Surat: પશુઓને બેક્ટેરિયાથી ફેલાતા ગળસૂંઢાના રોગથી બચાવવા માટે રસીકરણનો પ્રારંભ
Surat : કોરોના મહામારીથી બચવા માટે આજે દરેક વર્ગ રસી લેવા તત્પર છે. રસીકરણ કેન્દ્રો પર લોકો રસી માટે લાઈન લગાવીને બેઠા છે. એવામાં ચોમાસા દરમિયાન પશુઓમાં પણ રોગચાળાનું પ્રમાણ વધારે જોવા મળે છે.
Surat : કોરોના મહામારીથી બચવા માટે આજે દરેક વર્ગ રસી લેવા તત્પર છે. રસીકરણ કેન્દ્રો પર લોકો રસી માટે લાઈન લગાવીને બેઠા છે. એવામાં ચોમાસા દરમિયાન પશુઓમાં પણ રોગચાળાનું પ્રમાણ વધારે જોવા મળે છે. ત્યારે આ પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે સુમુલ ડેરીના (Sumul Dairy) સહયોગથી પશુપાલન વિભાગ દ્વારા જિલ્લાના 5,17,200 પશુઓને અત્યારથી જ રસીનું સુરક્ષાકવચ આપવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે.
પશુમાં ચોમાસા દરમિયાન ગળસૂંઢાનો રોગ માઝા મૂકે છે. ત્યારે આ રોગથી પશુઓને રક્ષણ આપવા માટે રસીકરણની શરૂઆત કરવામાં આવી છે. સુરત જિલ્લામાં 9 તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સમગ્ર જિલ્લામાં ગાય ભેંસની સંખ્યા 5,17,200 જેટલી છે.
જિલ્લામાં 5,17,200 પશુઓને સુમુલ ડેરીના સહયોગથી રસી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને દિવાળીની આસપાસ પશુઓને ખરવાસા મોવાસાની રસી આપીને તે બીમારીથી પણ રક્ષણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આમ તો ખેતી પછી પશુપાલનનો વ્યવસાય સૌથી મોટો ઉદ્યોગ છે. તેવામાં ગળસૂંઢાનો રોગ પશુઓમાં ફેલાય છે અને આ જીવાણુથી પશુઓના મોત થયાના કિસ્સા પણ બને છે. તેની સારવાર ખૂબ ખર્ચાળ હોય છે. ગ્રામ્ય વિસ્તારના પશુપાલકોને તેની પુરતી માહિતી ન હોવાના કારણે પશુઓના રોગની સારવાર સમયસર મળતી નથી.
તેના કારણે પશુપાલકોને જાનમાલના નુકશાનથી બચાવવા આ રસી આપવામાં આવી રહી છે. માનવને રસી આપવામાં આવી રહી છે ત્યારે પશુઓને પણ રસી આપવાનો પ્રારંભ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે. જિલ્લામાં રસીના 1.5 લાખ ડોઝ આવી ગયા છે અને તમામ તાલુકા માટે રજિસ્ટ્રેશન કરી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં વધારે ડોઝનો લાભ પણ આવશે તેવું તેમણે ઉમેર્યું છે.
ચોમાસા દરમિયાન અને વાદળછાયા વાતાવરણને કારણે પશુઓમાં બેક્ટેરિયાને કારણે આ રોગ વકરે છે. આ રોગ ફેફસાનો છે. જેમાં પશુને તાવ શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં સોજાના લક્ષણો જોવા મળે છે. આ બીમારીની સારવાર ખૂબ ખર્ચાળ અને મુશ્કેલ હોય છે. જેથી રસીકરણ શ્રેષ્ઠ ઉપાય છે. રસી મુક્યા પછી પશુઓમાં આ બીમારી થતી નથી.