લોકસભાની ચૂંટણી ટાણે મંદિરોની પ્રાણપ્રતિષ્ઠા ચૂંટણીલક્ષી રાજકારણ કે બીજું કંઈ ? જાણો સમગ્ર બાબત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહી તેમજ મંદિરના લોકાર્પણ દ્વારા સમગ્ર દેશમાં રામ લહેર ઊભી કરી દીધી છે. રામ મંદિરનુ આમંત્રણ હોવા છતા 22 જાન્યુઆરીએ અયોધ્યા ના જનાર વિપક્ષના નેતાઓને રામ વિરોધી હોવાનું સોશિયલ મીડિયામાં કહેવામાં આવી રહ્યું છે. આમ છતા, વિપક્ષના નેતાઓ અયોધ્યાના રામ મંદિરને બદલે અન્ય મંદિરોમાં ભગવાનના દર્શન કરતા હોય તેવા ફોટા સોશિયલ મીડિયામાં વહેતા કર્યા છે. ટુંકમાં લોકસભાની ચૂંટણી પૂર્વે મંદિર મંદિર થઈ જવા પામ્યું છે.
સમગ્ર દેશમાં વિવિધ રાજકીય પક્ષ દ્વારા, લોકસભાની ચૂંટણી સત્તાવાર જાહેર થાય તે પહેલા જ, લોકસભાની ચૂંટણીનો ગરમાવો ઊભો કરવામાં આવી રહ્યો છે. આ ગરમાવા માટે મંદિર, અર્થ વ્યવસ્થા, ગરીબી, વૈશ્વિક મંચ પર ભારતનું સ્થાન વગેરે મુદ્દાઓને જોર શોરથી લેવામાં આવી રહ્યાં છે. એક તરફ ભાજપ લોકસભાની આગામી ચૂંટણીમાં ફરીથી વિજય થવાનો આત્મ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યું છે તો બીજી તરફ વિપક્ષે ભાજપ સામે લડવા માટે તૈયાર કરેલ ઈન્ડિ ગઠબંધન તુટી રહ્યું છે.
વિપક્ષ વેરવિખેર છે ત્યારે વડાપ્રધાન મોદી એક પછી એક મંદિરની મુલાકાત લઈ રહ્યાં છે. તો વિવિધ મંદિરોમાં કરાનાર પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપી રહ્યાં છે. પછી આ મંદિર ભારતમાં હોય કે મુસ્લિમ દેશમાં. મોદીની મંદિર મુલાકાતને વિપક્ષ દ્વારા લોકસભાની ચૂંટણી સાથે જોડી દેવામાં આવે છે. વિપક્ષનું કહેવું છે કે, લોકસભાની ચૂંટણીમાં દેશના વાસ્તવિક મુદ્દાઓની ચર્ચા કરવાને બદલે ભાજપ લોકો સમક્ષ મંદિરનું રાજકારણ રમી રહ્યું છે. પરંતુ વાસ્તવિકતા કઈક અલગ હોવાનું ઉપસી રહ્યું છે.
ભારતના મોટાભાગના પ્રાંત કે પ્રદેશમાં જ્યારે કોઈ એક વ્યક્તિ બીજાની સાથે મુલાકાત કરે ત્યારે ભગવાનના નામનો ઉચ્ચાર કરીને એક બીજાને આવકારતા હોય છે. જેમ કે ગુજરાતના ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં લોકો રામ રામ, હરહર મહાદેવ, જયશ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રાધે રાધે વગેરેનો ઉચ્ચાર કરતા હોય છે. આ પરંપરા આદી અનાદીકાળથી ચાલી આવે છે. ભાજપે આ પરંપરાને તેમની આગવી રીતે અપનાવી લીધી છે. વિપક્ષ આ મુદ્દે પાછળ રહી ગયો છે. જેથી સોશિયલ મીડિયામાં લોકો એક બીજાને નિશાન બનાવીને મંદિર વિરોધી અને મંદિર તરફીના મારો ચલાવે છે.
સોશિયલ મીડિયાના સતત મારા વચ્ચે વિપક્ષના અનેક નેતાઓ પોતે આસ્થાળુ અને શ્રદ્ધાળુ હોવાનુ સાબિત કરવા માટે વિવિધ મંદિરોના દર્શને જાય ત્યારે તેના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને એક પ્રકારે વિરોધીઓને પ્રત્યુતર આપી રહ્યાં છે.
આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મંદિરને લઈને મુદ્દો જીવતો રાખ્યો છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછી તેમના જાહેર કાર્યક્રમમાં રામ મંદિરનો ઉલ્લેખ કરતા આવે છે. અને દેશનુ વર્ષો જૂનુ એક સ્વપ્ન સાકાર થયાનું જણાવે છે. મંદિરને કારણે લોકોની આર્થિક સુખાકારીમાં પણ વધારો થવાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન જણાવે છે કે, મંદિરને કારણે પ્રવાસન પ્રવૃતિને વેગ મળશે. તો સાથોસાથ સ્થાનિકોને રોજગારીની નવી તક પણ સાંપડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે દક્ષિણ ભારતમાં આવેલા અનેક મંદિરની મુલાકાત લઈને ભગવાનના દર્શન કર્યાં હતા. તો બીજી તરફ મુસ્લિમ દેશ એવા અબુધાબીમાં બીએપીએસ દ્વારા નિર્મિત મંદિરની પણ પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લીધો હતો. આજે ઉતરપ્રદેશમાં કલ્કી મંદિરના શીલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લીધો. આમ થવાને કારણે વિપક્ષ દ્વારા લોકસભાની ચૂંટણીના સમયે મંદિરનુ રાજકારણ કરવામાં આવી રહ્યું હોવાનો મુદ્દો પુરો પાડ્યો છે. તો બીજી તરફ ભાજપ દ્વારા લોકોની આસ્થાને, માન-સન્માન આપવાનો મુદ્દો બનાવવામાં આવ્યો છે.