Breaking News: ધર્મશાલામાં ફસાયું મુંબઈ ઈન્ડિયન્સ, મજબૂરીમાં ફરી બદલશે કેપ્ટન, આ સ્ટારને કમાન સોંપાશે!
મુંબઈ ઈન્ડિયન્સ IPL 2026 ની પોતાની 12 મી મેચ પંજાબ કિંગ્સ સામે રમશે. ધર્મશાલામાં આ મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ ફસાયું છે. મુંબઈને ફરી નવા કેપ્ટનની જાહેરાત કરવી પડી શકે છે.

IPL 2026 ની 58મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. બંને ટીમો ધર્મશાલામાં ટકરાશે. મેચના થોડા કલાકો પહેલા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા અને સ્ટેન્ડ-ઈન કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. પરિણામે ટીમને ફરી એકવાર કેપ્ટનશિપમાં ફેરફારનો સામનો કરવો પડશે. આ જવાબદારી સંભાળવા માટે બે સ્ટાર ખેલાડીઓ રેસમાં છે.
મુંબઈ ઈન્ડિયન્સ ફરી બદલશે કેપ્ટન
હાર્દિક પંડ્યા 2 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચથી પીઠના દુખાવાથી પીડાઈ રહ્યો છે. તે છેલ્લી બે મેચ રમી શક્યો નથી અને મેડિકલ ટીમે હજુ સુધી તેને સંપૂર્ણ ફિટ જાહેર કર્યો નથી. તેણે તાજેતરમાં મુંબઈમાં અલગથી ટ્રેનિંગ શરુ કરી છે, પરંતુ ધર્મશાલામાં તે ટીમ સાથે જોડાયો નથી. અહેવાલો અનુસાર, સૂર્યકુમાર યાદવ પણ વ્યક્તિગત કારણોસર ટીમ સાથે નથી. તે તાજેતરમાં પિતા બન્યો છે અને તેને થોડો સમય રજા આપવામાં આવી છે. હાર્દિકની ગેરહાજરીમાં સૂર્યકુમારે છેલ્લી બે મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું.
કોણ કરશે MIની કપ્તાની?
આ બે ખેલાડીઓની ગેરહાજરીનો અર્થ એ છે કે આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ નવા ખેલાડીના હાથમાં રહેશે. આ રેસમાં જસપ્રીત બુમરાહ અને તિલક વર્માને મજબૂત દાવેદાર માનવામાં આવે છે. બુમરાહ 2013 થી મુંબઈ ઈન્ડિયન્સ સાથે છે અને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ પણ કરી છે. જોકે, તેણે ક્યારેય IPLમાં ટીમની કેપ્ટનશીપ કરી નથી. આ દરમિયાન, ટીમમાં પાંચ વખતના IPL ચેમ્પિયન કેપ્ટન રોહિત શર્માનો પણ સમાવેશ થાય છે. જે ફરી MIની કપ્તાની કરી શકે છે.
MI પ્લેઓફની રેસમાંથી બહાર
મુંબઈ ઈન્ડિયન્સ પહેલાથી જ પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગયું છે, તેથી ટીમ યુવા ખેલાડીઓને તક આપવા અને બાકીની મેચોમાં કેટલાક ખેલાડીઓને આરામ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સે વર્તમાન સિઝનમાં કુલ 11 મેચ રમી છે, જેમાં ફક્ત ત્રણમાં જ જીત મેળવી છે. તેઓ આઠ મેચ હારી ગયા છે, જેના કારણે તેઓ પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાયા છે. મુંબઈને હવે તેની છેલ્લી ત્રણ મેચ પંજાબ, કોલકાતા અને રાજસ્થાન સામે રમવાની છે.
