આજથી ચૈત્ર મહિનાનો પ્રારંભ, શક્તિપીઠ સહિતના મંદિરોમાં લાગી ભક્તોની ભારે ભીડ, જુઓ Video
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ત્યારે રાજ્યના તમામ શક્તિપીઠમાં ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી છે. પંચમહાલના પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ત્યારે રાજ્યના તમામ શક્તિપીઠમાં ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી છે. પંચમહાલના પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારે ચાર વાગ્યે મંદિરના કપાટ ખૂલતાં જ હજારો માઈભક્તોએ માતાજીના દર્શન અને આરતીનો લાભ લીધો હતો. તો બનાસકાંઠાના અંબાજીમાં પણ હજારો માઈભક્તોએ મા અંબાના દર્શન કર્યાં.
રાજ્યના તમામ શક્તિપીઠમાં ભક્તોની ભારે ભીડ
આ વખતે એક નોરતું ઓછું છે. 6 વર્ષ પછી આવો યોગ રચાયો છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ દરેક મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી છે. અમદાવાદની નગરદેવી ભદ્રકાળી મંદિર હોય કે શક્તિપીઠ બહુચરાજી મંદિર હોય ચૈત્રી નવરાત્રિની શરૂઆત ભક્તિભાવ સાથે થાય છે. પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપનની વિધિ યોજાઈ હતી. આ સાથે સાથે ગુજરાત અને મહારાષ્ટ્રના સરહદ વિસ્તારમાં આવેલા સપ્તશ્રૃંગી દેવીના મંદિરે હજારો ભક્તોની ઉમટ્યા હતા.
શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર
પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. આજે વહેલી સવારે ચાર વાગ્યે મંદિરના કપાટ ખૂલતાં જ હજારો માઈભક્તોએ માતાજીના દર્શન અને આરતીનો લાભ લીધો હતો. શ્રદ્ધાળુઓ તળેટીથી માચી સુધી અને માચીથી મંદિર સુધીના રેવાપથ પર પગપાળા યાત્રા કરતા જોવા મળ્યા હતા.
ભક્તોની ભીડને ધ્યાને રાખી જિલ્લા વહીવટી તંત્રએ પણ સુચારું આયોજન કર્યું છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 3 DySP, 12 PI, 30 PSI સાથે એક SRP કંપની મળી કુલ 950થી વધુ પોલીસ કર્મીઓ ખડેપગે રહેશે. પાવાગઢ ખાતે ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકાયો છે. તેમજ ST બસોની ખાસ વ્યવસ્થા કરાઈ છે. પાવાગઢ યાત્રાએ આવતા ભક્તો માટે 50થી વધુ ST બસ મુકવામાં આવી છે.