Monsoon 2024 : સૌરાષ્ટ્રના બે ડેમ છલકાતા હાઈ એલર્ટ, ગુજરાતના 206 જળાશયોમાં 32 ટકાથી વધુ જળસંગ્રહ
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ચોમાસાની શરુઆતમાં જ સૌરાષ્ટ્રના 2 ડેમ છલોછલ ભરાઈ જતા હોઈ એલર્ટ આપવામાં આવ્યુ છે. જાણો અન્ય જળાશયોની સ્થિતિ શું છે.
![Monsoon 2024 : સૌરાષ્ટ્રના બે ડેમ છલકાતા હાઈ એલર્ટ, ગુજરાતના 206 જળાશયોમાં 32 ટકાથી વધુ જળસંગ્રહ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/b5b18090-7938-47d3-8972-493a08a2ba47.jpg?w=1280)
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 50 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. સરદાર સરોવરમાં હાલમાં 1,69,240 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 50.66 ટકા જેટલો જળસંગ્રહ જ્યારે રાજ્યના કુલ 206 જળાશયોમાં 1,81,947 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 32.48 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. તેમજ જળ સંપતિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
રાજ્યના 5 જળાશય 90 ટકા ભરાયા
આજે સવારે 8 કલાકના રિપોર્ટ મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધુ વરસાદ થતા જામનગર જિલ્લાનો વઘાડિયા ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ 100 ટકા એટલે કે, સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ અપાયું છે.આ સિવાય રાજ્યના પાંચ જળાશયો 80 ટકાથી 90 ટકા છલકાતા એલર્ટ આપવામાં આવ્યુ છે.
ગુજરાતના જળાશયોની સ્થિતિ શું ?
જેમાં જૂનાગઢના ઓઝત-2, કચ્છના કાલાગોગા, મોરબીના ઘોડાધરોઈ, રાજકોટના ભાદર-2 અને સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમને પણ એલર્ટ અપાયું છે. રાજ્યના કુલ પાંચ જળાશયો 70 ટકાથી 80 ટકા વચ્ચે ભરાતા વોર્નીંગ આપવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લાના ફુલઝર-1, અને ફુલઝર(કેબી), જૂનાગઢના બાંટવા-ખારો, પોરબંદરના સરન તથા રાજકોટના આજી-2 ડેમનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત ,ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 35.31 ટકા, મધ્ય ગુજરાતના 17માં 41.59 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 32.62 ટકા જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 23 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.
અહીં ઉલ્લેખનીય છે કે ગત વર્ષે એટલે કે, વર્ષ 2023માં આજના દિવસે ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 48.72 ટકા, મધ્ય ગુજરાતના 17માં 42.04 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 35.39 ટકા જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 47.18 ટકાથી વધુ પાણીનો સંગ્રહ નોંધાયો હતો તેમ,જળ સંપતિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.