IND vs PAK T20 WC Breaking : T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ રમાશે, પાકિસ્તાને શરણાગતિ સ્વીકારી
પાકિસ્તાને ભારતીય ખેલાડીઓને T20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજ મેચોમાં રમવાની મંજૂરી ન આપવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ નિર્ણય ICC સાથેની બેઠક દરમિયાન લીધો હતો. 15 ફેબ્રુઆરીએ શ્રીલંકામાં યોજાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો યોજાશે.

T20 વર્લ્ડ કપ 2026 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ગ્રુપ મેચ હવે રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ અગાઉ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી ભારત સામેની તેમની મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય પાકિસ્તાન સરકારના કહેવા પર લેવામાં આવ્યો હતો, પરંતુ ICC સાથે લાંબી ચર્ચા બાદ, પાકિસ્તાને પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.
T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના પ્રતિનિધિઓ ઇમરાન ખ્વાજા અને મુબાશિર ઉસ્માની તાજેતરમાં લાહોર પહોંચ્યા હતા અને PCB અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ બેઠક PCB દ્વારા ગોઠવવામાં આવી હતી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના પ્રમુખ અમીનુલ ઇસ્લામ બુલબુલે પણ બેઠકમાં હાજરી આપી હતી. તેમની હાજરી ચર્ચામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, કારણ કે ટુર્નામેન્ટમાંથી બાંગ્લાદેશના બહાર થવાના સમગ્ર વિવાદનો ઉકેલ આવી ગયો હતો. ICC એ પાકિસ્તાનને મેચ ન રમવા બદલ સંભવિત નાણાકીય દંડ અને અન્ય પરિણામો વિશે સ્પષ્ટતા કરી હતી, જેના કારણે PCB ના વલણમાં નરમાઈ આવી હતી.
15 ફેબ્રુઆરીએ યોજાશે મહામુકાબલો
આ નિર્ણયથી ક્રિકેટ ચાહકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે, કારણ કે ભારત-પાકિસ્તાન મેચને ક્રિકેટની સૌથી મોટી અને રોમાંચક મેચોમાંની એક માનવામાં આવે છે. આ મેચ હવે 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે નિર્ધારિત શેડ્યુલ મુજબ રમાશે. ICCની સક્રિય ભૂમિકા અને તમામ પક્ષોની સમજણ સાથે, ટુર્નામેન્ટની અખંડિતતા જળવાઈ રહેશે.
ત્રણ ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનને મેચ રમવા અપીલ કરી
ICC ની સાથે ત્રણ ક્રિકેટ બોર્ડ – શ્રીલંકા ક્રિકેટ, અમીરાત ક્રિકેટ બોર્ડ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પણ પાકિસ્તાનને ભારત સામે મેચ રમવાની અપીલ કરી હતી. પાકિસ્તાને મેચ રમવાના બદલામાં ICC સમક્ષ કેટલીક માંગણીઓ કરી હોવા છતાં, અહેવાલો સૂચવે છે કે ICC એ તેમાંથી કોઈ પણ માંગણી સ્વીકારી નથી. જોકે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને ચોક્કસપણે થોડી રાહત મળી છે અને તેને કોઈ નુકસાનનો સામનો કરવો પડશે નહીં.
