહરલાલ નહેરુના અવસાન બાદ વડાપ્રધાન પદને સંભાળવાની જવાબદારી દેશના તત્કાલીન ગૃહપ્રધાન ગુલઝારીલાલ નંદાને મળી હતી. આમ 27, મે 1964 થી 9, જૂન 1964 સુધી કાર્યકારી વડાપ્રધાન પદ ગુલઝારીલાલે સંભાળ્યુ હતુ. પ્રથમ વાર કોઈ ગુજરાતી સાંસદને માટે આ પદ સંભાળવાની તક હતી. જે જવાબદારી 13 દિવસ માટે ગુલઝારીલાલે સંભાળી હતી. પાકિસ્તાનના સિયાલકોટ, પંજાબમાં જન્મેલ નંદાએ બે વાર દેશના કાર્યકારી વડાપ્રધાન પદને સંભાળ્યુ હતુ.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

ત્યાર બાદ વર્ષ 1966માં ફરી એકવાર કાર્યકારી વડાપ્રધાન પદ સંભાળવાની જવાબદારી ગુલઝારીલાલ નંદાને મળી હતી. આ વખતે પણ દેશના વડાપ્રધાનના અવસાનને લઈ તેઓએ કાર્યકારી વડાપ્રધાન પદ સંભાળ્યુ હતુ. તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું અવસાન થયું હતુ. વડાપ્રધાન શાસ્ત્રીના અવસાન બાદ તેઓ બીજી વાર દેશના કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા. તેઓ 11, જાન્યુઆરી 1966 થી 24, જાન્યુઆરી 1966 સુધી કાર્યકારી વડાપ્રધાન પદે રહ્યા હતા. આ બંને વખતે તેઓ સાબરકાંઠા લોકસભા બેઠકના સાંસદ હતા.

 

સંવેદનશીલ સમયે પદ સંભાળ્યુ

કાર્યકારી વડાપ્રધાન એવા સમયે ગુલઝારીલાલ નંદાએ સંભાળ્યુ હતુ કે, જ્યારે સમય ખૂબ જ સંવેદનશીલ હતો. 1962 માં ચીન સાથે યુદ્ધ થયાના ટૂંકા સમય બાદ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું અવસાન થયું. જ્યારે 1965 માં પાકિસ્તાન સાથે યુદ્ધ થયુ હતુ અને ટૂંકા સમય બાદ તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું અવસાન થયુ હતુ. આમ દેશ માટે પાડોશી દેશથી સંભવિત ખતરાની સ્થિતિ હોવા સમયે તત્કાલીન ગૃહપ્રધાન નંદાએ દેશના કાર્યકારી વડાપ્રધાન પદને સંભાળ્યુ હતુ.

ભ્રષ્ટાચાર દૂર કરવાના સંકલ્પથી ચર્ચામાં રહ્યા

કાર્યકારી વડાપ્રધાન પદ સુધી પહોંચનારા ગુલઝારીલાલ નંદા મુંબઈ વિધાનસભામાં 1937 થી 1939 અને બાદમાં 1947 થી 1950 સુધી એમ બે વાર ધારાસભ્ય પદ પર રહ્યા હતા. આ દરમિયાન તેઓએ મુંબઈ સરકારમાં શ્રમ અને આવાસ વિભાગના પ્રધાન રહ્યા હતા. બસ આ સમયગાળા દરમિયાન જ તેમની પ્રતિભા કેન્દ્રની નેતાગીરીને પ્રભાવિત કરી ચૂકી હતી. જેને લઈ તેઓને મુંબઈથી દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. બસ ત્યારથી તેઓ કેન્દ્રીય નેતૃત્વમાં સ્થાન પામ્યા હતા.

ગુલઝારીલાલ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના વડપણ વાળી પ્રથમ કેન્દ્ર સરકારના પ્રધાન મંડળનો હિસ્સો રહ્યા હતા. તેઓએ 1951 થી 1952 સુધી યોજના પ્રધાન રહ્યા હતા. 1952 થી 1955 સુધી યોજના આયોગ અને નદી ઘાટી પરિયોજનાઓના વિભાગને તેઓએ જોયો હતો. નંદાજી તરીકે જાણીતા ગુલઝારીલાલ 1963 થી 1966 સુધી દેશના કેન્દ્રીય ગૃહપ્રધાન પદ પર રહ્યા હતા. તેઓના ગૃહ પ્રધાન પદનો કાર્યકાળ ત્રણ વડાપ્રધાનના સમયગાળામાં રહ્યો હતો.

ગૃહપ્રધાન પદ સંભાળીને તેઓ ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. તેઓએ માત્ર 2 વર્ષમાં જ ભ્રષ્ટાચાર મુક્ત દેશ બનાવવા માટેની ઘોષણા લોકસભામાં કરી હતી. નહીંતર તેઓએ પદથી હટી જવાનો સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પ સાથેની ઘોષણાએ તેમને ચર્ચામાં લાવી દીધા હતા.

મોરારજી દેસાઈ 1977માં બન્યા વડાપ્રધાન

કટોકટી બાદ લોકસભાની સામાન્ય ચૂંટણી વર્ષ 1977 માં યોજાઇ હતી. જેમાં જનતા દળે બહુમત મેળવ્યો હતો અને વડાપ્રધાન પદના શપથ મોરારજી દેસાઈએ લીધા હતા. 24, માર્ચ 1977 માં મોરારજી દેસાઈ સરકારનું પ્રધાનમંડળ અસ્તિત્વમાં આવ્યુ હતુ. જોકે મોરારજીએ 15, જુલાઈ 1979ના દિવસે વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યુ હતુ. ચરણસિંહ પ્રકરણ અને અન્ય કટોકટીના કારણોસર તેઓએ વડાપ્રધાન પદ છોડ્યું હતુ.

પ્રથમ બીન કોંગ્રેસી વડાપ્રધાન તરીકે શપથ લેનારા મોરારજી દેસાઈ ગુજરાતના વલસાડ જિલ્લાના ભડેલી ગામના હતા. મોરારજી દેસાઈ નાયબ ક્લેકટર તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા. બોમ્બે પ્રેસિડન્સીમાં નાણા અને ગૃહપ્રધાનની જવાબદારી નિભાવી ચૂક્યા હતા. વર્ષ 1952માં મુંબઈ રાજ્યના તેઓ મુખ્યપ્રધાન બન્યા હતા. 1967 માં દેશના નાયબ વડાપ્રધાન બન્યા હતા.

પાડોશી સાથે સંબંધને અગ્રતા

વડાપ્રધાન રહેતા મોરારાજી દેસાઈએ પાડોશી દેશો સાથેના સંબંધોને અગ્રતા આપવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ પાકિસ્તાન સાથે પણ સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો હતો અને ઝીઆ-ઉલ-હક સાથે પણ સંવાદ કર્યા હતા. ચીન સાથે પણ તેમણે રાજદ્વારી સંબંધો સ્થાપ્યા હતા.

મોરારજી સરકારે દક્ષિણ એશિયામાં પાડોશી દેશો સાથે સંબંધોને અગ્રતા આપવાનો પ્રયાસ કર્યો હતો. આ એવો સમય હતો કે, જ્યારે પાકિસ્તાન અને ચીન સાથે લડાઇ લડી ચૂક્યા બાદનો માહોલ હતો. ચીન સાથે 1962ના યુદ્ધ બાદ સંબંધોને સામાન્ય સામાન્ય કરવાનો પ્રયાસ મોરારજી દેસાઇએ કર્યો હતો. પાકિસ્તાન સાથેના સંબંધોને પણ સામાન્ય કરવાનો પ્રયાસ તેમણે કર્યો હતા. જેના થોડાક સમય અગાઉ જ પૂર્વ પાકિસ્તાન મટીને બાંગ્લાદેશનો જન્મ થયો હતો. ભારત સાથેના યુદ્ધમાં કારમી હાર સાથે જ પાકિસ્તાનમાંથી અલગ દેશ રચાયો હતો.

ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ રહ્યા

અમદાવાદમાં આવેલ ગુજરાત વિદ્યાપીઠના તેઓ કુલપતિ રહ્યા હતા. મહાત્મા ગાંધી દ્વારા સ્થાપવામાં આવેલ વિદ્યાપીઠના કુલપતિ રહેતા વડાપ્રધાન પદે હોવા છતાં તેઓએ મુલાકાત લેતા હતા. વડાપ્રધાન હોવા છતા ઓક્ટોબર માસમાં તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં નિવાસ કરતા અને સાદાઇથી જીવન જીવતા હતા. તેઓએ વિદ્યાપીઠની મુલાકાત લેવાનો ક્રમ જીવનના અંતિમ સમય સુધી જાળવ્યો હતો.

2014માં નરેન્દ્ર મોદીએ પીએમ પદના શપથ લીધા

વડોદરા અને વારાણસીથી 2014 માં લોકસભા લડીને સંસદમાં પહોંચેલા નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણા જિલ્લાના વડનગરના વતની છે. 2001 માં ગુજરાતના મુખ્યમંત્રી બનેલા નરેન્દ્ર મોદીએ 2002, 2007 અને 2012 માં ફરીથી મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા.

લોકસભાની સામાન્ય ચૂંટણીઓ પહેલા જ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીને ભાજપ અને તેમના સાથી પક્ષોએ જાહેર કર્યા હતા. તેમની આગેવાનીમાં દેશમાં ભાજપ અને સાથી પક્ષોએ 2014માં સામાન્ય ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. સળંગ બે ટર્મ વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી રહ્યા છે. વર્તમાન લોકસભાની સામાન્ય ચૂંટણી બાદ જૂનમાં પરીણામો આવશે.

 

ચા વેચવાથી પીએમ પદ સુધી સફર

પીએમ મોદીનો પરિવાર વડનગરમાં રહેતો હતો.જ્યાં વડનગરના રેલવે સ્ટેશન પર પિતાની કેન્ટીન પર તેઓ મદદ કરતા હતા. અભ્યાસ સિવાયના સમય દરમિયાન નરેન્દ્ર મોદી પિતા દામોદરભાઇ મોદીને મદદ કરવાના હેતુથી ચા વેચતા હતા. માત્ર આઠ જ વર્ષની વયે તેઓ આરએસએસ તરફ આકર્ષાયા હતા. 1971 માં તેઓ પૂર્ણકાલીન સંઘ પ્રચારક બન્યા હતા. મોદીએ ભારતીય જનતા પાર્ટીમાં 2001 સુધી અલગ અલગ જવાબદારીઓ નિભાવી હતી.

282 બેઠકો સાથે 2014માં સત્તામાં આવ્યા

મોદી સરકાર પ્રથમવાર 2014માં સત્તામાં આવી હતી. 2014 માં અબ કી બાર મોદી સરકારના નારાએ દેશભરમાં અલગ જ માહોલ સર્જ્યો હતો. નરેન્દ્ર મોદીના ચહેરા સાથે ભાજપ અને સાથી પક્ષોએ કેન્દ્રમાં સરકાર રચવા સ્પષ્ટ બહુમતી મેળવી હતી. 2014માં ભાજપ 282 બેઠકો સાથે જીત મેળવી હતી.

2019 માં ફરીથી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં વિજય મેળવ્યો હતો. આ વખતે 303 બેઠકો સાથે સત્તામાં નરેન્દ્ર મોદી સરકાર આવી હતી. આમ મોદી સરકારે કેન્દ્ર સરકારમાં સત્તાના 10 વર્ષ પૂર્ણ કર્યા છે.

 

Published On - 2:25 pm, Sat, 6 April 24

Next Article