AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navratri 2022 : આ શક્તિપીઠના લીધે જ ત્રિપુરા રાજ્યને મળ્યુ તેનું નામ ! જાણો આદ્યશક્તિના સૌથી સુંદર રૂપનો મહિમા

ઉત્તર પૂર્વીય રાજ્યોની શક્તિપીઠોની (shaktipeeth) વાત કરીએ તો પ્રથમ આસામની કામખ્યા શક્તિપીઠ, બીજી મેઘાલયની જયંતિ શક્તિપીઠ અને ત્યારબાદ ત્રીજા સ્થાને ત્રિપુરાની ત્રિપુરા સુંદરી શક્તિપીઠનો ઉલ્લેખ કરવામાં આવે છે.

Navratri 2022 : આ શક્તિપીઠના લીધે જ ત્રિપુરા રાજ્યને મળ્યુ તેનું નામ ! જાણો આદ્યશક્તિના સૌથી સુંદર રૂપનો મહિમા
Triupursundari, tripura
TV9 Bhakti
| Edited By: | Updated on: Sep 27, 2022 | 6:06 AM
Share

વિવિધ પુરાણોમાં (Puran) શક્તિપીઠની (shaktipeeth) સંખ્યાઓ ભિન્ન ભિન્ન જોવા મળે છે. ક્યાંક 108 શક્તિપીઠનો ઉલ્લેખ મળે છે તો ક્યાંક 51 શક્તિપીઠનો. પરંતુ, આ સર્વેમાં ઉત્તર-પૂર્વીય રાજ્યની ત્રણ શક્તિપીઠ એક આગવું જ મહત્વ ધરાવે છે. જેમાંથી જ એક છે ત્રિપુરેશ્વરી (Tripureshwari) શક્તિપીઠ. એટલે કે, ત્રિપુરા સુંદરી શક્તિપીઠ. જેના ઉલ્લેખ વિના ત્રિપુરાનો ઉલ્લેખ જ અશક્ય છે અને જેના વિના ત્રિપુરાની ઓળખ અધૂરી છે.

ત્રિપુરા રાજ્યના ગોમતી જિલ્લામાં ઉદયપુર નામે શહેર આવેલું છે. જ્યાં ત્રિપુરા સુંદરીનું મંદિર શોભાયમાન છે. ત્રિપુરા સુંદરીનું આ મંદિર ન માત્ર ઉદયપુરની, પરંતુ, સ્વયં ત્રિપુરાની ઓળખ છે ! એક માન્યતા અનુસાર ત્રિપુરા રાજ્યને તેનું નામ તેની આરાધ્યા ત્રિપુરા સુંદરીના નામ પરથી જ પ્રાપ્ત થયું છે ! લોકવાયકા એવી છે કે દેવી સતીના ખંડિત વિગ્રહનો જમણો પગ આ જ સ્થાન પર પડ્યો હતો. અને તે દૃષ્ટિએ આ સ્થાનક 51 શક્તિપીઠમાં સ્થાન ધરાવે છે !

મંદિર માહાત્મ્ય

ત્રિપુરાસુંદરીનું મંદિર એ ત્રિપુરેશ્વરી શક્તિપીઠના નામે પ્રસિદ્ધ છે. એક શક્તિપીઠ હોઈ સમગ્ર ભારતમાંથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. મા ત્રિપુરા સુંદરીનું મંદિર એ સવાસો ફૂટ ઊંચી ટેકરી પર વિદ્યમાન છે અને સિંદૂરી રંગથી શોભાયમાન છે. કદની દૃષ્ટિએ મંદિર નાનું છે. પણ, તેનો મહિમા ખૂબ જ મોટો છે. સમગ્ર ભારતમાંથી શ્રદ્ધાળુઓ અહીં માતાના દિવ્ય રૂપના દર્શનાર્થે ઉમટતા જ રહે છે. કારણ કે અહીં મંદિર મધ્યે આદિશક્તિનું સૌથી સુંદર રૂપ પ્રસ્થાપિત થયું છે. શ્યામ પત્થરમાંથી કંડારાયેલું ત્રિનેત્રા આ ત્રિપુરેશ્વરીનું રૂપ ભક્તોને દર્શન માત્રથી પરમશાંતિની અનુભૂતિ કરાવી રહ્યું છે.

ઉત્તર પૂર્વીય રાજ્યોની શક્તિપીઠોની વાત કરીએ તો પ્રથમ આસામની કામખ્યા શક્તિપીઠ, બીજી મેઘાલયની જયંતિ શક્તિપીઠ અને ત્યારબાદ ત્રીજા સ્થાને ત્રિપુરાની ત્રિપુરા સુંદરી શક્તિપીઠનો ઉલ્લેખ કરવામાં આવે છે. ત્રિપુરાવાસીઓ માટે તો મા ત્રિપુરા સુંદરી જ જાણે તેમના સર્વેસર્વા છે. સમગ્ર ભારતમાંથી તેમજ વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. વિશેષ તો બાંગ્લાદેશના હિંદુઓ અહીં માતાના આશિષ લેવા આવે છે. કારણ કે દેવી ત્યાંથી જ અહીં પધાર્યા હોવાની લોકવાયકા છે.

પ્રચલિત કથા અનુસાર 15મી સદીના ઉત્તરાર્ધમાં ત્રિપુરામાં માણિક્ય વંશનું રાજ હતું. અહીંના રાજા ધન્ય માણિક્યને એક સુંદર મંદિર બંધાવવાની ઈચ્છા થઈ. ધન્ય માણિક્યએ વર્ષ 1501 માં બંગાળી વાસ્તુશૈલી ‘એકરત્ન’ના આધાર પર મંદિરનું નિર્માણ કરાયું અને મંદિરમાં શ્રીનારાયણની સુંદર મૂર્તિની સ્થાપના કરાવી. કહે છે કે ત્યારે સ્વયં દેવી ત્રિપુરા સુંદરીએ તેમના સ્વપ્નમાં આવીને નિર્દેશ કર્યો કે, “હે વત્સ ! આ મારું સ્થાન છે. મારા ખંડિત વિગ્રહને આ ભૂમિએ જ ધારણ કર્યો છે. એટલે તું ચિતૌંગ જા અને ત્યાંથી મારી પ્રતિમાને અહીં લાવીને તેની વિધિવત સ્થાપના કર !”

ઉલ્લેખનિય છે કે પૂર્વકાળનું તે ચિતૌંગ એ આજના બાંગ્લાદેશમાં વિદ્યમાન છે. અને ત્યાંથી જ આ સુંદર પ્રતિમાને લાવીને અહીં પ્રસ્થાપિત કરવામાં આવી છે.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

g clip-path="url(#clip0_868_265)">