IND vs ENG: કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત થતા ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમની ચિંતાઓ વધી, જાણો કારણ
આઠ ખેલાડીઓ કૃણાલના નજીકના સંપર્ક ધરાવતા હતા. પરંતુ આમાંથી બે ખેલાડીઓ એવા છે કે ઈંગ્લેન્ડ પ્રવાસ પર જતા મુશ્કેલીમાં મુકાયા છે.
શ્રીલંકાના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા (Krunal Pandya) કોરોના પોઝિટિવ હોવાનું જણાયુ હતુ. જેના કારણે ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચેની બીજી T20 મેચ એક દિવસ માટે સ્થગીત કરવામાં આવી છે. પરંતુ કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ હોવાને કારણે ટીમ ઈન્ડિયા (Team India)ના આઠ ખેલાડીઓ પર સંકટ છે.
આ આઠ ખેલાડીઓ કૃણાલના નજીકના સંપર્ક ધરાવતા હતા. પરંતુ આમાંથી બે ખેલાડીઓ એવા છે કે ઈંગ્લેન્ડ પ્રવાસ પર જતા મુશ્કેલીમાં મુકાયા છે. આ ખેલાડીઓ છે પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવ. બંનેને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે શુભમન ગિલ, વોશિંગ્ટન સુંદર અને આવેશ ખાનના રિપ્લેસમેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવ બંને શ્રીલંકાથી સીધા લંડન જવાના હતા. જોકે હવે બંનેને આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે.
હવે એ જોવાનું રહ્યું કે બંનેના આઈસોલેશનનો સમય કેટલો સમય ચાલે છે. સામાન્ય રીતે તેનો સમયગાળો 7થી 10 દિવસનો હોય છે. જો આવું થાય છે તો તે બંને ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડ્યા બાદ પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવ સહિત આઠ ભારતીય ખેલાડીઓને આઈસોલેટ કરવામાં આવ્યા છે. આ બધાનું હવે ફરીથી પરીક્ષણ કરવામાં આવશે. આ દરમિયાન જો પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવના ટેસ્ટ પોઝિટિવ આવશે તો બંનેના ઈંગ્લેન્ડ પ્રવાસ રદ થઈ શકે છે.
શ્રીલંકન બોર્ડે બુધવારે મેચ રમાનારી હોવાની આપી જાણકારી
શ્રીલંકા ક્રિકેટે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે મેચને એક દિવસ બાદ રમાડવામાં આવશે. એટલે કે બુધવારે રમાશે. ટ્વીટ કરી લખ્યુ હતુ કે શ્રીલંકા અને ભારત વચ્ચેની બીજી T20 મૂળ 27 જુલાઈએ રમાનારી હતી. તેને એક દિવસ આગળ કરી દેવામાં આવી છે. હવે તે બુધવારે જુલાઈ 28ના રોજ થશે.
🔴 The second T20I between Sri Lanka and India originally scheduled to be played on July 27 has been pushed forward by a day and will now take place on Wednesday, July 28.
READ 👉 https://t.co/XjFMQwhTpM#SLvIND pic.twitter.com/UJcgmNCUrT
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 27, 2021
પૃથ્વી શો અને સૂર્યાના ટેસ્ટની જોવાઈ રહી છે રાહ
બ્રિટનમાં કોરોનાના નિયમો ખૂબ કડક છે. ઉપરાંત કોરોના પોઝિટિવ જણાયા પછી આઈસોલેશન પૂર્ણ કરવામાં અને તે પછી રમવા માટે તૈયાર થવામાં ખૂબ સમય જશે. જેના કારણે તે બંને ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી માટે સમયસર તૈયારી કરી શકશે નહીં. જો કે શો અને સૂર્યાના આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ 4 ઓગસ્ટથી નોટિંગહામથી શરૂ થવાની છે. હાલની યોજના મુજબ પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવે બીજી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમમાં જોડાવાનું હતું. પરંતુ હવે બદલાયેલી સ્થિતીના કારણે તેમાં ફેરફાર થઈ શકે છે.