રાજકોટના કુવાડવા રોડ પર જે. કે. કોટેજ કંપનીમાં લાગેલી આગમાં મોટો ઘટસ્ફોટ થયા છે. પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. RUDAની મંજૂરી વગર જ ખડકી દેવાઈ હતી ફેક્ટરી. એટલું જ નહીં. GPCBની કોઈ પણ મંજૂરી વગર જ ધમધમતી હતી ફેક્ટરી. વર્ષ 2007માં ઔદ્યોગિક એકમનો પ્લોટ RUDAમાંથી મંજૂર કરાયો હતો. પ્લોટ મંજૂર થયા બાદ બાંધકામ મંજૂરી કે NOC લેવાયા જ નહીં.
ઔદ્યોગિક વિસ્તારોમાં RUDAની મોટી બેદરકારી સામે આવી છે. RUDAના અધિકારીએ સ્વીકાર્યું કે નિયમીત ચેકિંગ ન કરાયું, ત્યારે સવાલ એ છે કે જો કોઇ જાનહાનિ થઈ હોત તો જવાબદારી કોની હોત. ફેક્ટરી ઈન્સપેક્ટરની કામગીરી સામે પણ સવાલ ઉભા થઇ રહ્યા છે. રૂડાના અધિકારીએ પોલીસ તપાસમાં સહયોગ આપવાની બાહેંધરી આપી છે અને તેમનું કહેવું છે કે હવે અન્ય એકમો વિરુદ્ધ પણ તપાસ કરાશે અને જરૂર જણાઈ ત્યાં કડક પગલાં લેવાશે.
રૂડાના અધિકારીઓ કડક કાર્યવાહીની ખાતરી આપી રહ્યા છે. જો કે રૂડાની ઓફિસમાં જ ફાયર સેફ્ટીની કોઇ સુવિધા નથી. સાધનો પણ શોભાના ગાંઠિયા સમાન જ જોવા મળી રહ્યા છે. આ જ સૌથી મહત્વનો સવાલ છે. જેના પર તમામ નિયમોના પાલન કરાવવાની જવાબદારી છે. તે નિયમ ના પાળે તો અન્ય લોકો શું કરશે. સરકારી તંત્ર બેદરકાર રહે છે. અથવા કહો ભ્રષ્ટાચારના કારણે પોતાની આંખ બંધ કરી રાખે છે અને જ્યારે કોઇ ઘટના બને છે ત્યારે સમગ્ર સરકારી તંત્ર સફાળું જાગે છે પરંતુ હવે આ સિલસિલો તૂટવો જોઇએ કારણ કે લોકોના જીવનો સવાલ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:03 pm, Wed, 2 April 25