IPL 2024 GT vs MI : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત અને મુંબઈ વચ્ચે ટક્કર, જાણો કેવી રહેશે પિચ અને હવામાન
અમદાવાદના મોટેરામાં આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે સાંજે, IPL 2024ની પાંચમી મેચ, ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. જો કે આઈપીએલની વર્તમાન સિઝનમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ પ્રથમ મેચ રમશે.
IPLની 17મી સિઝનની આજે રમાનાર પાંચમી મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સ, સ્થાનિક ગુજરાત ટાઈટન્સ સામે આજે 24 માર્ચે અમદાવાદના મોટેરામાં આવેલ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે સાંજે 7.30 વાગ્યે ટકરાશે. અમદાવાદના મોટેરામાં આવેલ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની પિચ કેવી રહેશે અને હવામાન પણ કેવુ રહેશે તે જાણો આ અહેવાલ થકી.
અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ IPL માં હાઇ સ્કોરિંગ ગ્રાઉન્ડ તરીકે જાણીતું છે. ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે આજે 24મી માર્ચે રમાનાર મેચમાં પીચ વિશે વાત કરીએ તો, બેટ્સમેનોને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમવાની મજા આવે તેવી પિચ છે. કારણ કે અહીં બનેલી પિચને કારણે બોલ સીધો બેટ પર સારી રીતે આવે છે. જેમ જેમ મેચ આગળ વધશે તેમ તેમ પિચ બદલાય તેવી શક્યતા નહીંવત છે.
આ પિચ પર સ્પિનરોએ ઓછી કે પિચની કોઈ મદદ વિના જ વિકેટ પાડવી પડશે. મેચની શરૂઆતમાં ઝડપી બોલરોને કેટલીક સીમ મૂવમેન્ટ અને વધારાનો ઉછાળ મળી શકે છે. પરંતુ આ લાભ અમુક સમય માટે જ મદદરૂપ થઈ શકે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોડી સાંજે ઝાકળ પડવાની સંભાવના બહુ નથી, તેથી બહુ ફરક નહીં પડે. આનો અર્થ એ થયો કે બીજા નંબરે બોલિંગ કરનાર ટીમને વધુ નુકસાન નહીં થાય. ટોસ જીતનાર ટીમ પ્રથમ બોલિંગ કરવાનો શ્રેષ્ઠ નિર્ણય લઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં આ સમયે ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. આવી સ્થિતિમાં, હવામાન ગરમ રહેવાની ધારણા છે. અમદાવાદમાં તાપમાન 38 ડિગ્રી સેન્ટીગ્રેડની આસપાસ રહેવાની ધારણા છે. જો કે, મોડી સાજે તાપમાનનો પારો ઘટશે. આના કારણે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચ રાત્રે રમાવાની હોવાથી તાપમાનની બહુ મોટી અસર સામાન્ય રીતે કોઈ ટીમ પર જોવા નહી મળે.
જોકે, પવનની ઝડપ સામાન્ય કરતા થોડીક વધુ રહેવાની ધારણા છે. એકંદરે, આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાનારી મેચમાં હવામાનની કોઈ પ્રતિકુળ અસર જોવા નહી મળે.
સૂર્યાકુમાર યાદવની ખોટ વર્તાશે
રોહિત શર્મા તેની છેલ્લી 30 IPL ઇનિંગ્સમાં ઓપનિંગ દરમિયાન 20 વખત પાવરપ્લેમાં આઉટ થયો છે. IPL 2023માં મધ્ય ઓવરોમાં મુંબઈ ઈન્ડિયન્સનો સરેરાશ સ્કોર 9.1 હતો. તેનું મુખ્ય કારણ સૂર્યકુમાર યાદવ હતો. મિડલ ઓર્ડર દરમિયાન તેણે 183 રન બનાવ્યા હતા. જો કે આ વખતે સૂર્યાકુમાર યાદવ નથી તેની અસર વર્તાય છે કે નહી તે જોવુ રહેશે. સૂર્યકુમાર યાદવની ગેરહાજરીમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે બીજું કોઈ યાદવની માફક મધ્ય ઓવરોમાં રનરેટ ઉચે લઈ જવામાં સફળ થાય છે કે નહી તે જોવુ રહેશે ?