અમદાવાદમાં કારગીલ પેટ્રોલ પંપથી ચાણક્યપુરી જતા સમગ્ર માર્ગ પર બે દિવસથી ભરાયા છે પાણી, વાહનો ઢસડીને લઈ જવાની પડી ફરજ- VIDEO
અમદાવાદમાં સોલા ભાગવત માર્ગ પર પુષ્કળ પાણી ભરાયા છે. કારગીલ પેટ્રોલ પંપથી ચાણક્યપુરી જતો સમગ્ર માર્ગ જળમગ્ન બન્યો છે. એક્ટિવાના એન્જિન ડૂબે એટલા પાણી ભરાયેલા હોવાથી અનેક વાહનો બંધ પડવાની સમસ્યા સામે આવી છે
અમદાવાદમાં સોલા ભાગવત માર્ગ સંપૂર્ણપણે જળમગ્ન બન્યો છે. છેલ્લા બે દિવસથી પુષ્કળ પાણી ભરાયેલા છે. કારગીલ પેટ્રોલ પંપથી લઈને ચાણક્યપુરી જતો સમગ્ર માર્ગ પર બે બે ફુટ જેટલા પાણી ભરાયેલા છે. અહીંથી પસાર થનારા અનેક વાહનો બંધ પડી જતા લોકો ભારે સમસ્યાનો સામનો કરવા મજબુર બન્યા છે. પાણીમાં અનેક વાહનો બંધ થઈ જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. દર થોડા વરસાદમાં આ માર્ગ આ જ પ્રકારે જળમગ્ન બને છે પરંતુ તંત્ર દ્વારા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા થતી નથી.
કારગીલ થી ચાણક્યપુરી જતો સંપૂર્ણ રોડ જળમગ્ન
ચાણક્યપુરી જવાનો સમગ્ર રોડ જાણે ઠપ્પ થઈ ગયો છે. છેલ્લા બે દિવસથી પાણી ભરાયેલા છે અને બિલકુલ ઓસર્યા નથી ત્યારે લોકો ફરી ફરીને જવા મજબુર બન્યા છે. સ્માર્ટ સિટીની આ તો કેવી દુર્દશા કે વરસાદ રહી ગયા બાદ પણ પાણી ઓસરતા નથી. અનેક વાહનો બંધ પડી રહ્યા છે. નોકરી ધંધાએ જતા લોકો વાહનો ઢસડીને લઈ જવા મજબુર બની રહ્યા છે અને લોકો પારવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે પરંતુ તંત્રને માત્ર તેમનો ટેક્સ વસુલવામાં જ રસ છે.
અનેક વાહનો બંધ પડી જતા ઢસડીને લઈ જવાની પડી ફરજ
પ્રિમોન્સુન કામગીરીના નામે દર વર્ષે કરોડો રૂપિયાનું મહાનગરપાલિકા બજેટ પાસ કરાવે છે અને જનતાને મૂર્ખ બનાવવામાં આવે છે. વિપક્ષનો પણ આરોપ છે કે AMC 12 હજાર કરોડનું બજેટ પાસ થયુ હોવા છતા લોકો હાલાકી વેઠી રહ્યા છે. અધિકારીઓ માત્ર એસી ઓફિસોમાં બેસી આદેશો છોડતા રહે છે અને કામગીરી કોઈ થતી નથી. ટેક્સ વસુલવામાં લાલ આંખ કરતુ તંત્ર સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ સાબિત થયુ છે.