ક્રિકેટ ઇતિહાસમાં ભારતની સૌથી શરમજનક હાર, માત્ર 76 રનમાં ટીમ ઈન્ડિયા થઈ ઓલઆઉટ !
ભારતીય ક્રિકેટ ટીમ માટે નોટિંગહામનું ટ્રેન્ટ બ્રિજ મેદાન હવે એક નિરાશાજનક યાદ બની ગયું છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની ત્રીજી મેચ નોટિંગહામના ઐતિહાસિક ટ્રેન્ટ બ્રિજ મેદાન પર રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા 125 રનથી હારી ગઈ.

ભારતીય ક્રિકેટ ટીમ માટે નોટિંગહામનું ટ્રેન્ટ બ્રિજ મેદાન હવે એક નિરાશાજનક યાદ બની ગયું છે. ટીમ ઈન્ડિયાને ઇંગ્લેન્ડ સામેની ત્રીજી T20 મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો. ઇંગ્લેન્ડના 201 રનના મોટા ટાર્ગેટનો પીછો કરતી વખતે, ભારતીય ટીમ ફક્ત 76 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ કારમી હાર સાથે ઇંગ્લેન્ડે પાંચ મેચની T20 સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. દરમિયાન ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર એક અનિચ્છનીય રેકોર્ડ બન્યો છે. જેને કોઈ ક્રિકેટ ચાહક યાદ રાખવા માંગશે નહીં.
ફિલ સોલ્ટની તોફાની ઇનિંગ્સ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની શરૂઆત ધીમી રહી હતી. અર્શદીપ સિંહે પહેલી જ ઓવર મેડન નાખી હતી. જોકે બીજા છેડેથી જોશ બટલરે ઝડપી બેટિંગ કરતાં 36 રન બનાવ્યા હતા. યુવા બોલર પ્રિન્સ યાદવે સચોટ યોર્કર પર બટલરેને બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ હેરી બ્રૂકને પણ પ્રિન્સ યાદવે પેવેલિયન મોકલ્યો હતો. ફિલ સોલ્ટે 44 બોલમાં 70 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ હતો. ત્યારબાદ હર્ષિત રાણાએ સતત બે બોલમાં બેથેલ અને ટોમ બેન્ટનને આઉટ કરીને ઇંગ્લેન્ડને દબાણમાં મૂકી દીધું હતું. પરંતુ અંતે સેમ કરને માત્ર 24 બોલમાં જ 41 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો અને ઇંગ્લેન્ડની ટીમને 201 રન સુધી પહોંચાડ્યું હતું. ભારત તરફથી પ્રિન્સ યાદવ અને હર્ષિત રાણાએ 2-2 વિકેટ લીધી હતી.
ભારતીય બેટ્સમેનોએ કર્યા નિરાશ
202 રનના મોટા ટાર્ગેટ સામે ભારતીય બેટ્સમેનો ફ્લોપ રહ્યા. ઇંગ્લેન્ડના ઝડપી બોલરો સામે કોઈપણ ભારતીય બેટ્સમેન લાંબા સમય સુધી ટકી શક્યો નહીં. જોફ્રા આર્ચરની ફાસ્ટ બોલિંગ અને જોશ ટંગની બોલિંગ સામે આખી ભારતીય ટીમ માત્ર 76 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી વૈભવ સૂર્યવંશી અને ઈશાન કિશને સૌથી વધુ 13-13 રન બનાવ્યા હતા. જ્યારે અક્ષર પટેલ અને અભિષેક શર્માએ 10-10 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી જોશ ટંગે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. જોફ્રા આર્ચરને 3 અને આદિલ રશીદને 2 વિકેટ મળી હતી. પરિણામે ઇંગ્લેન્ડે આ મેચ 125 રનથી જીતી લીધી. રનના અંતરથી જોવામાં આવે તો T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતની આ સૌથી મોટી હાર છે.
ભારતની સૌથી મોટી T20 હાર
- ઇંગ્લેન્ડ સામે 125 રનથી હાર (નોટિંગહામ, 2026)
- ન્યૂઝીલેન્ડ સામે 80 રનથી હાર (વેલિંગ્ટન, 2019)
- દક્ષિણ આફ્રિકા સામે 76 રનથી હાર (અમદાવાદ, 2026)
- દક્ષિણ આફ્રિકા સામે 51 રનથી હાર (ચંદીગઢ, 2025)
- ન્યૂઝીલેન્ડ સામે 50 રનથી હાર (વિશાખાપટ્ટનમ, 2026)
સતત પાંચ મેચમાં જીત વિના ટીમ ઈન્ડિયા
T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે ભારતીય ટીમ સતત પાંચ મેચ હારી છે. ભારતના આ ખરાબ સમયગાળાની શરૂઆત આયર્લેન્ડ પ્રવાસથી થઈ હતી. જ્યાં ટીમ ઈન્ડિયા બંને મેચ હારી ગઈ હતી. ત્યારબાદ ઇંગ્લેન્ડ સામેની સિરીઝની પ્રથમ મેચ વરસાદને કારણે રદ થઈ હતી. બીજી મેચમાં ભારતને 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો અને હવે નોટિંગહામમાં 125 રનની હાર મળી છે.
