અમદાવાદઃ બાઈકની ચાવી માંગવાના ઝઘડાની અદાવતે હત્યા, ત્રણ આરોપીની ધરપકડ
મંદિરના ઓટલે સૂતેલા યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. બાઈકની ચાવીની બાબતના જૂના ઝઘડાની અદાવત રાખી હત્યા કરી હોવાનો ખુલાસો આરોપીઓ ઝડપાયા બાદ પોલીસ તપાસમાં થયો છે.
અમદાવાદમાં વધુ એક હત્યાનો ગુનો નોંધાયો છે. મંદિરના ઓટલે સૂતેલા યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. બાઈકની ચાવીની બાબતના જૂના ઝઘડાની અદાવત રાખી હત્યા કરી હોવાનો ખુલાસો આરોપીઓ ઝડપાયા બાદ પોલીસ તપાસમાં થયો છે.
હત્યાની ઘટનાને મામલે સાબરમતી પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ સામે આવ્યું છે. સાબરમતી પોલીસે હવે તેઓની વધુ તપાસ હાથ ધરી છે.
ત્રણ આરોપી ઝડપાયા
શહેરના સાબરમતી પોલીસે ઝડપેલા આરોપીઓના નામ અજય ઉર્ફે ચકો ઠાકોર, રાહુલ ઉર્ફે ખિસકોલી ચૌહાણ અને કાર્તિક રાજપુત છે. આ ત્રણેય આરોપીઓ ઓગણજ, સાબરમતી અને ચાંદલોડિયા વિસ્તારમાં રહે છે અને તેઓની હત્યાના ગુનામાં ધરપકડ કરાઈ છે. વિગતવાર વાત કરીએ તો ગત શનિવારે 6 જુલાઈ 2024 ના રોજ આ ત્રણેય આરોપીઓએ અન્ય એક આરોપી સાથે ભેગા મળીને હત્યા કરી હતી. ન્યુ રાણીપના સરસ્વતીનગર પાછળ મહાકાળી માતાના મંદિરના ઓટલા પર સૂઈ રહેલા અમરજીત ચૌહાણ નામના 23 વર્ષીય યુવકની હત્યા કરી હતી.
રાત્રિના સમયે રમાકાંતને ગરમી લાગતા તે રાતના 11:00 વાગે ઘરની બહાર મંદિરના ઓટલા ઉપર સુવા માટે ગયો હતો. જ્યાં મોડી રાત્રે તેની બાજુમાં રહેતો અમરજીત ચૌહાણ પણ મંદિરના એ જ ઓટલા ઉપર સુવા માટે આવ્યો હતો. સવારના લગભગગ સાડા ચારેક વાગ્યાની આસપાસ બૂમાબૂમ થતા રમાકાંત જાગી ગયો હતો અને અમરજીત ચૌહાણને ચાર જેટલા ઈસમો તીક્ષણ હથિયાર તેમજ લાકડીઓથી માર મારતા હોવાનું નજર આવ્યું હતું.
રમાકાંતને મૃત્યુ પહેલા બતાવી અગાઉની કહાની
અજય ઠાકોર, રાહુલ ઠાકોર દ્વારા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય 2 યુવકો લાકડીથી આડેધડ માર મારતા હોવાનું રમાકાંતે જોયુ હતુ. માર મારીને ચારેય શખ્સો ફરાર થઈ જતા ફરિયાદી અમરજીત ચૌહાણને સરાવરા માટે લઈ જવાયો હતો. અમરજીતને સારવાર માટે લઈ જવાતા રસ્તામાં તેણે રમાકાંતને જણાવ્યું હતું કે, તે અગાઉ ચાણક્યપુરી ખાતે રહેતો હતો. ત્યારે અજય ઠાકોર અને રાહુલ ખિસકોલી નામના યુવક સાથે મોટર સાયકલની ચાવી માંગવા બાબતે ઝઘડો થયો હતો.
ત્યારથી અવારનવાર તેઓ પોતાને સતત ધમકીઓ આપતા હતા. જેમના ડરના કારણે તેણે ત્યાંથી મકાન બદલી સાબરમતી વિસ્તારમાં રહેવા આવ્યો હતો. ચાર દિવસ અગાઉ જ આરોપી અજય ઠાકોર અને રાહુલ તેમજ પપ્પુ ઠાકોર અને કાર્તિક દ્વારા ફરી ધમકી અપાઈ હતી. જેમાં સરસ્વતીનગર વિસ્તારમાં અમરજીતને તારા દાણા પાણી ભરાઈ ગયા છે, ગમે ત્યારે તને પતાવી દઈશું એવી ધમકીઓ આપી હતી.
આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે
અમરજીતને લઈને ફરિયાદી હોસ્પિટલ પહોંચતા સારવાર દરમિયાન તેનું મોત થતાં આ મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થયો હતો. સાબરમતી પોલીસે આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન એ પણ સામે આવ્યું હતુ કે, ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
જેમાં અજય ઠાકોર સામે અગાઉ વાડજ, નારણપુરા અને સોલા પોલીસ સ્ટેશનમાં પાંચ જેટલા ગુના નોંધાયેલા છે. જ્યારે રાહુલ ચૌહાણ ઉર્ફે ખિસકોલી સામે સોલા, સાબરમતી, વાડજ પોલીસ સ્ટેશન સહિત 9 ગુના નોંધાયા છે. જ્યારે આરોપી કાર્તિક રાજપૂત સામે સાબરમતી, નારણપુરા, સોલા પોલીસ સ્ટેશન સહિત ચાર ગુનાઓ નોંધાયેલા છે. આરોપીઓ પાસેથી બે ગાડીઓ પણ પોલીસે કબજે કરી છે.