લોકસભા ચૂંટણીના પ્રચારનો મેરઠથી પ્રારંભ કરતા મોદીએ કહ્યું- ગરીબી જોઈને મોદી આ સ્થળે પહોચ્યા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરતા મેરઠમાં રેલીને સંબોધી હતી. લોકસભાની આગામી ચૂંટણી માટે ભાજપે મેરઠ બેઠક પરથી ટીવી સીરિયલ 'રામાયણ'થી ઘરે ઘરે જાણીતા થયેલા અભિનેતા અરુણ ગોવિલને ઉમેદવાર જાહેર કર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે મેરઠમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત કરતા પીએમ મોદીએ કહ્યું કે, મેરઠની આ ભૂમિ ક્રાંતિ અને ક્રાંતિકારોની છે. આ ધરતી પર બાબા અવધામના આશીર્વાદ છે. મેરઠે ચૌધરી ચરણ સિંહ જેવી મહાન વ્યક્તિ દેશને આપી છે. અમારી સરકારને તેમને ભારત રત્ન આપવાનું સૌભાગ્ય મળ્યું છે. હું તેમને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
મોદીએ પોતાના સંબોધનમાં મેરઠ સાથેના સંબંધને ટાંકકા કહ્યું કે, તમને યાદ હશે કે 2014 અને 2019માં મેં મારા ચૂંટણી પ્રચારની શરૂઆત મેરઠથી કરી હતી. હવે 2024ની ચૂંટણીની પહેલી રેલી મેરઠમાં જ યોજાઈ રહી છે. 2024ની આ ચૂંટણી માત્ર સરકાર બનાવવાની ચૂંટણી નથી. 2024ની ચૂંટણીઓ વિકસિત ભારત બનાવવા માટે છે.
કોંગ્રેસે ભારત માતાનું એક અંગ કાપી નાખ્યુ હોવાનું જણાવીને પીએમ મોદીએ કહ્યું કે, ભૂતકાળમાં કોંગ્રેસે કરેલા કૃત્યની કિંમત આજે દેશ ચૂકવી રહ્યો છે. જ્યારે ભારતીય માછીમારો, માછીમારી માટે દરિયામાં એ ટાપુ તરફ જાય છે ત્યારે તેઓને શ્રીલંકા દ્વારા પકડી પાડવામાં આવે છે. કોંગ્રેસના ભૂતકાળના કારનામાનું આજે પરિણામ છે કે, આપણા માછીમારો સજા ભોગવી રહ્યા છે.
પીએમ નરેન્દ્ર મોદીના સંબોધનના મુખ્ય મુદ્દા
હવે દેશની 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું કામ થઈ રહ્યું છે. નમો ડ્રોન દીદી યોજના પણ બહેનોનું ભાગ્ય બદલવા જઈ રહી છે. આ ડ્રોન આપણી ખેતીનું ભવિષ્ય બદલી નાખશે. ખેતીનું કામ સરળ બનાવશે. દીકરીઓ ડ્રોન પાઈલટ બનશે ત્યારે તેમનું ગૌરવ વધશે અને તેમની કમાણી પણ વધશે.
આવનારા 5 વર્ષ મહિલા શક્તિ માટે સમૃદ્ધ થવાના છે. પોલીસ હોય કે અર્ધલશ્કરી દળો, આજે દીકરીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. મુદ્રા યોજનાએ દીકરીઓને પોતાનો બિઝનેસ ખોલવાની તાકાત આપી છે. મોદીનું સ્વપ્ન છે અને મોદીની ગેરંટી પણ છે.
અમારી સરકાર જ છે જેણે 11 કરોડથી વધુ શૌચાલય બનાવીને મહિલાઓના સન્માનની રક્ષા કરી છે. 2.5 કરોડથી વધુ ઘરોને વીજળી કનેક્શન આપીને તેમના જીવનમાંથી અંધકાર દૂર કરવામાં આવ્યો છે. છેલ્લા 10 વર્ષ દેશની માતાઓ, બહેનો અને પુત્રીઓ માટે સુવિધા, સુરક્ષા અને સન્માનથી ભરેલા છે.
ગરીબોને સારવારની ચિંતા ન કરવી પડે તેવી વ્યવસ્થા સરકારે કરી છે, અમે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવાની યોજના બનાવી છે. 80 કરોડ લોકોને મફત રાશન આપી રહ્યા છીએ. જેમના વિશે કોઈએ પૂછ્યું ન હતું તેની મોદીએ પૂજા કરી છે. અમે ગરીબોને તેમનું સ્વાભિમાન પાછું આપ્યું છે. આ અમારી સરકાર છે જેણે 4 કરોડ ગરીબો માટે કાયમી ઘર બનાવ્યા છે.
લોકોને લાગતું હતું કે, જમ્મુ અને કાશ્મીરની કલમ 370 ક્યારેય દૂર નહી થાય, પરંતુ કલમ 370ને પણ હટાવી દેવામાં આવી છે અને જમ્મુ અને કાશ્મીરનો પણ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. તેથી જ આજે પણ લોકો ભાજપની 370 બેઠકોનો આશીર્વાદ આપી રહ્યા છે. આ મોદી ગરીબી જોઈને આજે અહીં સુધી પહોંચ્યા છે.
ટ્રિપલ તલાક સામે મજબૂત કાયદો પણ લોકોને અશક્ય લાગતો હતો. ટ્રિપલ તલાક વિરૂદ્ધ માત્ર કાયદો જ નથી બન્યો પરંતુ તે હજારો મુસ્લિમ બહેનોના જીવન પણ બચાવી રહ્યો છે. અગાઉ લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામત અસંભવ હતી, પરંતુ આજે તે વાસ્તવિકતા બની ગઈ છે.