રાજ્યસભા માટે ફોર્મ ભરતા પહેલા ભાજપના ઉમેદવાર ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ tv9 સાથે કરી ખાસ વાતચીત, કર્યો આ ખૂલાસો- વીડિયો
રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર ગોવિંદ ધોળકિયા આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. આ પહેલા તેમણે tv9 સાથે ખાસ વાતચીત કરી. કાકાના હુલામણા નામથી જાણીતા સુરતના હિરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાને રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ અંગે જાણો તેમણે આપેલી ખાસ પ્રતિક્રિયા
ગાંધીનગર: રાજ્યસભામાં ગુજરાતની 11 બેઠકો પૈકી જે 4 બેઠકો એપ્રિલ મહિનામાં ખાલી થાય છે. આ ચારેય બેઠકો માટે ભાજપે તેમના ઉમેદવારોના નામની જાહેરાત કરી ફરી એકવાર સૌને ચોંકાવી દીધા છે. જેમા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા, ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને ડૉ. જસવંતસિંહ પરમારની પસંદગી કરવામાં આવી છે.
આજે આ ચારેય ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા હતા. ફોર્મ ભરતા પહેલા હિરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ tv9 સાથે ખાસ વાતચીત કરી હતી અને તેમની રાજ્યસભા માટે પસંદગી અંગે તેમને ખુદ કંઈ જાણકારી ન હોવાનું જણાવ્યુ હતુ.
“અચાનક અમિત શાહનો ફોન આવ્યો, મારા માટે સ્કાયલેબ જેવી સ્થિતિ હતી”
ધોળકિયાએ tv9 સાથેની વાતચીતમાં જણાવ્યુ કે અમિત શાહે ફોન કરી રાજ્યસભા માટે પસંદગી થઈ હોવાનુ જણાવ્યુ હતુ. એ સમયે મારા માટે સ્કાય લેબની સ્થિતિ બની હતી. સવારે ગૃહમંત્રી અમિત શાહનો ફોન આવ્યો અને જણાવ્યુ કે તમને રાજ્યસભામાં મોકલવાના છે. અચાનક આ પ્રકારે આવેલો અમિત શાહનો ફોન અને તેમની રાજ્યસભા માટે પસંદગી એ એકદમ જ તેમના માટે અણધાર્યુ હતુ.
ધોળકિયાએ જણાવ્યુ કે તેમણે ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે તેમની ક્યારેય આ પ્રકારે નોંધ લેવાશે. વધુમાં હિરા ઉદ્યોગપતિ ધોળકિયાએ જણાવ્યુ કે નરેન્દ્ર મોદી સારા કામ કરી રહ્યા છે અને યુગ પુરુષ છે આથી તેમના નિર્ણયને અવગણી ન શકાય
ગોવિંદ ધોળકિયાએ વધુમાં જણાવ્યુ કે હું રાજનેતા તો હજુ પણ નથી, પહેલા પણ ગોવિંદકાકા જ હતો અને હજુ પણ એ જ છુ. રાજ્યસભાના સાંસદ તરીકે જે કોઈપણ જવાબદારી નિભાવવાની આવશે તેને તેઓ બખૂબી નિભાવશે. આમ જનતાને સાથે રાખી રાષ્ટ્રહિતના કામને અગ્રતા આપશે.
કોણ છે ગોવિંદ ધોળકિયા?
અમરેલી જિલ્લાના દુધાળા ગામના વતની અને 13 વર્ષની ઉમરે સુરતમાં સ્થાયી થઈ રત્ન કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરનારા ગોવિંદ ધોળકિયા હાલ રામકૃષ્ણ એક્સપોર્ટના માલિક છે. SRK ગૃપની તેમની કંપનીસની વાર્ષિક 15000 હજાર કરોડથી વધુની આવક છે.
પરિવારની નબળી આર્થિક સ્થિતિને કારણે માત્ર સાત ધોરણ સુધીનું શિક્ષણ મેળવનારા ગોવિંદ ધોળકિયા હાલ 77 વર્ષના છે. લેઉવા પાટીદાર સમાજમાંથી આવતા ધોળકિયા તેમની સખાવતો માટે પણ જાણીતા છે. રામ મંદિર માટે પણ તેમણે 11 કરોડનું દાન આપ્યુ છે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપનો ભરતી મેળો યથાવત, કોમન યુનિવર્સિટી એક્ટનો વિરોધ કરનાર અધ્યાપકો ભાજપમાં જોડાયા
પીએમ મોદીના નજીકના ગણાય છે ગોવિંદ ધોળકિયા
વર્ષોથી RSS સાથે સંકળાયેલા ગોવિંદભાઈ પીએમ મોદીના નજીકના ગણાય છે. હિરા ઉદ્યોગમાં તેમનુ જાણીતુ નામ છે. 6 હજારથી વધારે રોજગાર તેમજ ભારતમાં ડાયમંડ ઉદ્યોગમાં તેમના યોગદાનને કારણે તેઓ ડાયમંડ કિંગ તરીકે પણ જાણીતા છે. લેઉવા પટેલ સમાજને પ્રતિનિધિત્વ આપવા તેમજ પરષોત્તમ રૂપાલા બાદ સૌરાષ્ટ્રના અમરેલી અને દક્ષિણ ગુજરાતના સુરત બંનેને ધ્યાને રાખી તેમની પસંદગી કરાઈ હોવાની ચર્ચા છે.