મતવિસ્તારનું નવું સીમાંકન : જાણો ગુજરાત-મહારાષ્ટ્ર-રાજસ્થાન સહીત કયાં રાજ્યમાં કેટલી બેઠકો વધી શકે છે ?
કેન્દ્રની મોદી સરકારે આજે 16મી એપ્રિલથી ત્રણ દિવસનું સંસદનુ વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર બોલાવવા પાછળનો મુખ્ય હેતુ બંધારણમાં 131મો સુધારો કરવાનો છે. જો કે તેની સાથે સાથે લોકસભા મતવિસ્તારોનું નવા સીમાકંન ( ડિલિમિટેશન) પણ હાથ ધરવા માટેનો એજન્ડા પણ છે. આના કારણે ગુજરાત સહીત સમગ્ર દેશમાં લોકસભાની બેઠકોમાં ખાસ્સો વધારો થવાની સંભાવના છે.

કેન્દ્ર સરકારે આજ ગુરુવારને 16 એપ્રિલ, 2026ના રોજથી સંસદનું ત્રણ દિવસનું ખાસ સત્ર બોલાવ્યું છે. સંસદના વિશેષ સત્રમાં, બંધારણ 131મો સુધારા બિલ 2026, કેન્દ્રશાસિત પ્રદેશો કાયદા સુધારા બિલ, 2026 અને સીમાંકન બિલ 2026 પસાર કરવા માટે સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે. આ વિશેષ સત્ર યોજાય તે પહેલા જ, જે આશંકા હતી તે રાજ્યસભામાં સાચી ઠરી છે. રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ સવાર સુધી મુલતવી રાખી પડી છે. સંસદની કાર્યવાહી તોફાની બની રહેવાની આશંકા એટલા માટે હતી કે, ભારતના ચૂંટણી માળખા અને પ્રતિનિધિત્વ પ્રણાલીને મૂળભૂત ફેરફાર કરવાની જોગવાઈઓ બિલમાં હોવાનું વિપક્ષનું કહેવું છે.
આ ત્રણ બિલોમાં બંધારણ (131મો સુધારો) બિલ, સીમાંકન બિલ, 2026 અને કેન્દ્રશાસિત પ્રદેશો કાયદા (સુધારા) બિલનો સમાવેશ થાય છે. આ કાયદાકીય દરખાસ્તો પર વિરોધ પક્ષો પહેલાથી જ સરકારને ઘેરવા માટે તૈયાર છે. વિપક્ષનો આરોપ છે કે, મહિલા અનામત અને સીમાંકન સંબંધિત કાયદાઓ લાગુ થયા પછી, દક્ષિણ ભારતના રાજ્યોને ફાળવવામાં આવેલી લોકસભા બેઠકોની સંખ્યામાં ઘટાડો થશે. દરમિયાન, સરકારે પણ વિપક્ષના હલ્લાબોલની અને વિરોધ કરવાની કાર્યવાહી માટે પોતાને સંપૂર્ણપણે તૈયાર કરી લીધા છે.
સીમાંકનનો આધાર
સરકારી સૂત્રોનો ઉલ્લેખ કરીને, રજૂ કરાયેલા મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે, પ્રસ્તાવિત સીમાંકન પ્રક્રિયા હાલમાં 2011 ની વસ્તી ગણતરીના આધાર પર રાજ્યોમાં લોકસભા બેઠકો ફાળવવા માટેનો આધાર રાખવામાં નહીં આવે. તેના બદલે, સીમાંકન એક ચોક્કસ ફોર્મ્યુલાના આધારે હાથ ધરવામાં આવશે. જે દેશના બધા રાજ્યો માટે પ્રતિનિધિત્વનો પ્રમાણસર હિસ્સો 50% સુધી વધારવાનો પ્રસ્તાવ છે.
અહેવાલમાં વધુમાં નોંધવામાં આવ્યું છે કે, બધા રાજ્યોને ફાયદો થવાની સાથોસાથ, તેમના પ્રતિનિધિત્વનું સ્તર પણ વધશે. જો 2011 ની વસ્તી ગણતરીના આધારે સીમાંકન કરવામાં આવે તો, તેમને મળેલા સ્તર કરતાં વધુ હશે.”
ઉદાહરણ તરીકે, તમિલનાડુ રાજ્યને ઉદાહરણ તરીકે લઈએ તો, પ્રસ્તાવિત યોજના હેઠળ, તેની વર્તમાન 39 બેઠકોની સંખ્યા વધીને 59 થવાની ધારણા છે. જો તેની બેઠકોની ફાળવણી ફક્ત 2011 ની વસ્તી ગણતરીના આધારે નક્કી કરવામાં આવી હોત, તો આ આંકડો 49 જ થતો હોત.
દરેક રાજ્યમાં કેટલી બેઠકો વધશે?
- ઉત્તર પ્રદેશ: 80 થી 120 બેઠકોનો પ્રસ્તાવિત વધારો
- મહારાષ્ટ્ર: 48 થી 72 બેઠકોનો પ્રસ્તાવિત વધારો
- પશ્ચિમ બંગાળ: 42 થી 63 બેઠકોનો પ્રસ્તાવિત વધારો
- બિહાર: 40 થી 60 બેઠકોનો પ્રસ્તાવિત વધારો
- તમિલનાડુ: 39 થી 59 બેઠકોનો પ્રસ્તાવિત વધારો
- મધ્યપ્રદેશ: 29 થી 44 બેઠકોનો પ્રસ્તાવિત વધારો
- કર્ણાટક: 28 થી 42 બેઠકોનો પ્રસ્તાવિત વધારો
- ગુજરાત: 26 થી 39 બેઠકોનો પ્રસ્તાવિત વધારો
- આંધ્રપ્રદેશ: 25 થી 38 બેઠકોનો પ્રસ્તાવિત વધારો
- રાજસ્થાન: 25 થી 38 બેઠકોનો પ્રસ્તાવિત વધારો
- ઓડિશા: 21 થી 32 બેઠકોનો પ્રસ્તાવિત વધારો
- કેરળ: 20 થી 30 બેઠકોનો પ્રસ્તાવિત વધારો
જો આ કવાયત 2011 ની વસ્તી ગણતરીના ડેટાના આધારે હાથ ધરવામાં આવે, તો હિન્દી પટ્ટાની તુલનામાં દક્ષિણ રાજ્યોનું પ્રતિનિધિત્વ આશરે 4% ઘટી શકે છે. વધુમાં વધુ 850 બેઠકો માટે જોગવાઈ કરવામાં આવી છે. હાલની 550 બેઠકોની ઉપલી મર્યાદા જેવી જ, જોકે ગૃહની વાસ્તવિક સંખ્યા 543 છે. એ નોંધવું યોગ્ય છે કે આ ફક્ત અંદાજ છે.